પર્યાવરણનું રક્ષણ
પર્યાવરણનું રક્ષણ
એક સુંદર જંગલ હતું. જંગલ હતું તો નાનું પણ ઘણું જ સુંદર હતું. એ જંગલ એકદમ લીલુંછમ અને નદીઓ અને પહાડોથી સુશોભિત હતું. તે જંગલમાં અનેક જાતના પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ રહેતા હતા. પ્રાણીઓ ગુફાઓમાં રહેતા હતા. અને પક્ષીઓ ઝાડ પર સરસ મજાના માળા બનાવીને રહેતા હતા. એ જંગલનો એક રાજા હતો. તે સિંહ હતો. તે ખુબ જ બળવાન હતો. તે માણસની વાણી બોલી શકતો હતો.
એક દિવસ એ જંગલમાં એક કઠિયારો આવ્યો. તે જંગલના ઝાડ કાપી રહ્યો હતો. એટલે જંગલમાંથી તેમની સંખ્યા ઓછી થતી જતી હતી. કેટલાક ઝાડ પર તો પક્ષીઓના ઘર પણ હતા. તેમાં નાના બચ્ચા પણ હતા. એમ ચાલતું હતું એટલામાં એક વખત એ જંગલમાં કેટલાક શિકારીઓ આવ્યા. તેઓ નખ, ચામડા, અને પીંછા માટે પશુ-પંખીઓનો શિકાર કરવા લાગ્યા. થોડા દિવસ પછી ત્યાં શહેરના લોકો આવ્યા. તેમણે જંગલનો કેટલોક વિસ્તાર સાફ કરી ત્યાં મોટી મોટી બિલ્ડીંગ બનાવી. ત્યાં લોકો રહેવા આવ્યા.
માનવ લોકો રહેવા આવ્યા બાદ એ લોકો જ્યાં ત્યાં ગંદકી કરતાં. કચરો જ્યાં ત્યાં ઠાલવતા. કામ વગર જયાં ત્યાં આગ લગાડતા. નદીના પાણીમાં ગંદુ પાણી છોડી નદીનું પાણી દુષિત કરતાં. એટલું જ નહિ. તે પોપટ હાથી, રીંછ જેવા પ્રાણીઓને પકડીને સરકસમાં લઇ જવા લાગ્યા. ધીમે ધીમે આ વાતની જાણ જંગલના રાજા સિંહને થઈ. તે ખુબ ગુસ્સે ભરાયો. તેણે નક્કી કર્યું કે તે ગમે તેમ કેમ કરીને આ લોકોને અહીંથી ભગાડી જ મુકશે.
આમ નક્કી કરી તે સિંહ જ્યાં માનવ લોકો વસતા હતા ત્યાં ગયો. અને ત્યાં જઈને ઉંચી ઉંચી બિલ્ડીંગો વચ્ચે ઉભા રહી જોરથી ત્રાડ પાડી. સિંહની ત્રાડ સાંભળી બધા માણસો ગભરાઈ ગયા. અને ફટાફટ ઘરમાં પુરાઈ ગયા. પછી સિંહે કહ્યું, ‘તમે બધા ગભરાશો નહિ. હું કોઈને મારવા કે નુકસાન પહોચાડવા નથી આવ્યો. અમે પ્રાણીઓ તમારા જેવા સ્વાર્થી નથી હોતા. મારે તો તમને ફરિયાદ કરવાની છે. તમારા મંત્રીને બોલાવો.’ સિંહને આમ માનવની જેમ બોલતો સંભાળીને બધા માનવીઓને ખુબ જ નવાઈ લાગી.
પછી માનવ લોકોએ પોતાના મંત્રીને બોલાવ્યો. મંત્રી આવ્યા એટલે સિંહે ઠપકો આપ્યો. ‘તમે માનવીઓ એકદમ સ્વાર્થી છો. તમારા મોજશોખ માટે અમને મારી નાખો છો. અમને ગુલામ બનાવો છો. અમારા જંગલમાં આવીને અમને નુકસાન પહોચાડો છો. વૃક્ષો કાપીને હજારો પક્ષીઓના રહેઠાણ ભાંગી નાખો છો. ગંદુ પાણી જંગલની નદીમાં નાખીને નદીને દુષિત કરો છો. આવું જ કરશો તો તમે પણ લાંબુ નહિ તાકી શકો. માટે આ બધું બંધ કરો અને શાંતિથી જીવો અને અમને પણ શાંતિથી જીવવા દો. તમે તો માનવ કહેવાઓ. માનવ તો વિકસિત કહેવાય. અમે જનાવર છીએ તોય પર્યાવરણનું જતન કરીએ છીએ.
સિંહની વાત સાંભળી બધા માનવીઓ લાચાર થઈ પડયા. મંત્રીને પણ માનવીઓની ભૂલ સમજાવી. તેમણે બધા વતી સિંહ પાસે માફી માંગી અને હવે પછી ક્યારેય કોઈ માનવી જંગલ કે વનસ્પતિને નુકસાન નહિ પહોચાડે તેવી ખાતરી આપી. આવી ખાતરી મળ્યા બાદ સિંહ ત્યાંથી ચાલ્યો ગયો.