નજરે નિહાળેલી સત્યઘટના -૧
નજરે નિહાળેલી સત્યઘટના -૧


જાહેર-જીવનમાં રોજ નવાં-નવાં માણસોને મળવાનું થાય, રોજ નવાં-નવાં અનુભવો થાય પરંતુ ક્યારેક એવી ઘટનાઓ બને કે માનસપટ પર છવાઈ જાય. એવી જ એક ઘટનાની સ્મૃતિ થઇ આવી અને લખવાની ઈચ્છા થઇ .
થોડા સમય પહેલાં ની વાત છે ; હું મારી કચેરીમાં પદાધિકારી તરીકે લોકોનાં પ્રશ્નો પૂરાં કરવાં મથામણ કરતો હતો ત્યાંજ એક યુવાન ઓફિસમાં આવીને ચુપચાપ બેઠો,
એટલે મેઁ સ્વાભાવિક જ પૂછયું: " શું હતું? " સામેથી જવાબ આવ્યો: "તમે બધા કામ પતાવો પછી મને સાંભળો..."
થોડીવારમાં જ નવરાશની પળ મળી એટલે મેઁ પૂછયું : " હવે સંભળાવો...! " સામેથી જવાબ આવ્યો:" આપ મને ઓળખો છો?" મેઁ કહ્યું:"જોયા હોય એવું લાગે છે..." સામેથી યુવકનો જવાબ આવ્યો:" મારું નામ જયદીપ ગજેરા છે, હું પાટખીલોરીથી આવું છું ." મેઁ કહ્યું : " અમારા જુના કાર્યકર જયસુખભાઇ ગજેરા (રસોયા) નો દીકરો છો?! “સામેથી જવાબ આવ્યો:" હા " , એટલે મેઁ તરત જુના સંસ્મરણો વાગોળ્યા જયસુખભાઇ યાદ આવ્યા અને ભોજન નો સ્વાદ પણ.
મેઁ કહ્યું : " જયદીપ તારા બાપુજી એ ખુબ જ "રસોડાં" કર્યા અને ધાર્મિક કાર્યનાં રસોડાંમાં ક્યારેય એક રૂપિયો મજૂરી લેતાં નહિ ... " પછી મેઁ પૂછયું : " તારે શું કામ હતું ?" જયદીપ ગજેરા એ વાત સંભળાવી : " સાહેબ, હું અત્યારે પાટખીલોરી રહું છું, મેઁ એન્જીનીયરીંગ કરેલું છે, મને મલેશિયા નાં પેનાંગ માં સારી જોબ મળી ગયેલ, હું બિલકુલ સેટ થઇ ગયો હતો પણ... " એટલી વાત કરતાં જ જયદીપ ની આંખોં માં આંસુ આવી ગયા ...
તરત જ મેં આશ્વાસન આપ્યું " શું થયું છે જયદીપ ? સ્વસ્થ થઈને નિ:સંકોચ વાત કર .." મારા મગજ માં વિચાર આવ્યો " આજકાલ નાં યુવાનોને છોકરીઓના - લફરાં નાં પ્રશ્નો હોય..."
