ડૉ. હિપ્પોની હોસ્પિટલ
ડૉ. હિપ્પોની હોસ્પિટલ
એક દિવસ થયું એવું કે ડૉ.હિપ્પો હોસ્પિટલ પહોંચે તે પહેલાંજ ખૂબ ગીરદી થઇ ગઈ હતી. ઘણી બધી જાતજાતની અને ભાતભાતની માછલીઓ આમથી તેમ થતી હતી. ડૉ.હિપ્પોએ વારાફરતી એક-એક માછલીને બોલાવી. પણ જે કોઈ આવે તેની એક જ ફરિયાદ. "મારા દાંત તૂટી ગયા, મારા તો દાંત ક્યાં ગયા એજ મને ખબર નથી ને સાથે સાથે પેટમાં બહુ જ દુખે છે." ડૉ.હિપ્પોએ જોયું તો એને લાગ્યું કે બધાંને ફૂડ પોઈઝન થઇ ગયું છે.
તાબડતોબ સારવાર શરુ કરી.
ત્યાં તો એક મોટું ટોળું હોસ્પિટલ તરફ હો.. હા ..હો.. હા... કરતું આવી રહ્યું હતું. જેવું ટોળું નજીક આવ્યું તો એ બધાં એક વહેલને લઈને આવ્યાં હતાં. એનું પેટ ડુંગર જેવડું ફૂલી ગયું હતું. મોઢું તો જાણે ગુફા જ જોઈ લો, એમ ખુલ્લું રહી ગયું હતું. અને આંખો ઉંચી ચડી ગઈ હતી. ડૉ.હિપ્પોએ આ નાની નાની માછલીઓને બેસવાનું કહી વહેલની સારવારમાં લાગ્યા. તરત જ ડૉ.જળબિલાડીને બોલાવી એનું સોનોગ્રાફી કરાવવાનું કહ્યું.
ફરી પાછા આવ્યા જ્યાં પેલી નાની નાની માછલીઓ હતી ત્યાં. બધાને સાથે માંડીને વાત કરી કે તમને ફૂડ પોઈઝન[ખોરાકી ઝેર]ની અસર થઇ ગઈ છે. તમારા ખોરાકમાં કાઈક આવી ગયું લાગે છે. એવું તે શું ખાધું છે? ત્યાં એક માછલી બોલી, "અમારે તો ખોરાકમાં શું હોય? દરીયાઈ વનસ્પતિ કે નાના દરિયાઈ જીવોપણ હમણાં હમણાં ખબર નહિ માનવજાત કાંઈક કાંઈક પધરાવતી જાય છે. અમને તો એમ કે સારો નવો ખોરાક મળ્યો તે અમારી આખી વસાહત ઊમટી પડી. જેવા ખાવા માટે બટકાં ભર્યાં કે કોઈકના દાંત કડક કરતા તૂટી ગયા. કોઈકના તો ક્યાં ગયા એ જ ખબર ન પડી ને કોઈકના દાંત ન નીકળ્યા તો લોહી ઘણું નીકળ્યું. કોઈક દાંત ડગી ગયા.
ડૉ.હિપ્પોએ એવી કોઈ અજાણી વસ્તુ ન ખાવી એવું સમજાવી સારવાર કરી. એટલીવારમાં ડૉ.જળબિલાડીએ વ્હેલનો રીપોર્ટ મોકલ્યો. પરિસ્થિતિ અને રિપોર્ટ જોતાં ડૉ.હિપ્પોએ તરત જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ઓપરેશનની બધી તૈયારી થઇ ગઈ. ડૉ.હિપ્પોએ જેવું વ્હેલનું પેટ ચીર્યું કે અંદરથી નાની ને મોટી ઘણીબધી ગણપતિની અને દશામાની મૂર્તિઓ, કોથળીઓ, કપડાં એવું શુંનું શું નીકળ્યું. મૂર્તિઓ પરના ઘરેણાં તો એવા ફસાઈ ગયાં હતાં કે કાપવા પડ્યાં.
વ્હેલના આ સફળ ઓપરેશન પછી બધા દરિયાઈ જીવોએ એક વખત સભા ભરી.
સભામાં નક્કી થયું કે આ માનવજાત પોતાના મોજશોખ માટે ઘણું કરે છે. પણ હવેથી આપને આ માનવજાત દ્વારા પધારાવાયેલી એક પણ મૂર્તિને અડવું નહિ અને બધાએ સાથે માંડીને દરિયાદેવને આજીજી કરી કહ્યું, “હે દરિયાદેવ! આ માનવજાતને સમજાવવી મુશ્કેલ છે. તો અમારી એક અરજ છે કે એમની પધારાવાયેલી વસ્તુઓનો તમે જ અસ્વીકાર કરી દેજો." દરીયાદેવે આ જળચર જીવોની વાત સ્વીકારી લીધી. ત્યારથી આવી કોઈ પણ વસ્તુ હોય તો દરિયાકિનારે પછી જ આવે છે.