Ramesh Patel (Aakashdeep)

Others

4.3  

Ramesh Patel (Aakashdeep)

Others

પટેલ પાટીદાર -ગુજરાતની સાહસિક પરગજુ જાતિ

પટેલ પાટીદાર -ગુજરાતની સાહસિક પરગજુ જાતિ

4 mins
264



પટેલ પાટીદાર- ગુજરાતની સાહસિક પરગજુ જાતિ.


શ્રીફળ જેવી જાત પટેલની
હૈયાં દેવ દરબારી
પરબ કુવા પંખી ચબૂતરા
લોકહીતે દાતા ભંડારી


   પાટીદાર એટલે પટ્ટદાર, જમીન ધરાવનાર જે કુર્મી - કણબી તરીકે  ઐતિહાસિક ઓળખ ધરાવતી આ મહાજાતિ છે. સમયાંતરે સામાજિક ક્ષેત્રે પટલિકની આગેવાન   ભૂમિકા  થકી , વિશ્વમાં  વિખ્યાત બની છે .. આપણી ખંતીલી પરગજુ  મહેનતી  ગુજરાતી પટેલ કોમ.


        રાજ્યની મહેસૂલી આવકના સ્ત્રોત સમ , રાજાશાહી , સામંતશાહી કે નવાબશાહી શાસનો   સમયે , આફતો ને આક્રમણ સામે સ્થળાતર કરતાં કરતાં, મધ્ય એશિયાના , આસુ નદીના 'પામીર ' નામના ઉચ્ચ પ્રદેશની  , આ  કુર્મી તરીકે ઓળખાતી , ક્ષત્રિય જાતીની વસાહત , ધીરે ધીરે  સપ્ત સિન્ધુ, પંજાબ  ને ઉત્તર ભારત ને ગુજરાત તથા દક્ષિણે, વસવાટ કરી સ્થાયી થતી ગઈ.  મહેનતી ને પરગજુ સ્વભાવને લીધે, રાજ્યની કૃષિ આવકથી , સમાજ પોષક બની જેને  લીધે કુર્મી- કણબી જાતિ  લોક ચહિતી બનતી ગઈ.


.
કુર્મી શબ્દનો અર્થ- જાણવાથી કુ્ર્મી જાતિનો પરિચય મેળવવાનું આસાન થશે.


'કૂ' - શબ્દનો અર્થ 'ભૂ' અથવા ધરતી છે.
'રમી' - નો અર્થ રચનાર અથવા કૃષક સંબંધી...કાર્યશીલ  સમાજ એવો ભાવ છે.
   આ 'કુર્મી' સમાજ  ... ખેતીના વ્યવસાય થકી કાળક્રમે સમાજ ને રાજ્ય સંસ્કૃતિને પોષતો  અગત્યનો સમાજ બનતો ગયો.  કૃષિ ક્ષેત્રજ્ઞ કુર્મ ઋષિના વંશજ તરીકે આ જાતિ 'કુર્મી' તરીકે  ઈતિહાસે પ્રસ્થાપિત થતી ગઈ.


        કૂર્મ  ભૂ:- જેની પાસે જમીન છે તે ' કુર્મી' સમાજ , કશ્યપ ઋષિના ગોત્રજમાં , કુર્મ ઋષિના સંગઠનમાં,  કૃષક સમાજ  તરીકે ઊભો થયો ને સ્થળાંતર કરતાં કરતાં ગુજરાતની ભોમના સંસ્કાર ઝીલી કેવા ખ્યાત થયા , ચાલો એ રસિલો ઈતિહાસ માણીએ.


     મધ્ય એશિયાના , આસુનદી પાસેના 'પામીર'  નામના ઉચ્ચ પ્રદેશે વસતા , ખડતલ લોકો ખેતીને પશુ પાલન થકી સ્થાયી થયેલ. ટકી રહેવા ને નવી આજીવિકા શોધતી  , આ સાહસિક પ્રજા અફઘાનિસ્તાનના હિંદુકુશ પર્વતો ઓળંગી- સપ્ત સિન્ધુ નદીના  પ્રાન્તમાં  અને પંજાબમાં આવી વસી .


