સકારાત્મકતાનો શબ્દોત્કાર
સકારાત્મકતાનો શબ્દોત્કાર
સામાન્ય માણસના જીવનની વિવિધ પ્રક્રિયાઓ પણ સામાન્ય પ્રમાણમાં ચાલતી હોય છે, કંઈક નવું કરવા માટે વિચાર તો ઘણા આવે પરંતુ અમલમાં મૂકતાં ઘણો સમય જતો રહે છે. ફક્ત ક્રાંતિકારી વિચારોથી કંઈ નથી થતું, તે વિચારો અમલમાં મૂકીએ તથા તેને સફળ બનાવવા મહેનત કરીએ ત્યારે જ વિચારો જિંદગીમાં જીવંત થશે. વિચારો જીવંત કરવા માટેના પ્રયાસો જે શરૂ કરાવી શકે એનો ફાળો ખરેખર મહત્વનો હોય છે.
મારા અનુભવની વાત કરું તો નાના મોટા વળાંક તો ઘણાંય આવ્યા ગયા પરંતુ એક એવો વળાંક આવ્યો કે તે વળાંક પછી મને ફક્ત આગળ જોવાની જ આદત પડી ગઈ. ધ્યેય સુધી પહોંચવા માટેની સફરમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા તથા મુશ્કેલીઓને હરાવવા માટે, તથા ચાલી ચાલીને થાકી જતાં મને પ્રેરણા જો કોઈએ આપી હોય તો તે એક પુસ્તકે આપી છે.
પુસ્તકો સારા મિત્રો હોય છે એવું સાંભળ્યું હતું, પરંતુ જ્યારે ખરેખર અનુભવ્યું ત્યારે આ વાક્યને મેં મારા જીવનનો આદર્શ બનાવ્યો.
મારા જીવનમાં પણ એક એવો સમય આવ્યો હતો જ્યારે બધુજ હતું પરંતુ મન એકલું થઈ ગયું હતું. વસ્તીની ગીચતામાં પણ મન એકલું પડી ગયું હતું. પ્રશ્નો વધતા હતા દિન પ્રતિદિન પરંતુ જવાબો સંતાઈ ગયા હતા. અમુક નિષફળતાઓને કારણે સફળતાની આશા જ છોડી દીધી હતી. આવા ઘેરા અંધારામાં પ્રકાશના કિરણ સ્વરૂપે 'લુઈસ એલ હે'ના નિર્જીવ શબ્દો આ મનમાં જીવન્ત આશા જગાવી અજવાળું મોકલ્યું.
'યુ કેન હિલ યોર લાઈફ' પુસ્તક 'લુઈસ એલ હે' લેખક દ્વારા લખાયેલું ખુબજ પ્રેરણાદાયક પુસ્તક છે. ધીરે ધીરે મેં મારી દિનચર્યામાં એ પુસ્તક માટે સમય કાઢ્યો. જેમ જેમ એ પુસ્તકના શબ્દોની ઊંડાઈમાં ગઈ તેમ મારી મનોશક્તિ ખૂબ જ સકારાત્મક તથા મજબૂત બનવા લાગી. હારી ગયેલા વિચારોમાં જીતવા માટે ઝઝૂમવાની વૃત્તિનો સંચાર થયો તથા આવી જ રીતે મારા જીવન ને સકારાત્મક વળાંક મળ્યો.
'ગાંધીજીના સત્યના પ્રયોગો' તથા 'અગણપંખ' જેવા પુસ્તકો પણ મારા માટે સકારાત્મક વિચારો માટેના આદર્શ બની રહ્યા છે. નિર્જીવ પુસ્તકના સજીવ શબ્દો સાથેનો મારો જીવંત સંબંધ જ્યારે જન્મ્યો ત્યારથી મારી અંદર હકારાત્મક ક્રાંતિ વસવા લાગી.
આ હતો મારા જીવનનો એક કિંમતી પાસો જે મેં 'શબ્દાત્કાર' દ્વારા રજૂ કર્યો. શબ્દો દ્વારા મારી સકારાત્મકની આ રજુઆત 'સકારાત્મકનો શબ્દાત્કાર'.