સંબંધોનું સાફલ્ય
સંબંધોનું સાફલ્ય
પ્રીતિ સામાન્ય ઘરની દીકરીની એક સત્ય કથા. પણ, માણસની ઓળખાણ એના સામાન્ય ઘરથી નથી થતી હોતી. એના અસામાન્ય જીવનમૂલ્યો અને ગુણોથી જ અંકાય છે. આવાં જ અજાયબીય પ્રેમ, ભોળપણ, નિખાલસતા, સત્ય, શાંતિ, ખુમારી અને ખુશીઓનાં ગુણોથી ભેરલી પ્રીતિને નાનપણથી જ તારુ-મારું, સારું-ખરાબ અને પારકાં-પોતાનાં જેવાં કુલક્ષણો સાથે કોઈ લેણાદેણી જ નહીં. જેવું જીવન છે બસ એમ જ જુએ. એટલે નાનપણથી જ કંઈક તો જુદી તરી આવતી. પણ, જ્યાં જુદું હોય છે, ત્યાં સંઘર્ષ પણ સૌથી જુદાં હોય છે.
પ્રીતિની ઉંમર તો નાની જ હતી, ત્યાં એનો અસામાન્ય મોટો સંઘર્ષ એની પાસે પહોંચી ગયો. અમુક અસામાન્ય શારીરિક સમસ્યાઓ આવી ચડી.. જેમ અભિમન્યુને યુઘ્ધનાં મેદાનમાં એક પછી એક સાત ચક્રો તોડીને આગળ વધવાનું હતું.. એમજ, પ્રીતિને પણ આ આકાશી આફતોનો સામનો કરવાનો હતો. પણ કેવી રીતે અને આવું કેમ...? આ મૂંઝવણ ખરી. નાનપણથી જ સ્વભાવે ચિંતા નહીં પણ ચિંતન આવે. સંઘર્ષ કે સફળતાઓની ઘટનાઓમાં હંમેશા સાંભળ્યું છે કે, કોઈ ગોડ ફાધર કે કોઈ ગોડ મધર યા કોઈ ગુરુ હોય જ. પણ, પ્રીતિ માટે આવું ન બન્યું... બધું અને બધાં હોવા છતાં કોઈ ન હતું. પણ, આવા સમયે જ સ્વયંની અંદર જોતા આવડે. કોરા કાગળમાં ધારી તો ઘણું બધું લખી કે ચીતરી શકાય.. પણ, હાથમાં પેન્સિલ પકડતા આવડે પછી. પ્રીતિ પણ અવનવા જીવનમાં આવતા અસામાન્ય સંઘર્ષો સાથે રમવું શીખી રહી હતી. બહારની દુનિયા અને લોકો માટે હંમેશા હાજર એવી પ્રીતિ પોતાને ભૂલતી જઈ રહી હતી.. એક વખત'તો દિમાગ એકદમ સુન્ન બનીને ખાલી થઈ ગયો.. જાણે જીવન પૂરું સમજો. પણ બીજી જ સેકન્ડમાં બધું નોર્મનલ થઈ ગયું. જાણે નવજીવન મળ્યું હો. પ્રીતિ આ જોઈને અચંભીત થઈ ગઈ. અને પોતાની અંદર કૌવત કરતી કુદરતને ઓળખવાનાં રસ્તે વળગી ગઈ. જાણે ઈશ્વર સ્વયં ગુરુ બનીને શીખડવાતો હતો. પણ ઈશ્વર દેખાતો નથી. એટલે જલ્દીથી સમજાતો પણ નથી.
