પ્રમાણિકતા અને વફાદારી.
પ્રમાણિકતા અને વફાદારી.
'પ્રમાણિકતા' અને ' વફાદારી ' આ બંને શબ્દો
અદભુત છે. માનો તો જીવનનો એક ભાગ છે. બંને શબ્દો બોલવામાં, લખવામાં કે સાંભળવામાં ખૂબ જ સારા લાગે છે. પરંતુ આચરણની વાત આવે ત્યારે સામાન્યતઃ વ્યક્તિ એનાથી દૂર ભાગે છે.
દરેક વ્યક્તિ એવી અપેક્ષા રાખે કે સામેની વ્યક્તિ મારી સાથે વફાદારી દાખવે. અન્ય વ્યક્તિ પોતાની સાથે પ્રમાણિક પણે વ્યવહાર કરે. મતલબ કે પ્રત્યેકને આવું વર્તન ગમે છે. અપ્રમાણિક વ્યક્તિ પણ એવી આશા રાખે કે સામેની વ્યક્તિ પ્રમાણિક હોવી જોઈએ.
પરંતુ.... આચરણની બાબતમાં આ બંને ગુણો કષ્ટસાધ્ય છે. અઘરું ચોક્કસ છે પરંતુ અશક્ય તો નથી. આ માટે જોઈએ દ્રઢ મનોબળ. આ માટે જોઈએ લોકોના અભિપ્રાયોને પચાવવાનું કલેજું. આ માટે જોઈએ આપણાં જ પગલાં ઉપર આપણો વિશ્વાસ. આ માટે જોઈએ કૈંક કરી છૂટવાની તમન્ના. આ માટે જોઈએ ' મારો કે તમારો ' નહિ પરંતુ
'સમષ્ટિ'નો વિચાર.
તમે જ્યારે આ રસ્તે પગલાં ભરશો ત્યારે જ લોકો તમને બિરદાવવાનું ચાલુ કરશે. ગાંધી અને હરિશ્ચંદ્ર સાથે તમારી તુલના કરશે. કેટલાક આખાબોલા તમને ખરીખોટી પણ સંભળાવશે. હું જાણું છું કે આ પથ કઠિન છે. એમાં ઘણા અંતરાયો છે. આ રાહ પર ન ચાલી શકનાર માટીપગા માનવીઓ એક સંગઠન ઊભું કરશે. જે બિલકુલ તમારી વિરુદ્ધ હશે. એને બીક છે કે તમારી ઊંચાઈ ક્યાંક એને વામણા ન બનાવી દે. આપણી પીઠ પાછળ કૈંક કાવાદાવા, કાવતરાં અને કાનાફૂસી થશે.આપણા પગ ખેંચતા પણ એ લોકો નહિ અચકાય.બીજાના મોઢે આપણા વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં જરાય કસર નહીં છોડે.
તમે જેના પ્રત્યે વફાદારી કે પ્રમાણિકતા દાખવી હોય એ જ વ્યક્તિના કાન ભંભેરીને તમારી વિરુદ્ધ કરી મૂકશે. તમે ભલેને સો ટચ
સોના જેવા હો તમને કથીર સાબિત કરીને જ એ લોકો જંપશે. જો સામેની વ્યક્તિ કાચા કાનની હોય તો તમારા માટે આફતના પોટલાં. કદર તો યોજન દૂર રહી પરંતુ બળવાખોરો તમને સજા અપાવીને જ જંપશે. આ દુનિયા નો અટલ અને અફર નિયમ છે. આ બાબત માત્ર હું શબ્દબદ્ધ કરું છું એમ નથી. મારો જાત અનુભવ હું કલમના હવાલે કરું છું. બધા જ લોકો ઊંડાઈ ધરાવતા નથી હોતા. મોટા ભાગના
છીછરા હોય છે. માત્ર તકવાદી અને તકલાદી છે. બીજાને જ્યારે પછાડવાના હોય ત્યારે કેવી એકતા દેખાડે છે ! આજ લોકો કોઈને ટેકો આપવાની વાત આવે ત્યારે પોબારા ગણી જાય છે! આવા લોકોથી ઇશ્વર
સૌને બચાવે..!