   આર્ય તરીકે ઓળખાતી આ પ્રજા, પ્રાચીન કુંભા( કાબુલ), કુમુ( કુરમ) નદીઓ પર ખેતી વડે સ્થાયી સમૃધ્ધી સાથે-કુદરતી પરિબળો - સુર્ય, નદી વૃક્ષ ને અગ્નિની ઉપાસના કરતાં કરતાં સંગઠીત થયેલ.  આ યુગમાં ઋષિ  પધ્ધતિથી એક જીવન વ્યવસ્થા વિકસી.


     વેદોની ઋચાઓમાં એનો  ખાસ ઉલ્લેખ જોવા મળે છે.
કશ્યપ ઋષિ - વિચારક, વિદ્વાન, વિકાસ માટે વૈજ્ઞાનિક અભિગમનું માનસ સાથે ,


કલા કે કુશળતા , જીવન પધ્ધતિ માટે અગ્રેસર ભૂમિકા ભજવતા ઋષિ હતા. તેમણે ઋગ્વેદના પ્રથમ મંડળ- સૂક્ત ૯૯ ની રચના કરી હતી.કૃષક સમાજની આ ખડતલ ક્ષત્રિય પ્રજા,  ખેતી વ્યવસાયે ' કુર્મી' તરીકે સંસ્કૃતિના વિકાસમાં ચાવી રુપ બની . વૈદિક કે સનાતન ધર્મી તરીકે  આ કુર્મી  જાતિ પ્રસ્થાપિત થઇ.  


   ખેતીના વ્યવસાય ના લીધે ,સામાજિક સુવિધા સાથે સિન્ધુ સંસ્કૃતિ વિકસી. વેદોમાં કુર્મી શબ્દ દેવરાજ ઈન્દ્રના વિશેષણ તરીકે પણ વપરાયેલની વિગત છે. વિરતા ને ગૃહસ્થ જીવન જીવતી આ જાતિ,' કુમ્બી ' જેનો અર્થ ગૃહસ્થ થાય - કુનબી ને કણબી થયો..એવું પણ સાહિત્યવિદો નોંધે છે.

કુર્મી નો અર્થ  સંસ્કૃતમાં- 

કુ  અસ્ય અસ્તિ ઈતિ કુર્મી . જેની પાસે જમીન હોય તે કુર્મી .


કૂર્મ ભૂ: -પૃથ્વી  કે  જમીન જેની પાસે  છે - તે કુર્મી.. આ શબ્દ લોકબોલીમાં   કુનબી થઈ અપભ્રંશમાં કણબી  તરીકે વપરાવા લાગ્યો.
આમ  મૂળે ' કુર્મી એ ક્ષત્રિય જાતિ - ખંત ને પરગજુ સ્વભાવથી સૌની સાથે ભળતી ગઈ.
આ સમાજના આગળ પડતા વહીવટદાર માટે,  મહારાજા હર્ષવર્ધનના સમયમાં ઈ.સ.૬૩૧ ના સમયમાં ગ્રામાક્ષ પટલિક કે અક્ષ પટલિક શબ્દ તેમના ઈલકાબ માટે, વપરાતો થયેલ એવો ઈતિહાસ છે.  


 ઈસ. પૂર્વે ૩૦૦ ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં ,  આ  કણબી  કોમને  પણ ,  સૌરાષ્ટ્રમાં રાજ્યાશ્રય મળેલ હતો.

