STORYMIRROR

Kalpana Raghu Shah

Inspirational

3  

Kalpana Raghu Shah

Inspirational

અદલા બદલીનો ખેલ

અદલા બદલીનો ખેલ

6 mins
14K


ધીમા ડગલે, ગંભીર વદને, ભારે હૈયે હું મારા પતિ સાથે ફ્યુનરલ હોમના કમ્પાઉન્ડમાં ગાડી પાર્ક કરીને વિધિમાં જઈ રહી હતી. રસ્તામાં મૃત્યુ વિષેના અનેક વિચારોએ મારા મન ઉપર કાબૂ જમાવ્યો હતો. जातस्य हि ध्रुवों मृत्युः। જે જન્મ્યો છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. આત્માનું નામ સરનામુ બદલાય એટલે કહેવાતી વ્યક્તિનું મૃત્યુ થયુ તેમ કહેવાય. જેમ સાપ એક કાંચળી ઉતારી બીજી ધારણ કરે છે, તેમ મૃત્યુથી આત્મા એક કહેવાતું વ્યક્તિત્વ, ખોળીયું, શરીર રૂપી ઝભલું જે જૂનુ પુરાણું થયું હોય તે છોડીને નવું ધારણ કરે છે… એક નવા પંથે પ્રયાણ કરે છે અને લાગતી વળગતી દરેક વ્યક્તિ તેની રૂટીન જિંદગીમાં ગોઠવાઈ જાય છે. તેમાંય લીલી વાડી જોયા પછીનુ સૌરીનભાઈના પિતા કાંતિકાકાનું, એંશી વર્ષની ઉમેરે મૃત્યુ એક સુખદ ઘટનાજ કહી શકાય!

સૌરીનભાઈ હિન્દુ મંદિરનાં ટ્રસ્ટી છે. એમને કોણ ના ઓળખે? મારે અમેરીકામાં આવે ચાર વર્ષ થયાં. તેમની સાથે મંદિરમાં, એક લેખિકા હોવાને નાતે સારા એવા પરિચયમાં આવી છું. જે વ્યક્તિના ત્યાગ, બલિદાન અને તન-મન-ધનની સેવાથી મંદિરની પ્રવૃત્તિઓ ધમધમતી હોય એવી વ્યક્તિનાં જન્મદાતા માટે માન હોય અને તેમના મૃત્યુનું દુઃખ પણ હોય, સ્વાભાવિક છે. આ લાગણી સાથે અને મારા થોડા લાગણીશીલ સ્વભાવને કારણે ભારે હૈયે! કદાચ મારે બોલવું પડે તો સાંત્વન માટેનાં વાક્યો મગજમાં ગોઠવતી હું જઈ રહી હતી.

આમેય અમે સમય કરતાં અડધો કલાક વહેલા હતાં. બહાર કંમ્પાઉન્ડમાં સફેદ કાળા કપડામાં, પુરુષો અને સ્ત્રીઓ, નાના નાના ગ્રુપમાં વાતો કરી રહ્યાં હતાં. અહીંનું સ્મશાનગૃહ ભારતનાં સ્મશાનગૃહોની સરખામણીમાં રળીયામણું જરૂર લાગે. અહીં દરેક રીત-રસમમાં એટીકેટ જોવા મળે એટલે થોડુ આર્ટીફીશીયલ અને ફોર્મલ પણ! આજે શનિવાર હતો. વિકેન્ડ પર વિધિ અનુકૂળ પડે.

