અંગરક્ષક
અંગરક્ષક
એક રાજા હતો. તેણે એક વાંદરો પાળ્યો હતો. એ વાંદરો ખુબ જ હોંશિયાર હતો. તેને જે કંઈ શીખવાડવામાં આવતું તે ફટાફટ શીખી જતો. રાજા એ તેને ઘણી કળાઓ શિખવાડી હતી. રાજા એ તે વાંદરાને તીર ચલાવતા અને તલવાર ચલાવતા પણ શિખવાડ્યું હતું. વાંદરો રાજના ઘણા કામ કરતો હતો. તે રાજાને પોતાનો માલિક સમજતો હતો. અને રાજા પણ આ વાંદરાને ખુબ જ પ્રેમ કરતા હતા.
એ રાજાના એક પ્રધાન હતા. તે ખુબ જ હોંશિયાર અને રાજાના હિતેચ્છુ હતા. રાજા વાંદરાને પ્રેમ કરે તેનાથી પ્રધાનને વિરોધ ન હતો. પણ રાજા ઘણીવાર વાંદરા અને તેમના બીજા પ્રધાનોનો સરખામણી કરતાં. અને તેમાં વાંદરાને હોંશિયાર અને બીજા મંત્રીઓને ઓછા બુદ્ધિવાળા સાબિત કરતાં. આ વાત પ્રધાનને ગમતી નહિ. તેઓ ઘણીવાર રજાને સલાહ આપતા કે, ‘મહારાજ ગમે તેટલો હોંશિયાર હોવા છતાં આ વાંદરો એ વાંદરો છે. એક જનાવર છે. તેનો ભરોસો કરાય નહિ.’ પણ રાજા કોઈની વાત માનતા નહિ. તેમને એમ કે આ મંત્રીઓને મારા વાંદરાની ઈર્ષા આવે છે.
એમ કરતાં કરતાં વાંદરાની બધી જ તાલીમ પૂરી થઈ. એટેલે રાજાએ વાંદરાને પોતાનો અંગરક્ષક બનવાનું નક્કી કર્યું. પેલા પ્રધાને તો રાજાને ના જ પાડી કે ‘રાજાનો અંગરક્ષક બળવાન અને હોંશિયાર હોવો જોઈએ.' પણ રાજાએ કોઈની સલાહ માની જ નહિ.
હવે એક વખત એવું બન્યું કે રાજા મહેલમાં પોતાના કક્ષમાં આરામ કરતાં હતા. અને વાંદરો તેમનું ધ્યાન રાખીને બેઠો હતો. એટલામાં એક માખી ત્યાં ઉડતી ઉડતી આવી. અને રાજાના શરીર પર જ્યાં ત્યાં બેસવા લાગી. વાંદરો પોતાના હાથથી તે માખીને ઉડાડવા લાગ્યો. પણ માખી પણ હઠીલી હતી. વાંદરો તેને પગ પરથી ઉડાડે તો હાથ પર જઈને બેસે. હાથ પરથી ઉડાડે તો ગાલ પર જઈને બેસે. આમ માખીને વારંવાર ઉડાડી ઉડાડીને વાંદરો કંટાળી ગયો. તેને ખુબ જ ગુસ્સો પણ આવ્યો.
તેને તલવાર કાઢી માખીનેમારી નાખવાનું નક્કી કર્યું. એજ વખતે માખી મહારાજના નાક પર જઈને બેઠી. વાંદરો ગુસ્સે ભરાયેલો હતો જ. તેણે રાજાના નાક પર તલવારનો જોરથી ઘા કર્યો. માખી તો ઉડી ગઇ. પણ તલવારના ઘાથી રાજાનું નાક કપાઈ ગઇ. રાજા દર્દથી બુમ પાડી ઉઠ્યા. તેમની બુમ સંભાળીને બીજા મંત્રીઓ પણ દોડી આવ્યા. તેઓ વાંદરાના હાથમાં તલવાર જોઈને આખી વાત સમજી ગયા.
પછી રાજાને પોતાની ભૂલનો એહસાસ થયો. તેમણે વાંદરાને તાત્કાલિક જંગલમાં મૂકી આવવાનો આદેશ કર્યો. અને મંત્રીઓની માફી પણ માંગી. એટલે રાજા એ હમેશા પોતાના હિતેચ્છુ અને વિશ્વાસુ મંત્રીઓની સલાહ માનવી જોઈએ.