વિના સહકાર નહિ ઉદ્ધાર
વિના સહકાર નહિ ઉદ્ધાર
નદી કિનારે એક ગામ હતું. તે ગામમાં અનેક લોકો રહેતા હતા. તે ગામમાં એક નાનો વેપારી પણ રહેતો હતો. તે ફળ વેચવાનો ધંધો કરતો હતો. તે રોજ સવારે આંબાવાડીમાં કેરીઓ લેવા માટે જતો હતો. આંબાવાડી નદી કિનારે જ હતી. તે જ ગામમાં ગરીબ માણસ રહેતો હતો. તેની ઝુંપડી પણ નદી કિનારે જ હતી.
એકવાર પેલો ફળવાળો વેપારી આંબાવાડીમાં કેરીઓ તોડવા માટે આવ્યો. તે ટોપલી લઈને આંબાના ઝાડ પર ચડ્યો. અને કેરીઓ તોડવા લાગ્યો. તોડેલી કેરીઓ તેણે ટોપલીમાં એકઠી કરી. એ ટોપલી લઈને નીચે ઉતરવા જતો હતો. એટલામાં એનો પગ ખસ્યો. અને માથા પરથી ટોપલી નીચે પડી ગઇ. સાથે બધી કેરીઓ પણ પડી ગઇ. નીચે તો નદી હતી. એટલે બધી જ કેરીઓ ટોપલા સાથે નદીમાં પડી.
હવે આ વેપારીને તો તરતા આવડતું ના હતું. એટલે તે લમણે હાથ મુકીને નદી કિનારે બેસી ગયો. એટલામાં પેલી ઝુંપડીમાં રહેતો ગરીબ માણસ ત્યાં આવ્યો. આ વેપારીને લમણે હાથ દઈને બેઠેલો જોઈને તેણે પૂછ્યું, ‘કેમ ભાઈ આમ લમણે હાથ દઈને બેઠા છો?’ પેલા ફળવાળા વેપારીએ કહ્યું, 'ભાઈ મારી કેરીનો ટોપલો અને બધી કેરીઓ આ નદીના પાણીમાં પડી ગઇ. અને મને તરતા આવડતું નથી. હવે હું શું કરું?’ આ સાંભળી પેલા ગરીબ માણસે કહ્યું, ‘જો હું તમને તમારી કેરીઓ અને ટોપલો કાઢી આપું તો મને શું આપશો?’ વેપારીએ કહ્યું, ‘જો તમે કેરીઓ અને ટોપલો કાઢી આપો તો અડધી કેરીઓ તમારી.’
આવી શરત થયા પછી પેલો ગરીબ માણસ નદીના પાણીમાં પડ્યો. તેને તરતા આવડતું હતું. તે ડૂબકી મારીને નદીમાં નીચે ગયો. ત્યાંથી બધી જ કેરીઓ અને ટોપલો લઇ પાછો ઉપર આવી ગયો. તેને પાછો આવેલો જોઈ પેલો વેપારી ખુશ થઈ ગયો. તેણે અડધી કેરીઓ વાયદા પ્રમાણે પેલા ગરીબને આપી અને બાકીની કેરીઓ અને ટોપલો લઈને ચાલતો થયો.
આમ પરસ્પર સહકારથી કામ કરવાથી બધાનું કામ થાય છે. એટલે જ તો કહ્યું છે, ‘વિના સહકાર નહિ ઉદ્ધાર.’