ત્યાંજ મને મંદિરનાં સક્રિય કાર્યકર મધુમાસીએ બૂમ પાડીને બોલાવી. તેઓ સૌરીનભાઈના ફેમીલી મેમ્બર જેવા હતાં. તેમણે વાત કરી, સૌરીનભાઈનાં મમ્મી જયાબેનની જે દસવર્ષ પહેલા મુંબઈમાં ગુજરી ગયા હતાં. કાંતિભાઈને બાર વર્ષ પહેલાં લક્વાની અસર થઈ હતી. આ વાતથી પરેશાન જયાબેનને એમજ કે હું કાંતિભાઈ પછી જઈશ તો મારું શું થશે? તેથી તેમણે તેમના વીલમાં પોતાનાં દેહદાનની વાત કાંતિભાઈ પાસે લખાવી લીધી હતી. ભર્યું ભાદર્યું કુટુંબ, પરંતુ બન્ને એકલાં મુંબઈમાં રહેતાં. ખૂબજ વ્યસ્ત જીવનચર્યામાં બન્ને ગોઠવાઈ ગયેલાં. આખો પરીવાર અમેરીકામાં અલગ અલગ જગ્યાએ સ્થાયી થયેલો હતો. તેઓને અહીં આવવું ન હતું અને બાળકો અહીંનુ છોડીને ત્યાં જઈ શકે તેમ ન હતાં. કાંતિભાઈએ તેમની કારકીર્દીના સમયગાળા દરમ્યાન અનેક ધંધા કર્યા હતા. બીઝનેસ માઇન્ડને કારણે દરેક ધંધામાં તેમને ફાવટ હતી. ‘હાથ નાંખે ત્યાં સોનુ’ તેમના નસીબમાં હતું. બાળકોને પણ જરૂર પડે કામ ધંધામાં અવારનવાર અમેરીકા આવીને મદદ કરતાં રહેતાં. બાળકોને તેમનાથી ખૂબજ સંતોષ હતો. સૌરીનભાઈ સૌથી નાના, અને તેમને એક ભાઈ અને બે બહેનો છે, જે સપરિવાર છેલ્લા અઠવાડીયાથી અહીં બધા સાથેજ છે.

કાંતિભાઈને લક્વો થયો ત્યારે થોડો થોડો સમય વારાફરતી, બાળકો મુંબઈ જઈને કાકાની ચાકરી કરતા. જયાબેને કાંતિભાઈની ચાકરી કરવામાં જાત ઘસી નાંખી. પરીણામે કાંતિભાઈ લકવાની અસરમાંથી બહાર આવી ગયા. અને જ્યાબેન ધીરે ધીરે ગળતા ગયાં. અને એક દિવસ પરિવારને સૂનો મૂકી દેહ છોડી ગયાં… સુહાગણના શણગારમાં સજાવીને તેમના દેહને સ્મશાનગૃહના બદલે હોસ્પીટલમાં વિદાય આપવામાં આવી. તેમનુ દેહદાન કર્યુ હતુંને! પતિ અને બાળકોના હાથે તેમની ઇચ્છા પૂરી થઇ અને તેમના આત્માને શાંતિ મળે તેવી રીતે તમામ ક્રિયાઓ, સૌરીનભાઈ અને સમગ્ર પરિવારે કરી. બાળકો જીદ કરીને કાંતિભાઈને અમેરીકા લઈ આવ્યાં.

ધીમે ધીમે બધા સ્મશાનગૃહમાં જવા લાગ્યા. અમે અને મધુમાસીએ પણ અંદર જઈને અમારું સ્થાન લીધુ. ઘણા બધા જાણીતા ચહેરા હતા. સૌના મુખ પર ઉદાસીનતા જોવા મળતી. કેમ ના મળે? સૌરીનભાઈનું દુઃખ, સૌનું દુઃખ બની ગયુ હતુ. કાંતિકાકાને છેલ્લાં ચાર મહિનાથી મંદિરમાં જોયાં ન હતાં. જોકે એક વર્ષથી તેઓ વ્હીલચેરમાં સૌરીનભાઈની પત્ની શેફાલીબેન સાથે આવતાં. શેફાલીબેન વ્યવસાયે, સીપીએ હતાં. છતાં વ્યસ્ત જીવનમાં સસરાની સેવામાં સારો સમય ફાળવતા. જેની ચર્ચા મંદિરની બેનોમાં અવાર નવાર સાંભળવા મળતી.