પણ મારી ધારણા ખોટી પડી .. જયદીપ ગજેરા એ કહ્યું : " હું મારી નોકરી શાંતિથી કરતો હતો, મારા ઘરે બચતનાં રૂપિયા પણ મોકલતો.. , એવામાં એક દિવસ પરિવાર સાથે વિડીયો કોલ માં વાત કરતો હતો ત્યારે મારાં બાપુજી ની તબિયત ખરાબ હોય એવું લાગ્યું..ચહેરા અને શરીર પર સોજો હોય એવું લાગ્યું ... - મેઁ પૂછ્યું - તબિયત સારી નથી? તો બાપુજી એ જવાબ આપ્યો - સારું છે .. પરિવાર નાં સભ્યો એ પણ કહ્યું સારું છે, ચિંતા જેવું નથી, પણ મને આખી રાત ઊંઘ આવી નહિ, મેં સવારે મારાં મિત્ર ને પૂછ્યું - મારાં બાપુજીને વધારે તબિયત ખરાબ હોય એવું લાગે છે, મને સાચી વાત બતાવ ... મારાં મિત્ર એ કહ્યું - તારા બાપુજી ની બંને કિડની ફેલ છે ...! આ સાંભળતા જ મેં ઇન્ડિયા આવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી ખુબ જ મહેનતથી સાત દિવસે હું ઇન્ડિયા પરત પહોંચ્યો ... મેં મારાં નાના ભાઈ ગોપાલ ને ફોન કર્યો કે હું અમદાવાદ પહોંચી ગયો છું..., સામે થી મારાં ભાઈ નો જવાબ આવ્યો કે - અમે રાજકોટ બી.ટી. સવાણી હોસ્પિટલ માં છીએ, હું સીધો ત્યાં પહોંચ્યો ...અને બસ , મારાં જીવનની સ્ટ્રગલ ચાલુ થઇ... હોસ્પિટલ નાં ડોક્ટરોને મળવાનું અને બાપુજી ને સાજા કરવા.... હોસ્પિટલ નાં ચક્કર કાપતા-કાપતા અને રૂપિયા વાપરતા-વાપરતા છેલ્લે ગોંડલ નાં એક ડોક્ટર સાહેબ ને મળ્યાં... ડોક્ટર સાહેબનો જવાબ હતો તારા બાપુજીને સારું થાય તેમ નથી અને મને ઝનૂન ચડ્યું કે હું ગમે તેમ - પ્રયત્નો કરીશ પણ મારાં બાપુજી ને સાજા કરીશ ... સાત મહિના મહેનત કરી ... લગભગ ૨૦ લાખ જેટલો ખર્ચો કર્યો ... તબિયત માં થોડો સુધારો થયો ઘરમાં જે કંઈ રૂપિયા-મૂડી હતી તે વાપરી નાંખી છે... હવે મને જો આપ બી.પી.એલ. કુપન (રાશનકાર્ડ) કરાવી આપો તો મહેરબાની .....!!" મેં કહ્યું : "બી.પી.એલ. કુપન કેમ ?! " એણે કહ્યું: " મારાં બાપુજી ને સી.એ.પી.ડી. - ડાયાલીસીસ કરાવવું પડે છે અને હવે અમારી પાસે પૈસા નથી. જો બી.પી.એલ. કુપન હોય તો તેમની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈ મફત સારવાર થાય ...!!"
મેં સંલગ્ન અધિકારી ને ફોન કર્યા પણ સામેથી જવાબ હતાં - " બી.પી.એલ. રાશનકાર્ડ બંધ છે " . મેં જયદીપને કહ્યું " બી.પી.એલ. રાશનકાર્ડ બંધ છે " અને તરત જ જયદીપની આંખોમાંથી શ્રાવણ- ભાદરવો ચાલુ થયા , તેને સાંત્વન આપી મેં સમજાવવા પ્રયત્ન કર્યો " જે ઈશ્વરે નક્કી કર્યું હોય એ મંજુર રાખવું પડે , અને આમ પણ તેં ઘણું કર્યું છે બાપુજી માટે ...!" જયદીપે સામે થી જવાબ આપ્યો કે :" સાહેબ, માં-બાપ થી વધારે શું હોય ..!? જેમણે જન્મ આપ્યો છે એમના માટે બધું જ કરી છૂટીશ ..."
આ વાત મને સ્પર્શી ગઈ કે " ધન્ય છે તારી જનેતાને " આજના કળિયુગ માં વૃદ્ધાશ્રમોની સંખ્યા દિવસે ને દિવસે વધે છે ત્યારે તારા જેવાં શ્રવણ સમા પુત્રો પણ છે .. અને મેં જયદીપ ને વચન આપ્યું કે :" આ સ્ટ્રગલ માં હું તારી સાથે છું અને હું તને તમામ મદદ કરીશ ..."
મેં તુરંત અધિકારી સાથે વાત કરી ત્યારે રસ્તો મળ્યો કે ધારાસભ્યશ્રી ભલામણ કરે તો બી.પી.એલ. રાશનકાર્ડની દરખાસ્ત થાય...! અમારા અને જયદીપનાં મોઢાં પર ચમક આવી!
તુરંત જ ગોંડલ નાં ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા ને મેઁ ફોનમાં પુરી ઘટના સંભળાવી.
અને તુરંત - એક "માં" પોતાના સંતાન નું દુ:ખ ન જોઈ શકે તેમ બા શ્રી ગીતાબા એ અધિકારીઓને સૂચનાઓ આપી અને બી.પી.એલ - તબીબી સારવારની દરખાસ્ત તૈયાર થઈ ગઈ. એક પછી એક કચેરીના અધિકારી સાથે વાત કરી અને દરખાસ્ત ગાંધીનગર પહોંચી ... સમાચાર મળ્યાં કે ફક્ત બે દિવસ માં બીપીએલ -યાદી માં નામ અને સ્કોર આવી જશે ...! પણ ઈશ્વર પણ અમારી પરીક્ષા કરતો હોય એમ - બીપીએલ-યાદી માં નામ તો આવ્યું પણ સ્કોર આવ્યો - ૨૧ નો... ! ડોક્ટરો અને જાણકાર માણસો એ કહ્યું કે આ બીપીએલ-યાદી માં નામ ૨૧ નાં સ્કોર વાળું છે આમાં કોઈ લાભ નહિ મળે .. અમે ખુબ જ હતાશ થયાં.
બપોર નો સમય હતો, જમવાનો કોળિયો પણ ગળે ઉતર્યો નહિ ! અમે એજ ચિંતા કરતા હતાં એ સમયે જ ધારાસભ્યશ્રી ગીતાબા નો ફોન આવ્યો... "રાજુભાઈ, પાટખીલોરી વાળા છોકરાના બીપીએલ નું શું થયું? મેં સમગ્ર ઘટના જણાવી કે બીપીએલ-રાશનકાર્ડ તો થયું પણ સ્કોર ૨૧ નો આવ્યો , કઈં લાભ મળશે નહીં ... આમ સાંભળતાંજ ધારાસભ્યશ્રી એ કહ્યું: " થોડીવાર જાળવો, હું અધિકારીઓ સાથે વાત કરું છું .." અને થોડા સમયમાં જવાબ આવ્યો કે ફરીથી દરખાસ્ત કરો, એમને લાભ મળશે. અમારા સુકાઈ ગયેલા મોઢા પર ફરીથી ચમક આવી અને નવી દરખાસ્ત કરી.
થોડા દિવસોમાં જ નવી બીપીએલ યાદી માં નામ આવ્યું અને સ્કોર આવ્યો "૯" (નવ) નો. ..!
અમારી ખુશી એટલી હતી કે રજુ કરી શકીએ એમ નથી.
ઘણીવાર જૂની વાર્તાઓમાં સાંભળ્યું છે કે સંસારમાં મુશ્કેલી હોય ત્યારે "જગત જનની માં" જ ઉગારે એવી રીતે ગોંડલ નાં ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા એ પાટીદાર યુવક જયદીપ ગજેરા ને મદદ કરી ત્યારે મારાં મોઢાંમાંથી ઉદ્ગાર નીકળ્યા કે, ધન્ય ધારાસભ્ય ગીતાબા જાડેજા ને અને કળિયુગના શ્રવણપુત્ર પાટીદાર જયદીપ ગજેરાને !
આ સત્યઘટના લખવાનું કારણ - આજના નવયુવાનો ને પ્રેરણા મળે અને માવતર પ્રત્યે પ્રેમ વધે .
જયદીપના પિતાજી ને ઈશ્વર લાબું આયુષ્ય આપે અને સાથે-સાથે દરેક " માં" જયદીપ જેવાં પુત્રોને જન્મ આપે તે પ્રાર્થના સાથે.