આશા
આશા
એક નાનકડા, પહાડોની વચ્ચે વસેલા સુંદર ગામમાં 'રામજીબાપા' નામના એક વૃદ્ધ ખેડૂત રહેતા હતા. ગામ આખામાં એમનું કાચા માટીનું ઘર સૌથી સાદું હતું, પણ એમના ઘરનું આંગણું એક અનોખી ચીજને કારણે પ્રખ્યાત હતું—એ હતું 'આશાનું વૃક્ષ'.
દસ વર્ષ પહેલાં જ્યારે ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે રામજીબાપાએ આ વડનું નાનું છોડવું વાવ્યું હતું. લોકો કહેતા, "બાપા, પાણી પીવા માટે નથી ને તમે આ ઝાડ પાછળ પાણી બગાડો છો?" પણ બાપા હસીને કહેતા, "માટીમાં આશા રોપો તો ફળ જરૂર મળે." એમણે પોતાના પીવાના ભાગનું થોડું-થોડું પાણી બચાવીને એ છોડને ઉછેર્યો.
ધીમે-ધીમે સમય બદલાયો, વરસાદ આવ્યો અને એ નાનો છોડ એક વિશાળ વડલો બની ગયો. એની ઘનઘોર છાંયડામાં ગામના બાળકો રમતા, મુસાફરો આરામ કરતા અને પક્ષીઓનો કલરવ ગૂંજતો.
એક દિવસ, ગામના એક યુવાન 'સમીર'ને શહેરમાં નોકરીની પરીક્ષામાં નિષ્ફળતા મળી. તે ખૂબ નિરાશ થઈને વડલા નીચે બેસીને રડી રહ્યો હતો. રામજીબાપા એની પાસે ગયા અને વડલાનું એક સૂકું પાંદડું એના હાથમાં મૂકીને બોલ્યા, "બેટા, આ પાંદડું ખરી ગયું કારણ કે એનો સમય પૂરો થયો હતો, પણ એના જવા પછ જ નવાં કુંપળો ફૂટશે. જિંદગીમાં નિષ્ફળતા એ અંત નથી, પણ એક નવી શરુઆતની કુંપળ છે."
સમીરને બાપાની વાત સમજાઈ ગઈ. એણે ફરીથી મહેનત કરી અને આગામી વર્ષે એ સફળ થયો.
વડલો માત્ર છાંયડો નહોતો આપતો, પણ લોકોને જીવવાની નવી દિશા પણ આપતો હતો. માણસ જો મનમાં શ્રદ્ધા અને આશા રાખે, તો કપરામાં કપરો સમય પણ વીતી જાય છે અને હરિયાળી પાછી આવે છે.
બોધ: આશા અને સતત પ્રયત્ન એ જીવનમાં સૌથી મોટો સહારો છે. સંજોગો ગમે તેવા હોય, જો શ્રદ્ધાનું બીજ વાવેલું હશે તો સફળતાનો વડલો જરૂર ખીલશે.
દીપાંજલિ
દીપાબેન શિમ્પી