આ સમૃધ્ધ થતા સમાજમાં ,   તે સમયના  સંજોગો પ્રમાણે  રક્ષા કરવા  - રાજ શાસન,  આક્રમણો સામે લડનાર વર્ગ ,વિનિમય ને કૃષિ માટે એક  નોંખી જીવન પધ્ધતિ ખીલતી ગઈ. આ  વસાહતો  પર , ૧૦,૦૦૦ BC ની શરુઆતમાં પશ્ચિમે તુર્ક  ને ઈરાનથી આક્રમણોનો દોર સતત ચાલુ  રહેતો .  લૂંટફાટથી   બચવા,
સ્થળાંતર કરતી  આ કુર્મી પ્રજાને  , કહેવાય છે કે  લવે વસાવેલ ' લેયા' ને ફુશે વસાવેલ 'કરડ' પ્રદેશમાં   વસવાટ કરવાની ફરજ પડી.  


 ખેતી એ અર્થતંત્રનો પાયો હતો ને આ મહેનતકશ ખંતીલી જાતિ, રાજ્ય શાસન માટે અગત્યનું  આર્થિક પરિબળ  બની રહેવા લાગી. પંજાબ સરહદે  વિદેશી આક્રમણોને દોર ચાલુ થતાં ,  ગુર્જરો સાથે કુર્મીઓએ  ભારતના ઉત્તર પ્રદેશોમાં વસવાટ કરવાનું શરુ કર્યું.
 પંજાબથી ઉત્તર ભારત, મધ્ય ભારતમાં આવી વસતા ગયા.  વિ.  સંવત ૭૦૨ માં , ગુજરાતમાં લેયાથી સ્થળાંતર કરી , ગામ અડાલજમાં  રામજી  પટેલ નામના આગેવાન ..૬૦૦ લેઉઆ પરિવાર સાથે આવી વસ્યા. બીજા। 'કરડ' પ્રદેશના  કણબી કુટુમ્બો ,  ઊંઝા  પ્રદેશે  આવી વસ્યા .  આ સમુહ કુશદ- કરડ થી આવેલ કડવા  કણબી જાતિ તરીકે ઓળખાવા લાગ્યા.


 ચંદ્રગુપ્ત મૌર્ય, પછી  ગુજરાતના પ્રતાપી રાજવી સિધ્ધરાજ  જયસિંહે  પણ , ગંગા જમના પ્રદેશમાંથી ૧૮૦૦ પાટીદારને પાટણ વિસ્વતારમાં વસાવેલ. આમ રાજ્યની આબાદીમાં ચાવી રુપ ભાગ ભજવતી , કણબી કોમ , ગ્રામ વ્યવસ્થાએ , આગેવાન ભૂમિકા સાથે  પટલાઈ કરતી થઈ ગઈ.


    મોગલાઇ  રાજ્ય શાસનમાં પણ એક વગદાર જાતિ  બનીને ,  સરકારી માણસ તરીકે માન મર્તબો મળતો થયો.   મુખત્યાર કે મુખી , અક્ષપટલિક કે પટેલ તરીકે  સામાજિક પદવી મળતી ગઈ. રાજ્ય માટે આવકનું સ્ત્રોત દેતી , આ જાતિને,  રાજ્યે  ખેતી માટે  જમીન  પટ્ટે આપી  ને  તેથી 'પાટીદાર ' તરીકે ખિતાબિત થઈ. ગામના આગેવાન ને પરગુજુ ઘસાઈ છૂટવાના ગુણને લીધે , દસ્તાવેજની નકલો સાચવવાનું કામ , રાજ  શાસકોએ  પાટીદારના મુખિયા પટેલને સોંપી ' પટ્ટલિક' બનાવ્યા.


