સમજણ-૩
સમજણ-૩
અજયનો નામનો એક ધનવાન વ્યક્તિ હતો, તે પૈસાદાર હોવાથી તેણે નાના એવા શહેરમાં કોસ્મેટિકની એક એજન્સી લીધી હતી, તેની કોસ્મેટિકની બજારમાં બહુ ડિમાન્ડ રહેતી હોવાથી તે તેનો વધુ ફાયદો ઉઠાવતો.
પણ કહેવાય છે ને બારે બુદ્ધિ અને સોળે સમજણ આવે તો આવે નહિતર નહિ. અજય પણ આમાંનો એક હતો. તે ઘમંડી અને ઉગ્ર સ્વભાવનો હતો તેને ખબર હતી કે વેપારીઓ તેના માટે દૂધ દેતી ગાય સમાન હતા છતાં પણ તે તેની સાથે સારો વ્યવહાર રાખતો નહિ અને જે ને પણ કોસ્મેટિક તેની પાસેથી ખરીદી કરવી હોય તેનું પેમેન્ટ પહેલા આપવું પડતું પછી જ અજય બધા વેપારીઓને માલ મોકલતો.
પણ વેપારીઓને જેમ ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે તેમ તેવો ને અજય પાસેથી તેના ઉગ્ર વલણને લીધે કઈ ખરીદી ના કરવી હોય તો પણ તેવો ને તેની પાસેથી કોસ્મેટિકની ખરીદી કરવી પડતી. કારણ કે જે પણ ગ્રાહક આવતા તે બધા તેજ કોસ્મેટિક ખરીદતા.
વેપારી બધા તેના સ્વભાવ અને પેમેન્ટ રીતથી કંટાળી ગયા હતા છતાં પણ તેવો બધા તેની પાસેથી ખરીદી કરતા. વેપારીઓ તો તેને મોઢે મોઢ કહી પણ દેતા કે "શેઠ આવો સ્વભાવ સારો નહીં, અમારે લીધે જ તમારો ધંધો સારો ચાલે છે જો અમે બધા બંધ કરી દેશું તો તમને જ ફટકો પડશે માટે સમજો તો તમારે માટે સારું કહેવાય."
વેપારીઓની વાત સાંભળીને અજય હકારાત્મક જવાબ આપવાનો બદલે નકારાત્મક જ જવાબ આપતો, "તમારે લેવું હોય તો લો નહિતર બંધ કરી દો, મારે તમારા જેવા લુખ્ખા વેપારીઓની જરૂર નથી સમજ્યા."
વેપારીઓ પણ અજયથી થયેલું અપમાન અને નકારાત્મક જવાબ સાંભળીને મનમાં જ ભગવાનને પ્રાર્થના કરતા કે, "અમારા શેઠને સદબુદ્ધિ અને સમજણ આવે તો સારું, તે પૈસા તો ઘણા બધા કમાવી લેશે પણ પોતાની બધી આબરૂ ખોઈ દેશે."
ભગવાને વેપારી લોકોની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમાં એક વખત અજય સાથે તેનો દિકરો જે સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો તે તેની સાથે એજન્સી આવ્યો. તેનો દીકરો પણ તેના પાપાનો સ્વભાવ સારી રીતે જાણતો હતો. તે ઉંમરમાં નાનો હોવા છતાં તેને સમજણ હતી કે "રૂપિયા તો ગમે ત્યારે અને ગમે તેટલા જિંદગીમાં કમાવી શકીએ પણ જો એક વખત સમાજમાં આબરૂ ગઈ તેને લાખ પ્રયત્ન કરો તો પણ તે ફરી કમાવી શકતા નથી.
તેનો દીકરો અજયને કઈક કહેવા માંગતો હોય તેમ તેણે બીજી રીતે તેના પાપા ને એક પ્રશ્ન પૂછ્યું, "હે પાપા, હું આ તેજસ્વી સૂર્યને દરોજ જોવ છું, દરોજ તે તેના પ્રકાશિત કિરણોથી ધરતીને ચેતનવંતી કરે છે તો પણ તે સાંજ થતા કેમ અસ્ત થતો જાય છે, આનો અર્થ મારે જાણવો છે કે આમ કેમ થાય છે, આટલું બોલીને તે ચૂપ થઈ ગયો.
અજયને તેના દીકરાના પ્રશ્નથી કઈક છમકારો થયો હોય તેમ જવાબ આપવા લાગ્યો કે, "બેટા તેનો અર્થ એ છે કે દુનિયામાં ગમે તેટલો તાકાતવાન, શક્તિશાળી કે પૈસાદાર માણસ હોય તો પણ તેને જિંદગીમાં એક દિવસ અસ્ત થવાનું જ છે.
અજયનો જવાબ સાંભળી તેનો દીકરો કહેવા લાગ્યો, "તમે બધું જાણો છો છતાં વેપારીઓ સાથે આવું કેમ કરો છો." દીકરાની વાત નો અર્થ અજય જાણી ગયો હોય તેમ કહેવા લાગ્યો, "હવે બેટા તને વચન આપું છું કે કોઈ વેપારી સાથે હું ખરાબ વર્તન નહિ કરું. બસ હવે તો ખુશ ને " પાપાનો હકારાત્મક જવાબ સાંભળીને તેનો દીકરો ચુંબનનો વરસાદ વરસાવવા લાગ્યો અને મનમાં વિચારવા લાગ્યો મોડે મોડે પાપાને સમજણ આવી તે સારું જ છે, જાગ્યા ત્યાર થી સવાર તે આનું જ નામ,,
