એક અનોખા શિક્ષક
એક અનોખા શિક્ષક
આજે હું જેમનાં વિશે લખી રહી છું તે મારા જીવનના મહાન વ્યક્તિ અને શ્રેષ્ઠ શિક્ષક છે. જેઓ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામની શ્રી લોકનિકેતન વિનય મંદિર શાળામાં એક શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે એવાં શ્રી મનોજભાઈ ચોખાવાલા. આમ તો મારી શાળાનાં દરેક શિક્ષક ખૂબ જ સારા છે, પરંતુ હું આજે મનોજભાઈ સાહેબ વિશે લખવા માંગું છું. આ મહાન વ્યક્તિનાં જીવનનાં અમુક આદર્શ ગુણો અને મને એમની પાસેથી જે શીખવા મળ્યું છે એ લખી રહી છું.
મારાં જીવનનાં પ્રથમ શ્રેષ્ઠ ગુરુ શ્રી મશરુભાઈ ચૌધરી અને એમનાં જ મિત્ર મારા માધ્યમિક શાળાનાં આદર્શ ગુરુ એટલે મનોજભાઈ. હું ગુરુ શબ્દ માત્ર લખવાં માટે કે કહેવા માટે જ નથી કહેતી પરંતુ જ્યારે આ ગુરુ નામનાં શબ્દનું ઉચ્ચારણ કરુ છું ત્યારે એ ગુરુના તમામ ઉપકારોનાં સ્મરણ તાજાં થઈ જાય છે. જયારે હું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ત્યારથી જ અમને મનોજભાઈ સાહેબ નો થોડો પરિચય હતો. મારા પ્રાથમિક શાળાનાં ગુરુ શ્રી મશરુભાઈ કહેતાં કે લોકનિકેતન શાળાનાં શિક્ષક મનોજભાઈ ખૂબ જ સારાં શિક્ષક છે. પછી ધોરણ ૮ નો અભ્યાસ પૂર્ણ કરીને હું ધોરણ ૯ માં શ્રી લોકનિકેતન વિનય મંદિર શાળામાં અભ્યાસ કરવા માટે ગઈ. અમારી શાળામાં એ સમયથી આજ સુધી દરેક પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બહોળા પ્રમાણમાં ચાલે છે. વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ કરાવવામાં અગ્રેસર રહેનાર મનોજભાઈ હતાં. તે હંમેશા દરેક વિદ્યાર્થીને ખૂબ જ પ્રોત્સાહન આપતાં રહે છે.
હું ધોરણ ૯ માં ભણતી ત્યારે મનોજભાઈ ઉચ્ચતર માધ્યમિકમાં સમાજશાસ્ત્ર ભણાવતાં તેથી અમને એવું થતું કે અમે ક્યારે ધોરણ ૧૧ માં જઈએ, જેનાંથી અમને સાહેબ પાસે ભણવાનો લ્હાવો મળે. જયારે અમે ધોરણ ૧૦ માં આવ્યાં ત્યારથી સાહેબ એમનો મુખ્ય વિષય ગુજરાતી ભણાવવા માધ્યમિકમાં આવી ગયાં. તો અમે એવું વિચાર્યું કે હવે સાહેબ પાસે ભણીશું. કરમની કઠિનાઈ એવી કે એ જ વખતે કોવિડ-૧૯ નામનો કાળ આવી ગયો અને એનાં કારણે લોકડાઉન થયું, શાળાઓ બંધ થઈ ગઈ. પછી ૧૧ જાન્યુઆરી ની આસપાસ શાળાઓ ખુલી, પરંતુ તે પણ કોવિડનો કહેર વધી જતાં ૧૨ એપ્રિલની આસપાસ શાળાઓ પાછી બંધ થઈ ગઈ, પરંતુ આવાં સમય દરમિયાન પણ સાહેબે એમની શિક્ષણ પ્રવૃત્તિઓ બંધ ન હોતી રાખી. એમનો સ્વભાવ એટલો સારો,સરળ અને હંમેશા હસમુખો ચહેરો, પરંતુ જ્યારે સાહેબ ને ગુસ્સો આવે ત્યારે બે-ત્રણ દિવસ સુધી રહે જ. ગુસ્સો તો દરેક માનવીનું સ્વાભાવિક લક્ષણ છે. પરંતુ એ એટલાં સારાં વ્યક્તિ છે ને એમનાથી કોઈ પણ વ્યક્તિ એક વખત મળે તો એમને પણ ચોક્કસ સાહેબનો સ્વભાવ ગમી જ જાય. હું તો કહું છું કે આવા ગુરુજી મળવા સારાં ભાગ્યની વાત છે. ભગવાનની હું હંમેશા આભારી રહીશ કે મને મારા જીવન કાળ દરમિયાન અનેક આવા ગુરુઓ રૂપે ધન પ્રાપ્ત થયું છે.
મનોજભાઈ સાહેબ ને જ્યારે પણ જોઈએ તો મને ખરેખર સ્વામી વિવેકાનંદનાં દર્શન થાય છે. મનોજભાઈ એ એમના જીવનમાં હંમેશા સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ અને ગુણવંત શાહ ને વાંચતા રહે છે અને એમનાં જીવનમાં આ ત્રણ વ્યક્તિઓ આદર્શતાના સ્થાને અગ્રે છે. મને કવિતા લખતાં આવડતું ન હતું, પરંતુ એ દિવસે સાહેબે એવું કહ્યું કે "બેટા, હું કવિતા લખતાં શીખવીશ. " સાહેબ નાં આ શબ્દોથી મારો આત્મવિશ્વાસ વધ્યો અને ધીરે ધીરે હું સારી એવી કવિતાની રચના કરવા લાગી. મને જો કવિતા લખતાં આવડી તો એનાં માટે હું મનોજભાઈ સાહેબની આભારી છું. સાહેબ એક આદર્શ શિક્ષક અને તદુપરાંત એક ઉત્તમ કવિ પણ છે. અમને હંમેશા સાહેબ પાસેથી અવનવું જાણવા મળે છે. એ હંમેશા કહે છે "સન્માન વ્યક્તિત્વનું થાય છે, વ્યક્તિનું નહીં. " તે હંમેશા કંઈક બોલે તો દરેક ને એમનાં થઈ પ્રેરણા મળે જ. આમ, મને સાહેબ પાસેથી ખૂબ જ શીખવા મળ્યું છે. આ જ્ઞાન મને મારાં જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કદાચ તેથી જ ચાણક્યે કહ્યું છે કે "શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. "