     ઈસ. ૧૭૫૯ માં ગુજરાતના બધા જ પટેલો કણબી જાતિ તરીકે ઓળખાતા હતા ,  તેમને  ખેડા (પીપળાવ)ના  વીર વસનજી પટેલે , ઔરંગઝેબના મોગલ શાસનમાં , દફ્તરે 'પાટીદાર જાતિ ' તરીકે ઉલ્લેખ કરાવ્યો.  પાટીદારના મહેસૂલી વ્યવસ્થાપક ને અમીન  તરીકે પણ ખિતાબ આપી રાજના કામમાં ભાગીદાર બનાવ્યા . આજ રીતે , પેશ્વાઈ  શાસનમાં
મહેસૂલનો વહીવટ સોંપી ,  અમુક વર્ગને  દેસાઈનો ઈલ્કાબ આપવાનું શરુ થયું .


  પૈસે ટકે સુખી પાટીદારોએ , સખાવતથી, કુવા ચબૂતરા કે ધર્મશાળા ને કેળવણી માટે યોગદાન આપવાનું શરું કર્યું  ને ગામના ઉત્કર્ષ માટે ,  પરસેવાની પુણ્ય કમાણીથી , વિકાસમાં ફાળો આપવા લાગ્યા. આગેવાન , પટલાઈ સાથે નવી પેઢીએ સાહસની શરુઆત કરી. દેશ ને પરદેશમાં  પટેલ સમાજ , આગવી કુનેહથી વિવિધ ક્ષેત્રોમાં તજજ્ઞ બની  ,    પડકારો ઝીલી , ખંતથી વિકાસની કેડી પર પ્રતિષ્ઠા  સાથે યશભાગી બનતી ગઈ.
હાલમાં , ગુજરાતમાં પાટીદાર જાતિ - પટેલ અટક સાથે, લેઉઆ , (અમીન દેસાઈ ) કે  કડવા , ચૌધરી , આંજણાને  સૌરાષ્ટ્રની ૪૦૨  જેટલી વિશિષ્ટ અટક
ઓળખ સાથે , સમાજે   અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે.
સાહસિકતા  ને કેળવણી થકી, શ્વેત કે હરિત ક્રાન્તિમાં , નવયુગે ચેતના પ્રગટાવનાર , ડોક્ટર, ઈજનેર , કલા કે સાહિત્ય ક્ષેત્રે યોગદાન દેનાર પટેલ કોમને  ,રાષ્ટ્રે સાદર હૈયે , દાતાર પટેલ જાતિને વધાવી છે.


સરદાર પટેલ, ભાઈકાકા, એચ.એમ. પટેલ, રીજર્વબેંકના ગવર્નર  આઈ.જીપટેલ, ઉત્કર્ષ પટેલ કે ઉદ્યોગ પતિ કરશનકાકા ,  જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત શ્રી રઘુવીરભાઈ  ચૌધરી, પન્નાલાલ પટેલ ,  કેળવણી ક્ષેત્રે યોગદાન દેનાર શ્રી ગણપતભાઈ પટેલ,  સી.એલ. પટેલ , ભીખુભાઈ પટેલ, માજી મુખ્ય પ્રધાન શ્રી બાબુભાઈ જશભાઈ,  ડોક્ટર્સ, પ્રોફેસર્સ,  ઈજનેર  કે કૃષિ નિષ્ણાતોની , જેવી અનેક  અગ્રેસર  પેઢીને , મા ભોમને ચરણે સેવા કરવા ખડી કરી દીધી છે.

     આવો ગુજરાત ભોમકાની આ ગૌરવવંતી પટેલ- પાટીદારની વિકાસ ગાથાને, 

શબ્દ પુષ્પથી વધાવી અભિનંદીએ....


પુરુષાર્થે   રળે   કીર્તિ  કલદાર

વિશ્વે  ખ્યાત જ પટેલ પાટીદાર

તેજ જબાન પણ હિતકારી પંચાત

હૈયે એક જ વાત..

વતન અમારું, મનગમતું  ગુજરાત


....
રજૂઆત- સંકલન... રમેશ પટેલ(આકાશદીપ)
આધાર- પટેલ વિકિપીડિયા, ઐતિહાસિક અટક  લેખમાળા


Rate this content
Log in