વ્યસનની અસર
વ્યસનની અસર
સુર્યનગર નામનું એક સુંદર ગામ હતું. ગામ ખુબ જ સ્વચ્છ અને રળિયામણું હતું. ગામના લોકો પ્રમાણમાં સુખી હતા. તે ગામમાં અનેક પરિવાર રહેતા હતા. તેમાં એક પરિવાર ભરતનો પણ હતો. ભારતના પરિવારમાં ત્રણ સભ્યો હતા. એક ભરત, બીજી તેની પત્ની રાધા અને ત્રીજો તેનો ૫ વરસનો દીકરો રાજુ. ભરતનો પરિવાર આમ તો સુખી હતો. પણ ભરતને સિગરેટ પીવાની ખરાબ ટેવ હતી.
આ ભરત દિવસમાં કેટલીય સિગારેટ પી જતો હતો. તેની સીગારેટમાંથી નીકળતો ધુમાડો આખા ઘરમા ફેલાઈ જતો હતો. તે સિગારેટ પીતી વખતે આજુબાજુ જોતો નહિ. ઘણીવાર તો તે નાના રાજુની હાજરીમાં જ તેની સામે જ સિગારેટ પીતો. રાજુ આ બધું જોયા કરતો. તેણે પણ પપ્પાની જેમ સિગારેટ પીવાની ઈચ્છા થતી. હવે એક વખત ભરત પોતાના કપડા કાઢીને બાથરૂમમાં ન્હાવા ગયો. એ વખતે નાનો રાજુ ત્યાં રમતો હતો. તેણે પપ્પાના કાઢેલા કપડાના ખીસામાં સિગારેટનું પેકેટ જોયું. તેણે પપ્પાના ખીસામાંથી સિગારેટ કાઢી અને પીવા લાગ્યો.
જેવી તેણે સિગારેટ સળગાવીને ધુમાડો મોઢામાં ખેંચ્યો, બધો જ ધુમાડો તેની સ્વાસ નળીમાં ચાલ્યો ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે જોર જોરથી ઉધરસ આવવા લાગી. તે જોર જોરથી રડવા લાગ્યો. તેનો રડવાનો અવાજ સાંભળીને ભરત અને તેની પત્ની રાધા દોડીને આવી ગયા. રાજુ જોર જોરથી ઉધરસ ખાતો હતો અને રડતો હતો. એટલે ભરત તરત જ તેને ડોક્ટર પાસે લઇ ગયો. ડોક્ટરે દવા કરીને રાજુના મોઢામાંથી ધુમાડો કાઢી નાંખ્યો.
તેમણે ભરતભાઈને સમજાવ્યું કે ‘તમે બાળકને દેખતા સિગારેટ પીશો તો બાળક પણ તમને જોઈને સિગારેટ પિતા શીખવાનું જ છે, માટે તમારે બાળકને દેખતા સિગારેટ ન જ પીવી જોઈએ. બીજું કે બાળક સિગારેટ ન પીવે પણ જો તમે બાળકની નજીકમાં બેસીને સિગારેટ પીશો, તો પણ તેમાંથી નીકળતો ધુમાડો બાળકને નુકસાન કરવાનો જ છે. અને આ સિગારેટ પીવાથી કેન્સર જેવી બિમારી થાય છે.’ આ બધું સંભાળીને ભરત ચમકી ગયો. અને તેણે ડોક્ટરને પ્રોમીસ કર્યું કે તે આજ પછી કોઈ જાતનું વ્યાસન નહિ કરે. અને બીજાને પણ વ્યસન નહિ કરવા સમજાવશે.