વિશ્વ આરોગ્ય દિવસ
વિશ્વ આરોગ્ય દિવસ


સમગ્ર વિશ્વમાં 7 એપ્રિલના દિવસને 'વિશ્વ આરોગ્ય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિન ઉજવણી કરવા પાછળનો હેતુ દરેક રાષ્ટ્રની વ્યક્તિઓ તંદુરસ્ત જીવન જીવે અને તેનાથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એવો રહ્યો છે. આ માટે જિનિવા ખાતે આવેલ 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન' અર્થાત (વિશ્વ આરોગ્ય સંગઠન) સમગ્ર દેશોના નાગરિકોનું શારીરિક તેમજ માનસિક આરોગ્ય સારું રહે તેમજ તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. ઉત્તમ કક્ષાનું આરોગ્ય એ રાષ્ટ્રના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક તત્વચિંતકનાં જણાવ્યા અનુસાર 'તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન નું નિર્માણ' થતું હોય છે. ગુજરાતીમાં પણ કહેવત જાણીતી છે.' જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડ' અને 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' આથી તંદુરસ્ત સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિનું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની જાળવણી એ ખૂબ જ મહત્વની છે. એકવીસમી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી હોવાની સાથે-સાથે સાંપ્રત સમયમાં થઇ રહેલું શહેરીકરણ, આધુનિકીકરણ, પશ્ચિમીકરણ ના કારણે ગુજરાતીઓના ખોરાક પણ બદલાયા છે. તેથી તેની સીધી અસર આરોગ્ય પર પડે છે. આ સાથે સાથે આજના યુવાનો દેખાદેખીમાં શાળાના બાળકો નાની વયે અનુકરણ કરવામાં ક્યાંક તમાકુ ,બીડી , સિગારેટ વગેરે દૂષણો તરફ વળે છે અને પરિણામે દેશના નાગરિકોનું આરોગ્ય સુરક્ષિત રહેતું નથી. એક અભ્યાસ પ્રમાણે વિશ્વના જેટલા પણ દેશો છે તેમાં સૌથી વધુ યુવાધન એ ભારત પાસે છે. પરંતુ ભારતની કમનસીબી એ છે કે આજના યુવાનો એ વ્યસન તરફ અગ્રેસર થઈ રહ્યા છે. આવા કેફી દ્રવ્યોના વ્યસનથી આજના યુવાનો ખૂબ નાની ઉંમરે મૃત્યુ તરફ ધકેલાય છે. તમાકુનું વધુ વેચાણ અને તેનું સેવન આરોગ્ય માટે સૌથી મોટો પડકાર છે. ભારતમાં તમાકુ નું સેવન અને તેનું વધતું જતું પ્રમાણ એ આરોગ્યની દ્રષ્ટિએ ચિંતાનો વિષય બનતો જાય છે. ભારતમાં યુવા પેઢી અને તેમાંય ખાસ કરીને બાળકોમાં તમાકુ સેવન અને તેની આડઅસરો નું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંગઠનનું 'ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કંટ્રોલ' ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારત સરકારે 2003માં' પ્રોહિબિશન ઓફ એડવર્ટાઈઝમેન્ટ એન્ડ રેગ્યુલેશન ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રોડક્શન, સપ્લાય એન્ડ ડિઝાઇન ડીસ્ટ્રીબ્યુશન' 2003 એક્ટ ઘડ્યો છે. ગુણવંત શાહે પણ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, 'ભારતમાં લોકો પોતાના આરોગ્ય બાબતે જોઈએ તેટલા ગંભીર નથી. ભારતમાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે.' આનો સૂક્ષ્મ અર્થ આરોગ્યની બાબતમાં આજે આપણે ઘણાં પછાત છીએ. આજે સતત થઇ રહેલું હવાનું પ્રદૂષણ ,અવાજ નું પ્રદૂષણ ,પાણીનું પ્રદૂષણ, જમીન નું પ્રદૂષણ અને બદલાતા જતાં પર્યાવરણ ના કારણે વાઇરલ ઇન્ફેકશનનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે જેના કારણે માનવ જીવનનું આરોગ્ય ક્ષતિગ્રસ્ત બન્યું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારે નાગરિકોનું આરોગ્ય સુખાકારી રહે તે માટે અનેક પ્રજાલક્ષી આરોગ્ય કાર્યક્રમો ઘડ્યા છે. બાળકો માટે રસીકરણ , અમૃતમ વાત્સલ્ય યોજના હોય કે ચિરંજીવી યોજના હોય કે પછી દૂધ સંજીવની યોજના હોય કે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હોય. આ બાબત જોતા ભારત સરકાર નાગરિકોના આરોગ્યને લઇને સતત ચિંતિત છે. આજે વિશ્વ આરોગ્ય દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ. આપણું સ્વાસ્થ્ય સારું રહે તે માટે નિયમિત કસરતો કરીએ. પૌષ્ટિક અને સમતોલ આહાર નું સેવન કરીએ. ફળફળાદી, લીલા પાંદડાવાળા શાકભાજી નું વિપુલ માત્રામાં ઉપયોગ કરીએ. તમાકુ, બીડી, સિગારેટ જેવા નશીલા અને કેફી દ્રવ્યો ના પદાર્થોથી દૂર રહીએ. હવા ,પાણી ,જમીન, અવાજનું પ્રદૂષણ ઓછું કરીએ. જીવો અને જીવવા દો નો મંત્ર આત્મસાત કરીએ.