મંદિરના સક્રીય કાર્યકર ડૉ. દેવેશભાઇએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાથમાં લીધુ ..

‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’

ગીતાના શ્લોક અને સર્વ ધર્મની પ્રાર્થના સાથે કાર્યક્ર્મની શરૂઆત થઈ. પ્રથમ બે હરોળમાં કાંતિકાકાનો સમગ્ર પરિવાર, ત્રણ પેઢી એક સાથે હાજર હતી. સામેજ કોફીનમાં કાંતિકાકા સૂટ-બુટમાં સૂતા હતાં. પાછળ એમના જીવનનાં યાદગાર પ્રસંગોનુ પાવર પ્રેઝન્ટેશન ચાલુ હતુ. અન્ય શ્રધ્ધાંજલી પત્યા બાદ છેલ્લે સૌરીનભાઈએ માઇક હાથમાં લીધુ. અને સૌ સાંભળતા જ રહ્યાં…

        તેમણે પિતા, પરિવાર અને પુત્રના પવિત્ર સંબંધોનુ પુનરાવર્તન શબ્દો દ્વારા જીવંત કર્યુ. તેમણે જે અંતમાં કહ્યુ તે હું આજેય ભૂલી શકતી નથી. તેમણે કહ્યુ, છેલ્લાં ચાર મહિનાથી પપ્પા પથારીવશ થઈ ગયા હતાં. તે પહેલા તે છેલ્લાં થોડા વર્ષો જ મારી સાથે રહ્યાં હતાં. બાકી અમેરીકા આવ્યા બાદ ભાઈના ઘરે વધુ સમય રહેતા. હુ ઘરમાં સૌથી નાનો. મારાં નસીબ કે પપ્પા માંદા થયા પછી મારી સાથે રહ્યા. હું મારી કેરીયરમાં જોડાયા પછી પપ્પા સાથે રહી નહોતો શકયો, પરંતુ છેલ્લાં ચાર મહીનામાં મેં એમને સમય આપવા પ્રયત્ન કર્યો તેનો મને આજે સંતોષ છે. હું સવારે પપ્પાને બ્રશ કરાવતો, તેમને શેવીંગ કરી આપતો, ચા-નાસ્તો કરાવતો, સ્પંજ કરતો અને ઓફીસે જતો ત્યારે જય શ્રીકૃષ્ણ કહીને જતો. તે પણ મારી રાહ જોતાં જ હોય. સાંજે આવીને પહેલાં એમના રૂમમાં જતો. શેફાલી પણ જાણતી કે હુ પપ્પા પાસે કલાક બેસીને એમને સૂવડાવીને પછી જ જમવા બેસીશ. અને તમે નહી માનો કે એ મારા બાળક હોય અને હું તેમનો પિતા આ રીતે અદલા બદલીનો ખેલ અમે બન્ને રમ્યા. એનો મને આજે ખૂબ જ સંતોષ છે. મારાં પપ્પાની ખુશી ભરેલી અને આશિર્વાદ આપતી આંખો હજુ મારી સામે તરવરે છે. હું ભૂલી નથી શકતો, એમની સાથે વીતાવેલા એ ચાર મહિના જે મારા જીવનનાં કિમતી અને યાદગાર હતા. મારા માટે એ સિવાય કશુંજ મહત્વનું ન હતું. બસ મને પપ્પા જ દેખાતા. આજે મારા જીવનમાં ખાલીપો આવી ગયો છે. મારા બન્ને બાળકો સ્ટડી માટે દૂર રહે છે. હવે હું અને શેફાલી. મારા જીવનનો એક ખૂણો ખાલી થઈ ગયો!

