આ તે શી માથાફોડ ! ૩૨
આ તે શી માથાફોડ ! ૩૨
કોનું માનવું ?
બાપા કહે છે: "વહેલા ઊઠવું; વહેલાં ઊઠ્યે અક્કલ વધે."
બા કહે છે: "ઊંઘ પૂરી થાય ત્યારે ઊઠવું, વહેલાં ઊઠ્યે ઊંઘ બગડે. દિ' બગડે."
બાપા કહે છે : "થોડું ખાવું; ખૂબ ખાવાથી અળસ વધે."
બા કહે છે : "ભાવે એટલું જ ખાવું, ભુખ હોય તો જ ખાવું."
બાપા કહે છે : "એક જ વાર કળશે જવું, સવારમાં જ જવું."
બા કહે છે : "લાગે ત્યારે જવું; રોકી રાખવું નહિ."
બાપા કહે છે : "બપોર વચ્ચે ઊંઘવું નહિ; ઈ ટેવ ખરાબ."
બા કહે છે : " ઊંઘ આવે તો ઊંઘવું; ન આવે તો નહિ."
