દર્શન (જીર્ણોદ્ધાર)
દર્શન (જીર્ણોદ્ધાર)
ભાવનગર પાસેના નાના ગામમાં દર્શને જવાનું થયું. વરસાદની મૌસમ. વાદળ છાયું વાતાવરણ. બસમાં ગામ પહોંચ્યા. ગામ માં ગીર્દી હતી. ઘણી બધી મોટર કાર પાદરમાં પાર્ક કરેલી હતી. ગામમાં ગયા તો ખબર પડી કે મંદિરના જીર્ણોદ્ધાર માટે લોકો ગામમાં આવેલા છે. ગામના મૂળ વતનીઓ જે મુંબઈ અમદાવાદ વિગેરે શહેર માં રહેતા હતા તે બધા આવ્યા હતા. નાની એવી ગલીમાંથી અંદર ગયા તો મંદિર ની બાજુ માં એક મોટી જગ્યામાં લોકો ભેગા થયેલા. મંદિરની પ્રતિષ્ઠા નો લાભ લેવા માટે બોલી બોલાતી હતી. મને રસ પડ્યો એટલે એક બાજુ ઉભો રહ્યો.
કોઈ બોલ્યું અગિયાર લાખ. મને નવાઈ લાગી કે આટલી મોટી રકમ ! ત્યાંતો બીજું કોઈ બોલ્યું એકવીશ લાખ. આમ બોલી ચાલતી રહી. કોઈ તો ફોને કરી ને કોઈ ને પૂછી ને બોલી લગાવતા હતા. અડધી કલ્લાકમાં તો રકમ એક કરોડ એક લાખ પહોંચી ને મુંબઈના કાંતિભાઈ શેઠ ની બોલી મંજુર થઇ. મંદિરના જીર્ણોધાર માટે એટલા પૈસા મળ્યા. બધા ખુશ હતા. કાંતિભાઈ શેઠની જય બોલાણી.
હું ત્યાંથી બહાર નીકળ્યો. મંદિર બાજુ તો ભીડને લીધે જવાય તેમ નહોતું. એટલે થયું કે ચાલો ગામમાં આંટો મારી આવીયે પછી દર્શન કરીશું... એક શેરીના ખૂણા ઉપર એક લારીમાં પ્લાસ્ટિક ના રમકડાં વેચતો એક ફેરીઓ ઉભો હતો. તૂટેલી લારી. મેલા ઘેલા કપડાં. નિરાશ વદન. મેં પૂછ્યું કે બપોરના બે વાગ્યા છે તારે ઘરે જમવા નથી જવું ! લારી વાળો મારી સામે જોઈને હસ્યો ને કહે સાહેબ થોડા પૈસા ભેગા કરવા છે. ખોલીનું છાપરું પડું પડું થાય છે ને વરસાદ માથે છે એટલે થાય છે કે, બને એટલો ધંધો કરી લઉં. મેં પૂછ્યું કેટલો ખરચ થાય એમ છે. તો કહે ઓછામાં ઓછા બે હજાર થશે. મેં ખીસા માં જોયું તો ત્રેવીસો રૂપિયા હતા. તેમાંથી બે હાજર રૂપિયા તેના હાથમાં મુક્યા અને એ કંઈ બોલે પહેલા હું ચાલવા મંડ્યો. મંદિરમાં દર્શન કરવાનું માંડી વળ્યું. પણ મનમાં કાંતિભાઈ શેઠ કરતા મોટું દાન કાર્ય નો સંતોષ હતો.