ઝાઝા હાથ રળિયામણા
ઝાઝા હાથ રળિયામણા
એક નાના ગામમાં રાજ નામનો એક છોકરો રહેતો હતો. તે રોજ શાળામાં જુદી જુદી કહેવત સાંભળે અને શીખે. તે બધી કહેવતનો અર્થ સમજી જતો પણ "ઝાઝા હાથ રળિયામણા " એ કહેવતનો અર્થ એના મનમાં સ્પષ્ટ થતો જ નહિ. શિક્ષક પણ તેને અર્થ સમજાવવા ખૂબ પ્રયત્ન કરે પણ આ સમજી જ ના શકે. રાજ એવો છોકરો હતો જેને નાની વસ્તુ પણ ના સમજાય ત્યાં સુધી આ એના જ વિચાર કાર્ય કરે. બીજી કહેવાતો સમજાઈ ગઈ છે એથી એ સંતુષ્ટ નહતો પણ આ એક કહેવત ના સમજાણી તેની ચિંતા હતી તેને.
તે આ વિશે વિચારતો વિચારતો ઘરે જવા નીકળે છે. રસ્તામાં એની નજર એક દીવાલ પર પડે છે. તેના પર લખેલા સૂત્રો તેની નજરમાં આવે છે. "સ્વચ્છ ભારત" "સ્વચ્છતા ત્યાં પ્રભુતા " તે આ વાંચી પોતાનો પહેલો વિચાર ભૂલી જઈ સરકાર દ્વારા "મોડેલ ગામ"ની કરેલી વાત યાદ આવે છે. અને તે પોતાના ગામ ને "મોડેલ ગામ" બનાવવા વિચારે છે. તે પોતાના આ વિચારો બીજા દિવસે તેના મિત્રો સામે રજુ કરે છે. તેના મિત્રો તેન વિચારોની હાંસી ઉડાવે છે. રાજ પોતાના વિચારો હવે ઘરના તેમજ ગામ લોકો ને જણાવે છે. તે લોકો પણ રાજની વાત ને અવગણે છે. ત્યારે રાજને વિચાર આવે છે કે આ તો "ભેંસ આગળ ભાગવત વાંચવી" એવું છે.
રાજ હાર માનતો નથી. તેને ઘરમાં વડીલો કહેતા હોઈ છે તે કહેવત યાદ આવે છે "આપ મૂઆ વિના સ્વર્ગે ના જવાય " તે વિચારે છે કે મારે જ મારા વિચારો પર કામ કરવું પડશે. તો જ હું સફળ થઈશ . તેણે આ કાર્ય પોતાની શાળાથી શરુ કર્યું. તેને આ રીતે કામ કરતા જોઈ પહેલા તો તેના મિત્રો હસી ઉડાવતા અને તેને મૂર્ખ ગણતા. પરંતુ રાજની મક્કમતા અને પરિશ્રમ જોઈ તેના મિત્રો પણ પ્રેરાયા. તેઓ આ રાજને આ કાર્યમાં સાથ આપવાનો સંકલ્પ કર્યો. હવે બાળકોએ ગામની સફાઈ કરવાનું શરુ કર્યું. આ બાળકોને જોઈ ગામ લોકો પણ પ્રેરિત થયા અને તેઓ પણ આ કાર્યમાં જોડાયા ત્યારે રાજને સમજાવ્યું કે "પરિશ્રમ એ જ પારસમણિ." તેને એ પણ સમજાવ્યું કે "એકતામાં શક્તિ" હોય છે. આ સાંભળી ગામના બધા લોકો પોતાના ગામને "મોડેલ ગામ" બનાવવા કામે લાગ્યા.
થોડા દિવસોમાં રાજનું ગામ સ્વચ્છ અને રળિયામણું થઇ ગયું. આ જોઈ રાજ એ વિચાર્યું "મન હોય તો માળવે જવાય." રાજના આ કાર્ય ને જોઈ શાળા તથા ગામના લોકો એ તેને સન્માનિત કરવાનું નક્કી કર્યું. આ સ્વચ્છતાની વાત સરકાર ના ધ્યાનમાં આવી. સરકારે પણ રાજને સન્માનિત કરવાની જાહેરાત કરી. રાજ આ બધું જોઈ વિચારવા લાગ્યો કે "મહેનત ના ફળ મીઠાં." શાળા માં જયારે રાજનું સન્માન કરવામાં આવ્યું ત્યારે એ સમયે તેના શિક્ષકે કહ્યું , 'રાજ બેટા જોયું ઝાઝા લોકોના સાથે મળી કામ કરવાથી કામ કેટલું સરસ રીતે થાય છે ? ઝાઝા હાથે કામ થયું તો ગામ રળિયામણું બની ગયું ને ? હવે તું " ઝાઝા હાથ રળિયામણા" એ કહેવત સમજ્યો ?
કહેવાય છે ને કે "અનુભવ એક શ્રેષ્ઠ શિક્ષક છે "રાજને પણ પોતાના જીવનમાં જ અનુભવ થયો એ અનુભવ પરથી તે "ઝાઝા હાથ રળિયામણા" એ કહેવતનો અર્થ સ્પષ્ટ રીતે સમજી શક્યો. રાજ જયારે સરકાર દ્વારા યોજેલ સન્માન સમારોહમાં જાય છે ત્યારે હવે તે અન્ય લોકોને પણ સમજાવે છે કે મિત્રો યાદ રાખજો "દ્રઢ ઈચ્છા શક્તિથી દરેક કાર્ય પૂર્ણ થઇ શકે છે " "એકતામાં શક્તિ રહેલી છે" રાજ એમ પણ કહે છે એ કહેવત સાચી જ છે "ઝાઝા હાથ રળિયામણા" હવે રાજ આ કહેવત સ્પષ્ટપણે સમજી ગયો. મિત્રો તમે પણ સમજી જ ગયા હશો કે "ઝાઝા હાથ રળિયામણા "