        બધા પોતાના રૂટીનમાં ગોઠવાઈ જશે. આજે અત્યારે પણ મારાં પપ્પાના મોઢા પર શાંતિની અને સંતોષની રેખા જોઈ શકુ છું. બસ, અમારા બાપ દિકરાનો અદલા બદલીનો આ ખેલ મારા માટે મારા જીવનની એક મોટી કમાઈ, મહા મૂડી છે. આ યાદગાર ક્ષણોને હું જકડીને રાખીશ. મારા પપ્પા માટેની મારી આજ શ્રધ્ધાંજલિ છે. તેમણે શાંતિથી દેહ છોડયો છે અને શ્રીજી ચરણોમાં અહીં પણ રહેતા હતા ત્યાં પણ પહોંચી ગયા છે. અને જતાં જતાં કુટુંબના નાના-મોટા સૌએ સાથે મળીને તેમને જય શ્રીકૃષ્ણ કહ્યા છે. મારા દુઃખમાં સહભાગી થનાર આપ સૌનો હુ આભાર માનુ છું. જય શ્રીકૃષ્ણ!

આ પ્રકારની શ્રધ્ધાંજલિના પુષ્પોથી કાંતિકાકાનું જીવન અને મૃત્યુ સુગંધીત બની ગયું. જેની ફોરમ ત્યાં બેઠેલા સૌને સ્પર્શી ગઈ દરેકનું હૈયુ આ ફ્યુનરલમાં હળવું બની ગયું. ફ્યુનરલ અને હળવે હૈયે! કેટલો વિરોધાભાસ? આતો રણમાં ખીલ્યા ગુલાબ જેવી વાત થઈ! આપણે જયારે કોઇના ફ્યુનરલમાં જઈએ ત્યારે સામેની વ્યક્તિને મરનાર વ્યક્તિની મોટી ખોટ પડી હોય છે માટે ભારે હૈયે જતાં હોઇએ છીએ. જે તે વ્યક્તિને ખોટ પડી હોય એ એનુ હૈયુ હળવુ કરે તો જ આવનાર વ્યક્તિ હળવા હૈયે પાછી જઇ શકે બાકી તો ભારે હૈયે સ્મશાન વૈરાગ્ય સાથે જ પાછી જાય.

સૌરીનભાઈએ પિતા-પુત્રના અદલા-બદલીના ખેલથી ફ્યુનરલમાં આવેલી દરેક વ્યક્તિઓને હળવા હૈયે વિદાય આપી. અને ખરેખર! અંતમાં લાઇનમાં પુષ્પાંજલિ આપવા મારો વારો આવ્યો ત્યારે આ કહાની સાંભળીને મારી આંખોમાંથી શોક અને સન્માનના અશ્રુને હું રોકી ના શકી અને ત્યારે જય શ્રીકૃષ્ણ કહેતા મારા પતિએ સૌરીનભાઈને ખભે હાથ મુકતાં તેમની આંખમાંથી થીજેલા અશ્રુને ટપકતા હું જોઈ રહી.

મારું મન વિચાર કરતું થઈ ગયું. સૌરીનભાઈનું વ્યક્તિત્વ અને વક્તવ્ય… આ કળીયુગનો સળગતો પ્રશ્ન, વૃધ્ધત્વની વેદના અદલા બદલીના ખેલમાં ઉદ્‍ભવવાનો પ્રશ્નજ ઉપસ્થિત થતો નથી. જો ઘરમાં સૌરિનભાઈ જેવો પુત્ર અને શેફાલીબેન જેવી પુત્રવધુ હોય તો ઘરડાઘરની સંખ્યામાં ચોક્કસપણે ઘટાડો થાય, અને પુત્ર-પરિવાર પર મૃત માત-પિતાનાં આશીર્વાદ વરસેજ… તેમા શંકાને સ્થાન નથી. આવાં પુત્રે પિતાનાં મૃત્યુ પછીની કોઈ વિધિ કરવાની કયાં જરૂર પડે?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational