અતુલ્ય ભારત
અતુલ્ય ભારત
દુનિયામાં અત્યારે એકસો પંચાણું જેટલા દેશો છે. કોઈ વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે તો કોઈ વસ્તીની દ્રષ્ટિએ. ભારત પણ આ એકસો પંચાણું દેશો માનો એક દેશ છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત દુનિયામાં બીજા સ્થાને છે. ભારતની વસ્તી ૧૩૨.૪૨ કરોડ (૨૦૧૬ની ગણતરીને આધારે) છે. ૩૨.૮૭ લાખ સ્ક્વેર કિમિ વિસ્તાર ધરાવતો દેશ ભારત દુનિયામાં અનોખું સ્થાન ધરાવે છે.
ભારતમાં હાલ બાવીસ જેટલી ભાષાઓ બોલાય છે જેમાં અસામી, ગુજરાતી, હિન્દી, ઉર્દુ, સંસ્કૃત, બંગાળી, પંજાબી, કશ્મીરી, તેલગુ, મલયાલમ, સિંધી જેવી ભાષાનો સમાવેશ થાય છે. ભારતમાં વિવિધ ધર્મો પાળતા લોકો રહે છે. હિન્દૂ, ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, સિક્કિઝમ જેવા અનેક ધર્મોને ભારતમાં સ્થાન મળ્યું છે. ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ ધરાવતું ભારત પોતાની આગવી છાપ આપે છે.
દેશમાં દિવાળી, હોળી, ઉતરાયણ, ઇદ, મોહરમ, નવરાત્રી, રક્ષાબંધન, પોન્ગલ, ગણેશ ચતુર્થી, દશેરા, ગૌરીપૂજા, જેવા અનેક તહેવારો ઉજવાય છે. ભારત પોતાની આ પરંપરા અને રીતિ-રિવાજો અને તહેવારોથી જ દુનિયામાં પ્રખ્યાત છે.
ભારત તહેવારોનો દેશ છે, ભારત પવિત્ર યાત્રાઓનો દેશ છે, જેવી કે હજયાત્રા, અમરનાથ યાત્રા, કાશીયાત્રા , રથયાત્રા. ભારત વિભિન્ન કપડાઓ માટે પણ પ્રસિદ્ધ છે. સારી, સાફો, ધોતી, કેડયું, કુરતો, ઓઢણી, બાંધણી, ખાદી, બુરખો, લુંગી, ચણિયાચોળી જેવા વિવિધ કપડાઓ આપણાં ભારતની જ ઉપજ છે. ભારત મેળાઓ માટે પણ પ્રખ્યાત છે. ભારતમાં કુંભનો મેળો, પુસ્કરનો મેળો, તરણેતરનો મેળો જેવા વિવિધ મેળાઓ ભરાય છે અને લોકો એનો આનંદ માણે છે.
તદુપરાંત બોલિવૂડ પણ ભારતને દુનિયામાં અનોખી છબી દર્શાવવા માટે એક સ્થાન આપ્યું છે. શાહરુખખાન, સલમાનખાન, આમિરખાન, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, રિશી કપૂર, શશી કપૂર, રણવીરશિંઘ, દીપિકા પાદુકોણ, માધુરી દીક્ષિત, જયા બચ્ચન, નરગીસ, શર્મિલા ટાગોર, આશા ભોંસલે, લતા મંગેશકર, જાવેદ અખ્તર, સમીર, એ. આર. રહેમાન જેવા કલકારો, ગીતકારો અને ગાયકો એ ભારતને દુનિયામાં ખુબ જ નામના અપાવી છે.
યોગા અને યોગ ગુરુના કારણે પણ ભારત પ્રસિદ્ધ છે. બાબા રામદેવ અને બીજા યોગ ગુરુની મદદથી ભારત એ દુનિયામાં નામના મેળવી છે અને હવે તો ૨૧ મી જૂનને વૈશ્વિક યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઐતિહાસિક સ્થળો અને ઇમારતોમાં દુનિયાની ૩૫ જેટલી ઐતિહાસિક ઇમારતોને ભારત સાચવીને બેઠું છે. નાલંદા, રણકી વાવ, હિમાલયા, અજંતા ઇલોરાની ગુફાઓ, તાજમહલ , સૂર્ય મંદિર, જંતર મંતર, લાલ કિલ્લો જેવી અનેક અજાયબીઓ ભારત પાસે આજે પણ ઉપલબ્ધ છે.
ભારત પોતાના નૃત્ય માટે પણ ખુબ પ્રખ્યાત છે. સાંસ્કૃતિક નૃત્ય, ફોલ્ક નૃત્ય, કલાસિકલ નૃત્ય જેવા વિવિધ નૃત્યના પ્રકાર છે. ભરતનાટ્યમ, કથક, કુચિપુડી, જેવા વિવિધ નૃત્યો દુનિયાભરમાં ભારતને આગવી ઓળખ અપાવે છે. ભારતના વિવિધ ભોજન ગુજરાતી થાળી, દાલબાટી, રસગુલ્લા, પાણીપુરી, ભેળ, ઢોસા, ઈડલી, પંજાબી જેવા અનેક રસથાળ ભારત ના વિભિન્ન સ્વાદની પરખ કરાવે છે.
ભારતમાં વિભિન્ન આભૂષણો પહેરવામાં આવે છે. જેમ કે મંગળસૂત્ર, રુદ્રાક્ષ, તુલસીની માળાં, માંગ ટિકો, કાનના એરિંગ્સ, નાકની નથ , ગળાનો હાર, હાથમાં બંગડી, પગમાં પાયલ, કેળે કંદોરો જેવા વિવિધ આભૂષણો ભારતની જ દેન છે.
ભારતમાં દરેક ક્ષેત્રે મહાપુરુષો જન્મ્યા. ચાહે આઝાદીની લડાઈ હોય કે વિજ્ઞાનના સંશોધન, નામચીન ઉદ્યોગપતિ હોય કે પછી દેશના રમતવીરો. મહાત્મા ગાંધીજી, ભગતસિંહ જેવા દેશની આઝાદીના લાડવૈયાઓ આ ભારત માની કોખે જ જન્મ્યા. અબ્દુલ કલામ, હોમી ભાભા, વિક્રમ સારાભાઈ જેવા વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકો એ દેશને આગવી ઓળખ આપી. મુકેશ અંબાણી, અનીલ અંબાણી, રત્ન ટાટા જેવા ઉદ્યોગપતિઓ એ ભારતનું સ્થાન વૈશ્વિકસ્તરે ખુબ ઊંચું કર્યું. વિરાટ કોહલી, સચિન તેંડુલકર, રોહિત શર્મા, કપિલ દેવ, એમ. એસ. ધોની, મેરી કોમ, સંગ્રામ શિંઘ, અભિનવ બિન્દ્રા, સાનિયા મિર્ઝા જેવા રમત વીરો એ વૈશ્વિક જગતમાં ભારત પણ રમતગમતમાં આગવું સ્થાન ધરાવે છે એવું પુરવાર કર્યું.
આજે ભારત પાસે સૌથી વધુ યુવાધન છે. ભારતમાં કોઈપણ કાર્ય કરવા માટે સક્ષમ યુવાઓ છે. ભારતમાં મેહમાનોને દેવ તરીકે માની એમની મહેમાનગતિ કરવામાં આવે છે. અંગ્રેજો, ફિરંગીઓ, મુઘલો જેવા અનેક લોકો એ આ દેશને પોતાના કબજામાં લેવાની અને લૂંટવાની કોશિસ કરી પણ ભારત દરેક પરિસ્થિતિમાંથી ઉભરી આવ્યું અને આજે સ્વતંત્ર ભારત બનીને દુનિયા ના નકશામાં સોનાની ચીડિયાની જેમ ચમકે છે.
ભારતને બરબાદ કરવા અમેરિકા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન જેવા અનેક દેશોએ ઘણા પ્રયત્નો કર્યા. પણ ભારત દરેક પરિસ્થિતિમાં જીત્યું. આજે પણ દેશમાં ઘણા આંતરિક દુશ્મનો છે જે જાતિવાદ, ધર્મવાદ, પૈસાના કૌભાંડો, ઘણા નેતાઓ, પૈકીના કોઈ ને કોઈ નજરે પડે છે. પણ દેશમાં સારા લોકો આ નહિવત લોકોના પ્રમાણ માં વધારે છે. જેમકે વફાદાર પોલીસ ઓફિસર, દેશની સરહદ અને જરૂર પડે ત્યારે દેશની આંતરિક હિફાઝત કરવાવાળા જવાનો. દેશના સમાજસેવકો, દેશના હિતેચ્છુ શિક્ષકો, વૈજ્ઞાનિકો. જેના કારણે દેશને આજે પણ ગૌરવથી દુનિયામાં સર ઉઠાવતા કોઈ રોકી શકતું નથી.
"મારુ ભારત અતુલ્ય, અખંડ અને બિનસાંપ્રદાયિક છે.'
