જીવનની હકીકત
જીવનની હકીકત
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
શ્રીકૃષ્ણ ભગવાનની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલા જ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગઈ હતી. પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા. આગળ તેમના જીવનમાં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા. કોઈ પ્રસંગમાં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા, પણ મારા જીવનમાં આટલી બધી તકલીફો કેમ છે કરી ને તેઓ કોઈ દિવસ કોઈને પણ પોતાની જન્મકુંડળી બતાવવા ગયા હોય એવી કોઈ નોધ મેં નથી વાંચી. ના કોઈ ઉપવાસ કર્યા, ના ખુલ્લા પગે ક્યાંય ચાલવાની માનતા કરી, કે કોઈ માતાજી ના ભુવા પાસે દાણા જોવડાવ્યા, મારે આ પ્રસંગ યાદ રાખવા જેવો ને વિચારવા જેવો છે.
તેમણે તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મોનો. યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ના તો અર્જુનના જન્માક્ષર જોયા, ના તો તેને કોઈ દોરો કે તાવીજ આપ્યા, આ તારું યુદ્ધ છે અને તારે જ કરવાનું છે એમ અર્જુન ને સ્પષ્ટ કહી દીધું, અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી. બાકી શ્રીકૃષ્ણ ભગવાન ખુદ મહાન યોદ્ધા હતા. તેઓ એકલા હાથે આખી કૌરવોની સેના ને હરાવી શકે તેમ હતા, પણ ભગવાને શસ્ત્ર હાથમાં નહોતું પકડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના સારથી ( માર્ગદર્શક ) બનવા તૈયાર હતા.
આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ મને સમજાવે છે કે જો દુનિયાની તકલીફોમાં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ. તારી તકલીફોને હું હળવી કરી નાખીશ અને તને માર્ગદર્શન પણ આપીશ, કદાચ આજ ગીતાનો સહુથી સંક્ષિપ્ત સાર છે. જયારે હું પ્રભુ સન્મુખ થાવ ત્યારે ભગવાનને એટલી જ વિનંતી કરું કે ભગવાન મારી તકલીફોથી લડવાની મને શક્તિ આપજો. નહિ કે ભગવાન મારી તકલીફોથી છુટકારો આપજો. ભગવાન મારી પાસે ઉપવાસ નથી માંગતા, નહિ કે તું ચાલતો આવ કે બીજું કંઈ, ભગવાન માંગે છે તો મારું સ્વાર્થ વગરનું કર્મ.... માટે મારે કર્મ કરતા રહેવું.