પ્રીતિને પણ સમજાતું ન હતું કે આવી શારીરિક તકલીફ જેનો ઈલાજ વિજ્ઞાન પાસે પણ નથી.. તો, આવી પરિસ્થિતિ કેમ સર્જાણી હશે... અને ઈશ્વર શું શીખડાવવા માંગતો હશે..?? તો પણ પ્રીતિ અને એના પરિવાર વાળા પુરા વિશ્વાસથી દિવસ અને રાત અથાગ પ્રયત્નો સાથે દવા અને દુઆ બન્ને કરતા હતાં. પણ, સમય કોઈ માટે ઊભો નથી રહેતો. જોતજોતામાં સમસ્યાઓએ મૂળ પકડી દીધા અને સમય પોતાના રસ્તે આગળ વધતો ગયો. પ્રીતિની જુવાની જવા લાગી.. નાના ભાઈ બહેન પણ મોટા થવા લાગ્યા. હિમાલય જેવા અપાર મોટુ આવેલું દુઃખ અને સંઘર્ષમાં સ્વાભાવિક હિંમત હરાય જાય. પ્રીતિને પણ ઘણી વખત થયું.. કે આમ કેવી રીતે જીવન જીવવું અને કેટલો સમય...? પણ જાણે હરએક પળ ઈશ્વર કંઈક નવું શીખવતો હતો કંઈક નવું કહેતો હતો.
તકલીફ દેખાતી હોય, ત્યાં પહોંચી વળાય.. પણ, જ્યાં દેખાય નહીં ત્યાં શું અને કેવી રીતે લડવું એ સામાન્ય વાત નથી. પણ પરિવારનો સાથ અને સંબંધ એવો છે, જ્યાં સ્વાર્થ નથી પરમાર્થ છે. સમસ્યાઓ'તો ઘણી હતી પણ પ્રીતિના પરિવાર વાળાએ નક્કી કરી નાખ્યું હતું કે સમસ્યાઓ કરતાં સાથ વધુ મોટો છે. કેમકે વર્ષોનાં અનુભવમાં નરી આંખે જોવાય ગયું હતું, કે પોતાના સ્વાર્થ ખાતર લોકો ગમે તે હદે જાય. પ્રીતિને પણ ખૂબ જ આકરા અનુભવો થયા. મનમાં સતત થતું કે કોઈ એવો ગુરુ મળે જે સત્યના માર્ગ પર લઈ હાલે. પણ સાચો સદગુરુ મળવો સહેલો નથી. પ્રીતિ અને પરિવાર વાળા પથ-પથ ભટકતા રહ્યા પણ સમાધાન મળે જ નહીં. હા સબક અને અનુભવ જરૂર મળતા હતા. અને આ જ અનુભવો એ પ્રીતિનો ભવ અને ભાગ્ય બદલી નાખ્યા. જયારે સદગુરુ મળ્યા અને એણે અંતર મનમાં જોતા શીખડાવી દીધું.
પણ સામે સમાજ અને સંબંધીઓના સવાલો અને સલાહો અનંત હોય છે. પણ લોકોને સિક્કાની એક જ બાજુ પહેલાં દેખાય. સિકક્કાની બીજી બાજુ જોવા માટે ત્રણેય આંખ ખુલી રાખવી પડે. કાચા કાનનાં માનવીને એક હાથે તાલી વાગી હશે એવું જ લાગે. પણ સંબધો બંધ મુઠ્ઠી જેવા હોય છે.. ઢાંકીને રાખે. અને દીકરી માટે તો માતાપિતાનું ઘર એ આભનાં આશરા જેવું હોય છે. યેનકેન કારણોથી જીવનમાં મુસીબતો આવે જ કોઈને પહેલાં તો કોઈને પછી... પણ સંબંધોનો સધિયારો હરએક મુસીબતમાંથી બહાર કાઢી શકે છે. ખાલી એક વસ્તુ જોઈએ નિયત/દાનત. પ્રીતિ પાસે કદાચ કઈ નહીં હોય પણ દાનતની દાતારી લોયમાં. પોતાના મનમાં રાતદિવસ એક જ વિચાર આવ્યા કરે કે આજ નહીં તો કાલ મારો પરિવાર આ બધી જ મુસીબતોમાંથી જરૂર બહાર આવી જશે. કીડી વેગે કામ થતું પણ હતું.
આમ, જોતજોતામાં ૨૦ વર્ષ વીતી ગયાં.. પ્રીતિ મનમાં વિચાર કરે.. ભગવાન શ્રી રામનો વનવાસ પણ ૧૪ વર્ષોમાં પૂરો થઈ ગયો હતો. અને મારા સંઘર્ષનો હજુ કેમ અંત નથી આવતો..?? હજુ શું જોવાનું બાકી હશે તો ઈશ્વર હજુ પરીક્ષા લે છે...? પણ સમયના ગર્ભમાં બધું સમાયેલ છે જેની સમયને જ ખબર છે. આકરી પરીક્ષાઓ આપતા આપતા પ્રીતિનો પરિવાર અડગ પર્વત જેવો બની ગયો છે. હરએક પરિસ્થિતિમાં બસ સમાધાન કરવું જ સુજે છે. પ્રીતિનાં નાના ભાઈ બહેન પણ સમયના સબકમાં સત્ય શું છે સારી રીતે સમજી ગયા હતા, અને નક્કી કરી લીધું હતું કે બધાના લગ્ન સાથે જ કરશું. સંબંધોની વ્યાખ્યા જ આ છે કે દુઃખમાં પહેલાં સાથે. પ્રીતિ અને આખું પરિવાર કોઈ પણ જાતનો ખોટો સંતાપ રાખ્યા વગર અને કોઈ માટે મનમાં મેલાશ રાખ્યા વગર પોતાના કર્મો કર્યા કરે. ઈશ્વર ભલે દેખાતો નથી પણ અંતરના ઊંડાણથી બધું જોવે છે.
એની સાબિતી જ આ કે પ્રીતિ હરએક નવાં દિવસ સાથે નવી આશા સાથે જાગે. આ અમર આશા જગાડનાર જ પરમાત્મા. સંઘર્ષ કોઈ દિવસ સહેલો નથી હોતો. પ્રીતિએ પોતાના ઘરનો એવો કોઈ ખૂણો નઈ હોય જ્યાં રાતદિવસ રડીને નઈ કાઢ્યા હોય... પણ, જ્યાં જીવન છે ત્યાં સંયોગ પણ છે. ધર્મ અને સત્કર્મ અશક્યને પણ શક્ય કરી નાખે છે... પ્રીતિનો પરિવાર પણ અશક્યને શક્ય કરવા સમર્થ હતો એટલે જ કદાચ ગમે તેવી પરિસ્થિતિ સર્જાણી તેમાંથી ગમે તેમ બહાર નીકળી જ જતા. બસ હવે કિનારે નાવ પહોંચી ગઈ હતી. જોવાનું તો એ છે કે ગમે તેવી પરિસ્થિતિ બદલે પણ જો પોતાની પ્રકૃતિ ન બદલે તો સફળ માણસ થયા કહેવાય. કેમકે બહારી જીવનમાં પરિસ્થિતિ કેવી સર્જાશે એ આપણે નક્કી ન કરી શકીએ... પણ, એ પરિસ્થિતિ સામે અંદરથી કેમ લડવું એ જરૂર નક્કી કરી શકાય.
બસ અહીંયા જ પ્રીતિના સંબંધોની સાફ્લ્યતા સાબિત થઈ ગઈ. લોકો શું કહેશે એ જ્યાં સુધી સંઘર્ષ છે ત્યાં સુધી જ છે.. જેવા સફળ થયા એવા લોકો ફેવરમાં થયા. આપણી આસપાસની દુનિયામાં આપણને જોવા મળે જ છે કે નાની-નાની વાત અને વસ્તુ માટે સંબંધ તૂટી અને મરી જાય છે. કારણ બસ એક જ છે ભૂલ અને પરિસ્થિતિનો સ્વીકાર નથી, છે તો ખાલી બીજા માટે સવાલ અને સલાહ. પણ પ્રીતિનો પરિવાર સમાજ માટે એક ઉદાહરણ છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ સાથ અને સંબંધની જીત થવી જોઈએ.
