અહેસાસ
અહેસાસ


"એ તમને ના સમજાય, તમે શાંતિ રાખો હમણાં. હું મોટો થઈ ગયો છું. મને ખબર પડે છે શું કરવું અને શું ના કરવું એની. ભલે ધંધો તમે શરૂ કર્યો એને આટલે આગળ સુધી તમે લાવ્યા હવે આ ધંધાને આનાથી પણ વધુ આગળ હું વધારીશ. બસ તમે મને મારી રીતે કામ કરવા દો અને તમે નિરાંત રાખો."
જ્યારે દીકરા અનિકેત એ મને આવું કીધું ત્યારે મારી જિંદગીના ૩૫ વર્ષની એ ધંધા પ્રત્યેની મહેનતના દિવસો યાદ આવી ગયા. જે કાપડનો ધંધાને મેં મારા હાથે શરૂ કર્યો હતો. આટલી ઉંચાઈ સુધી લાવ્યો તેમાં આગળ નવી નવી પદ્ધતિઓ અપનાવીને ધંધાને વેગ આપ્યો હતો અને મારો દીકરો કહે છે કે મને ખબર ના પડે.
અનિકેત એ જ્યારે તેનું ભણતર પૂરું કર્યું ત્યારે થયું કે હવે તે મને ધંધામાં મદદ કરશે અને કરતો પણ ખરી. મારા જેટલી કે મારાથી વધારે ધંધાને આગળ વધારવામાં મદદ કરતો.
પણ અમુક સમયે નાદાનીમાં ખોટા નિર્ણયો લેતો જેના કારણે તેને હું શાંતિથી સમજાવતો. થોડા સમય પછી થયું કે અનિકેત હવે પૂરો સમજદાર થઈ ગયો છે. તે પુરી તકેદારીથી ધંધામાં ધ્યાન આપતો. એટલે મેં ધંધામાં ધ્યાન આપવાનું ઓછું કરી દીધું હતું.
પણ જ્યારે મને ખબર પડી કે અનિકેત કાપડને ઓનલાઈન વેચાણની પદ્ધતિમાં વધારે ધ્યાન આપે છે ત્યારે હું અનિકેત ને સમજાવવા ગયો તો અનિકેત એ મને ઘણું કહી દીધું હતું. અને અંદાજે એકાદ મહિના પછી, અનિકેત મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે,
અનિકેત : "પપ્પા મારી ઓનલાઈન વેચાણની પદ્ધતિમાં ધંધાને ઘણી ખોટ ગઈ છે હું શુ કરું હવે મને કાઈ જ સમજાતું નથી."
ત્યારે જ મેં અનિકેત ને કહ્યું કે "તને મેં ઘણું સમજાવવાની કોશિશ કરી પણ તું ના સમજ્યો. પણ કાંઈ વાંધો નઈ બેટા તું ચિંતા ના કર બધું ઠીક થઈ જશે."
ત્યારે ખબર નહીં કેમ પણ અનિકેતની આંખોમાં આંસુ આવી ગયા હતા. કદાચ એવું બની શકે કે તેને તેની ભૂલનો અહેસાસ થયો હોય પણ તેણે મને ત્યારે કાઈ જ ના કીધું. ધંધાને થયેલી ખોટ તો મેં મારી રીતથી પુરી નાખી હતી. પણ અનિકેતના કિધેલા અમુક શબ્દો દિલમાંથી જતા ના હતા.
પણ તે દિવસે અનિકેત ફરી મારી પાસે આવ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો અને વારંવાર કહ્યે રાખતો કે "મારાથી બહુ મોટી ભૂલ થઈ છે પપ્પા મને માફ કરી દો. તમે મારા કરતા વધારે સમજદાર છો, હું જ ના સમજ છું. મને જ કાંઈ ખબર નથી પડતી. તમે દર વખતે મને સમજાવતા રહ્યા અને હું સમજતો જ નહિ. અને મેં તમારા પર ગુસ્સો કર્યો તમને ના કહેવાના શબ્દો કીધા. અને તો પણ તમે ક્યારેય મારો સાથ ના છોડ્યો. મને દરેક મુશ્કેલીઓથી બચાવ્યો. પપ્પા મારાથી ઘણી બધી ભૂલો થઈ છે પણ મને માફ કરી દો."
તે સમયે દિલમાં હાશકારો અનુભવાયો અને થયું કે અનિકેતને તેની ભૂલનો અહેસાસ તો છે. એ જ સારી વાત છે. ભૂલ થઈ હોય તેનો અહેસાસ થવો અને તેનો સ્વીકાર જ સાચા માણસની એક ઓળખ છે.