સંસ્કાર
સંસ્કાર
"કેટલા દિવસ દીકરી ને ઘરે બેસાડી રાખવી છે તારે ? કે પછી એનાં પગાર પર તારુ ઘર ચાલે છે એટલે પરણાવવાની નિતી નથી તારી રેણુકા"
આવી તો કેટકેટલી વાતો રેણુકાને સાંભળવી પડતી. એનું હ્રદય જાણે છલની થઈ જતુ. રેણુકાને હંમેશ એક જ વાતનો ડર લાગતો કે જો દીકરીને આ વાતની ખબર પડશે કે લોકો આવું બોલે છે તો તે પણ અમારી માટે એવું જ તો નહી વિચારવા લાગે ને. કેટલા લાડકોડથી દીકરી ને ઉછેરી હતી. પોતાને તો દીકરો નહોતો. રેણુકા, જમાઈની સાથે જીવવા માટે પોતે જ તરસતી હતી. પણ દૂનિયાને એમ હતુ કે જાણે એ પૈસા માટે દીકરી ને પરણાવતી ન હતી.
પણ હવે રેણુકાએ લોકોને સમજાવાનું મુકી દીધુ હતુ. સગાવ્હાલાઓની એક જ વાત હતી કે અમે તારી દીકરીના લગ્ન કરી આપશું. તો કોઇક કહેતુ કે અમે સાદુ જમણ કરાવી આપશું તો કોઇ કહે કે અમે બે તોલા સોનું આપશું. રેણુકાને લાગતુ જાણે તે દીકરીને લઈને રસ્તા પર ઉભી હતી ને લોકોને કહેતી હતી કે મારી દીકરી પરણાવી દ્યો. દિવસે દિવસે રેણુકાની તબિયત બગડવા લાગી એને દિવસ રાત એક જ વિચાર આવતો કે કેવી રીતે પરણાવીશ દીકરીને ?
રેણુકાનાં વરને શેર માર્કેટમાં લોસ જવાથી તેઓ બધુ ગુમાવી બેઠા હતા. અને હવે દીકરી કમાવા લાગી હતી. પણ દીકરીનાં પૈસાથી પણ બસ ઘર જ ચાલતુ હતુ. કંઇ ખબર નહોતી પડતી કે કરવુ શું ? આ બધી વાતથી બેખબર રેણુકાની દીકરી પોતે પોતાનાં જોબમાં બહુ જ નિષઠાથી કામ કરતી હતી. અચાનક એક દિવસ ઓફીસમાં ફોન આવ્યો કે એની મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એ તરત જ હોસ્પિટલમાં પહોચી. ત્યાં પહેલેથી જ લોકોનું ટોળુ ઉભુ હતુ. મમ્મીની હલત બહૂ જ ખરાબ હતી. ત્યાં તેમણે પાછળથી કોઇક્ને બોલતા સાંભળ્યુ કે "કાલે જ મારી રેણુકા સાથે વાત થઈ હતી કે હવે તો દીકરી ને પરણાવ, જો એ જ ચિંતા એને ખાઈ ગઈ." અને રેણુકાની દીકરી મીનુ ને બધી વાત સમજાઈ ગઇ કે કેમ મમ્મી માંદી પડી.
બધા ઉભા હતા ત્યાં તે ગઈ અને કહ્યુ "આંટી, તમને બધાને મારીને મારી મમ્મીની બહુ ફિકર છે એનો મને આનંદ છે પણ જ્યારે હું ભણી રહી હતી ત્યારે મને ભણાવવાના પૈસા મારા પપ્પા એ જ ખર્ચ્યા હતા, દિવસ રાત નાં ઉજાગરા ને બધે બાજુ દોડધામ મારી મમ્મી જ કરતી હતી. ત્યારે કોઇ મારી સાથે નહોતુ. તો હવે મારે એમને સંભાળવાનાં છે. નથી મને લગ્નની જલ્દી કે નથી મારા મમ્મી પપ્પાને મારા પગાર માટે મને ઘરમાં રાખવી. અમે બધા એકબીજાનાં છે અને રહેશું તમે ચિંતા છોડી દ્યો તો સારુ રહેશે. તમે બધા પોતપોતાનાં ઘરે જાવ ને અમને જીવવા દયો."
બધાનું મોઢુ નીચુ થઈ ગયુ. ને બધા પોતપોતાનાં ઘરે ચાલ્યા ગયા.
બધાનાં ગયા પછી મીનુ મા પાસે ગઈ ને કહ્યુ,
"મમા તમે ફિકર ન કરો. જેને જે બોલવુ હોય તે બોલવા દ્યો. આપણા વચ્ચે કોઇ ગેરસમજ ઉભી નહી કરી શકે. મીનુની વાત સાંભળીને આજે રેણુકાને પોતાનાં સંસ્કાર પર ગર્વ થયો કે દીકરીને માતા પિતાની કદર હતી. એ પોતે જ ખોટુ ડરતી હતી.