કુદરતનો નજારો
કુદરતનો નજારો
નિયમિત સવારે સાતથી રાત્રે નવ વાગ્યા સુધી ઓફિસ સંભાળતા ભરતભાઈ લોકડાઉનથી ઘરમાં જ પુરાઈ ગયા. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના મહામારીથી ચારેબાજુ કોરોનાની ચર્ચા રહેતી. લોકડાઉનથી પ્રદૂષણમાં ઘટાડો થતાં પ્રકૃતિ ખીલવા લાગેલી. મીડિયા અને અખબાર વાંચીને કુદરત દવારા થતા પ્રકૃતિમાં ફેરફારની ચર્ચા તેમના પત્ની ભાવનાબેન, પુત્ર સુસ્મિત અને પુત્રી નિકિતા કરતા, ત્યારે ભરતભાઈ કહેતા કે હું રૂબરૂ જોઈશ ત્યારે જ માનીશ.
ભરતભાઈ નિયમિત ઓફિસ જવા સવારે પાંચ વાગ્યાનું એલાર્મ મૂકતા. આમ તો એમનું એલાર્મ ભાવનાબેન જ હતાં. લોકડાઉન ખુલતાં સવારે એલાર્મ પહેલાં પક્ષીઓના કુદરતી કલરવથી ભરતભાઈ જાગી ગયા. વિસરાઇ ગયેલા પક્ષીઓના અવાજો સાંભળી પ્રફુલ્લિત થઈ ગયા. બહાર નીકળી, જોયું તો સ્વચ્છ આકાશ, શુધ્ધ હવા સુંદર દૃશ્ય જોઈને વાહ ! કુદરત તારી કળા !
ઓફિસે જતાં રસ્તામાં પ્રદૂષણનો ઘટાડો સ્પષ્ટ નજરે ચડ્યો. દૂરના ડુંગરા પણ સ્પષ્ટ દેખાતા હતા. નદી-નાળાનું પાણી શુદ્ધ થઈ ગયુ હતું. પશુ પક્ષીઓ મન મૂકીને નાચી રહ્યાં હતાં. પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી હતી. કુદરતનો નજારો નિહાળતાં નિહાળતાં ઓફિસ પહોંચી ગયા.
ઑફિસથી ઘરે આવીને પરિવાર સાથે વાતચીત કરતાં અનેરા ઉત્સાહથી કહ્યું: આજે મારા દિલને સંતોષ થયો છે. લોકડાઉનના દિવસોનો કંટાળો આનંદમાં પરિણમ્યો છે. હવે મારી ઊંઘ એલાર્મથી નહિ પણ કુદરતના કલરવથી ખુલશે. કુદરતના નજારાનું વર્ણન કરતાં તેમનો અંતરઆત્મા બોલી ઉઠ્યો: આપણી સરકાર હજારો કરોડો રૂપિયા ખર્ચ કરીને પણ જે કામ ન કરી શકી એ કામ આજે લોકડાઉનના દિવસોમાં કુદરતે કરી બતાવ્યું છે. ખરેખર કુદરતની રચના ન્યારી છે. દુનિયાનો ખજાનો છે કુદરતનો નજારો.