ચોરની પૂજા
ચોરની પૂજા
સુંદરપુર નામ એક ગામ હતું. ગામમાં લોકો હળી મળી રહે. મહેનત-મજૂરી કરી હર કોઈ પોતાનું ગુજરાન ચલાવે.
આ ગામમાં હરિના નામનો એક ચોર પણ રહેતો હતો. લોકો લાડમાં તેને હરિયો કહી બોલાવતા હતા. નાની-મોટી ચોરી કરી હરિઓ પોતાનું અને પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરતો.
દિવાળીના તહેવારોના દિવસો ચાલી રહ્યા હતા ગામમાં લોકો રાત્રે પણ ચોક-ચોગારે બેઠેલા જોવા મળતા. આવા સંજોગોમાં હરિયો ઘણા દિવસોથી ચોરી કરી શક્યો નહીં. તે અને તેના પરિવારના લોકો શું ખાશે તેની ચિંતામાં હરિયાળી વિચાર કર્યો કે હવે તો બાજુના ગામમાંથી કે કોઈ મંદિરમાંથી પણ ચોરી કરવી. એ દિવસે રાત્રે હરિયો ગામમાંથી ચાલી નીકળ્યો. ગામ વટાવ્યું અને ખેતરોના રસ્તા ચાલુ થયા. ખેતરોના રસ્તે છેક દૂર એક મહાદેવજીનું મંદિર હતું. હરિયાને થયું કે જો બાજુના ગામમાં જઈશ તો સવાર પડી જશે,ખૂબ મોડું થશે એના કરતા આ મંદિરમાં જઈ જોવું કંઈ ચોરી કરવા જેવું હોય તો. આમ વિચારી હરિઓ મંદિરમાં ગયો પણ વગડાના મંદિરમાં ચોરવા જેવું હોય શું ? બિચારો હરિ મનથી દુઃખી દુઃખી થઈ ગયો. ત્યાં જ અચાનક તેની નજર શિવલિંગ ઉપર ભરાવેલા તાંબાના ઘડા ઉપર પડી. તેને થયું આગળ ચોરી ને વેચી દઈશ તો ચાલીસથી પચાસ રૂપિયા મળશે જ જેનાથી એકાદ દિવસનું ખાવા જેટલું મળી જશે.
હરિયાએ આજુબાજુ જોઈ ઘણા લાંબા વિચારો પછી ઘડો લેવા પોતાના હાથ લંબાવ્યા. પરંતુ ઘડો ઊંચો હોવાથી તે પહોંચાયો નહીં. તેણે થોડા કૂદકા પણ મારી જોયા. છેવટે હરિયાએ ઘડો લેવા પોતાના પગ શિવલિંગ ઉપર મૂકી દીધા અને ઉપર ચડી ઘડો ઉતારી લીધો.
ઘડો લઈ હરિયો ચાલવા લાગ્યો. ત્યાં જ તેને અવાજ સંભળાયો ઊભો રહે. હરિયો ગભરાયો તેના હાથમાંથી ઘડો નીચે પડી ગયો. તેને પાછળ વળીને જોયું તો સાક્ષાત મહાદેવજી અસંખ્ય તેજ વચ્ચે ઉભેલા દેખાયા. હરિયાએ મહાદેવજીને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું; "પ્રભુ હું આપનો ગુનેગાર છું આપ જે સજા આપો તે મને મંજૂર છે. " ભગવાન શંકર બોલ્યા; હું તારા પર પ્રસન્ન છું. જે માંગવું હોય તે માગ. આ સાંભળી હરિઓ આશ્ચર્ય ચકિત થયો,અને બોલ્યો પ્રભુ હુ ચોર છું, વળી તમારા શિવલિંગ ઉપર પગ મૂકી ચડ્યો છું. એટલે ચોરની સાથે સાથે હું મહાપાપી છું, મને સજાને બદલે કેમ વરદાન આપો છો ? મહાદેવજી ખુશ થઈને બોલ્યા, હે વત્સ લોકો મારી જુદી રીતે પૂજા કરે છે કોઈ મને પાણી ચડાવે છે તો કોઈ દૂધ, કોઈ બીલીપત્ર ચઢાવે છે તો કોઈ ફૂલ, કોઈ ભસ્મથી પૂજા કરે છે તો કોઈ કંકુ ચોખાથી, તો વળી ઘણા લોકો અવનવી વસ્તુઓ દ્વારા મારી પૂજા અર્ચના કરે છે. પણ તું તો મારો કેવો ભક્ત કે તે તો પોતાની જાતને જ મારા ઉપર ચડાવી દીધી. તારી પૂજા ભાવનાથી હું ખૂબ પ્રસન્ન છું તેથી માગ માગે તે આપું.
હરિયો ચોર રડી પડ્યો. ભગવાનના પગ પકડી બોલ્યો, મને વરદાન આપો કે હું મહેનત મજૂરી કરીને કમાવું અને હું સારા એવા કામ કરી શકું. મારા કુટુંબને હંમેશા મહેનતનો રોટલો ખવડાવું. ભગવાન શંકર બોલ્યા, તથાસ્તું અને અદ્રશ્ય થઈ ગયા.
આમ ચોર મહેનત અને ઈમાનદારીથી કમાવા લાગ્યો. તે ચોર મટી સજ્જન વ્યક્તિ બની ગયો.