હાથી અને દરજી
હાથી અને દરજી
એક નાનું ગામ હતું. તે ગામમાં ઘણા લોકો રહેતા હતા. તે ગામમાં એક નાનકડું બજાર પણ હતું. આ બજારમાં ઘણી દુકાનો હતી. તેમાં એક દુકાન ફળની હતી. જે મોહન નામના માણસની હતી. તે જ ગામમાં રમણ નામનો એક દરજી પણ રહેતો હતો. તે કપડા સીવવાનું કામ કરતો હતો. મોહનનો સ્વભાવ દયાળુ અને સારો હતો. જયારે રમણનો સ્વભાવ ઈર્ષાળુ અને ખરાબ હતો. મોહન હંમેશા બધાની મદદ કરતો જયારે રમણ બધાને હેરાન જ કરતો.
હવે એ ગામમાં એક હાથી રહેતો હતો. તે ખુબ સારા સ્વભાવનો હતો. એ હાથી રોજ ગામમાંથી તળાવમાં ન્હાવા માટે જતો. ત્યારે વચ્ચે બજાર આવતી હતી. એટલે હાથી રોજ બજાર વચ્ચે થઈને તળાવે જતો હતો. હાથી જયારે બજારમાંથી તળાવે ન્હાવા જવા નીકળે ત્યારે મોહન તેણે રોજ એક ફળ આપતો. કોઈવાર કેળું, કોઈવાર સફરજન, કોઈ વાર ચીકુ વગરે. બદલામાંથી હાથી તળાવેથી ન્હાઈને પાછો આવે ત્યારે મોહન માટે બધા ફળ ધોવા માટે પોતાની લાંબી સૂંઢમાં પાણી ભરી લાવતો. એટલે મોહનનું પણ કામ થઈ જતું.
આ બધું રોજે રોજ ચાલતું. પણ પેલા ઈર્ષાળુ રામને આ હાથી અને મોહનની મિત્રતાની ઈર્ષા આવતી હતી. એકવાર તેણે હાથીને હેરાન કરવાનો વિચાર કર્યો. એક દિવસ હાથી બજારમાંથી પસાર થયો ત્યારે મોહનની જેમ રમણે પણ તેણે કેળું બતાવી ખાવા માટે બોલાવ્યો. હાથી બિચારો ભોળા ભાવે રમણ પાસે કેળું ખાવા ગયો. પણ રમણે કેળું આપવાના બદલે અણીદાર સોય હાથીની સૂંઢમાં ભોંકી દીધી. બીચાર હાથીને ખુબ જ પીડા થઈ. રમણ તો હસવા લાગ્યો. પણ હાથી કંઈ ન બોલ્યો. તે તળાવ ગયો. અને તળાવથી પોતાની આખી સૂંઢમાં તળાવનું ગંદુ કાદવ કીચડવાળું પાણી અને ગારો ભરીને લાવ્યો. અને રામની આખી દુકાનમાં ગારો છાંટી દીધો.
રમણની દુકાનના બધાજ સીવેલ કપડા, અને બીજું કાપડ બધું જ ગારો થઈ ગયું. પણ થાય શું? રમણ પોતાની ભૂલ પર પસ્તાવા લાગ્યો. એટલે જ તો કહ્યું છે, ‘જેવું કરો તેવું ભરો.'