પ્રમુખ સ્વામી મહારાજ- સંત તમે તો બ્રહ્મ પરબ્રહ્મના સેતુ
પ્રમુખ સ્વામી મહારાજ- સંત તમે તો બ્રહ્મ પરબ્રહ્મના સેતુ
લોક કલ્યાણી વિશ્વવંદ્ય વિભૂતિની આશિષ ઝીલતાં.. આવો એમની પાસે જઈ વંદના કરીએ...
બાળ સ્મરણો.
ભક્તિ પરાયણ કુટુમ્બના સંસ્કાર ઝીલતાં, પિતા સાથે ગુરુ સત્સંગ થકી, એકાદશીના વ્રત કરવાની બાળવયે શરુઆત કરી. ગુરુ શાસ્ત્રીજી ધર્મ સભા માટે ચાણસદ ગામે આવ્યા, શાન્તીભાઈ સાથે, પિતાજી દર્શને ગયા.પૂ. શાસ્ત્રીજી મહારાજે ત્યારે બાળ શાન્તીભાઈને જોઈને કહ્યું.મોતીભાઈ..”આ અમારા છે’ સમય આવે સેવા માટે યાદ કરીશું.
અભ્યાસ-
ગામની શાળામાં પહેલા ધોરણમાં પિતાશ્રીએ, ૧૬ મી મે ૧૯૨૯ના રોજ ભણવા બેસાડ્યા. શાન્તીભાઈ સ્વભાવે શાન્ત પણ શિસ્તબધ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. વર્ગમાં ભણીને નંબર લાવવામાં સ્પર્ધા થતી ને તેઓ હંમેશાં પ્રથમ -દ્બિતિય ક્રમાંકે વર્ગમાં રહેતા. ઈતિહાસ ને ગણિત એમના પ્રિય વિષયો. એકથી પાંચ ધોરણ બાદ, તેમણે છઠ્ઠા ધોરણ માટે,પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો. મિત્રો સાથે છ કિ.મી. સાયકલ લઈ, ઉબડ-ખાબડ રસ્તે, વરસાદના અંતરાયો વચ્ચે પણ અભ્યાસ માટે નિયમિત જતા. માતાએ બનાવેલ.. ઢેબરાં,વડાં, ગરી પૂરી અને અથાણું એ તેમની રોજીંદી ભોજન પેટી.
શાળાના સમય પછી કે રજાઓમાં..ગામના તળાવે તરવા જવું, ત્રણ મિંદિરો..સત્યનારાયણ, સ્વામીનારાયણ ને હનુમાન ગઢીએ દર્શન કરવાં..હનુમાન ગઢીના મહરાજશ્રી હરિદાસજી પાસે બેસી, શાન્તીથી રસપૂર્વક હરદ્વાર ને ઋષીકેશ તિર્થોની ને ભગવાન રામ કૃષ્ણની વાતો સાંભળવી, એ સહજ બાળક્રમ. ભજન ગાવાનો ખૂબ જ શોખ એટલે ગામની ભજન મંડળીમાં જોડાઈ ને ગાતા..કરતાલ પણ વગાડતા. રમતો રમવાના પણ એટલા જ શોખીન સ્વભાવના. દેશી ગેડી-દડા રમવા ઘરેથી એ છાના-માના પહોંચી જતા ને ક્રિકેટ માટે મોંઘાં સાધનો પણ લાવવા ભેગા મળી આયોજન કરતા.
સાધુ જીવન..
શાન્તીભાઈ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું “ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચીઠ્ઠી આપી છે. હું હમણાં બોચાસણ નજીકના ગાના, ગામે સત્સંગમાં ગયેલો ત્યાંથી આ સંદેશો આપને પહોંચાડવા આવ્યો છું.”
અઢાર વર્ષના યુવાન શાન્તીભાઈએ કવર ખોલી ચીઠ્ઠી વાંચી..” સાધુ થવા આવી જાઓ”
શાન્તીભાઈ વડોદરા જવા ને બદલે પાછા ઘેર આવી, માત-પિતાને ચીઠ્ઠી બતાવી ને કહ્યું રાવજીભાઈના ભાઈલી ગામે મારે, સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી ને ઘનશ્યામ સ્વામીજીને મળવા જવા ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે. આ હરિભક્ત કુટુમ્બે આને જીવનની ધન્ય પળો ગણી હસતે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે શાન્તીભાઈને વિદાય દીધી.એ દિવસ હતો
તા-૭/૧૧/૧૯૩૯.આસો વદ-૧૧, વિ.સં.૧૯૯૫
તેઓ પ્રથમ સાધુઓ સાથે સેવામાં રહી, બોચાસણ ગયા. ત્યાંથી સાધુ નિર્ગુણાદાસ સ્વામી તેમને અમદાવાદ પૂ. શાસ્ત્રીજી મહારાજને મળવા લઈ ગયા. ચાણસદથી નીકળેલ આ યુવાન,
૧૪ દિવસમાં અમદાવાદ આવતાં જ સખત તાવમાં પટકાયો. પણ પ.પૂ .શાસ્ત્રીજી મહારાજને જોઈ રાજી રાજી થઈ ગયો..પોતાની વેદના ભૂલી ગયો.ગુરુ મહારાજ બોલ્યા તને સારું થઈ જશે.ને પ.પૂ ગુરુ શાસ્ત્રીજી મહારાજે, અમદાવાદમાં પાર્ષદની દીક્ષા દઈ, શાન્તી ભગત બનાવ્યા.કારતક સુદ-૧૧, વિ.સં-૧૯૯૬ ને તારીખ હતી..૨૨ નવેમ્બર,૧૯૩૯.
ગુરુ શાસ્ત્રીજી મહારાજે, સંસ્કૃત ભાષાના અધ્યયનની તેમને શરૂઆત કરાવી. તેની ધગશ તથા તેજસ્વીતા જોઈ, શાસ્ત્રીજી મહારાજને લાગ્યું કે આ યુવાનની કોઠાસૂઝ મોટી જવાબદારી ઉપાડે એવી છે. સંસ્કૃત ભણી શાસ્ત્રીજી બ્ન્યા, સાધુ જીવનની દિનચર્યામાં એવા તો ગોઠવાઈ ગયા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજના ચહિતા બની ગયા.
શાંત, ધીર, ખંતીલા ને સદગુણોના બાલ્ય સંસ્કાર સાથે,ગુરુભક્તિની અનન્ય આસ્થા જોઈ.અક્ષર ડેરી,ગોંડલ ધામે,શાસ્ત્રીજી મહારાજે, પૂ.યોગીજી મહારાજ સાથે, સંપૂર્ણ વૈદિક વિધિથી ભાગવતી દીક્ષા આપી.
તા-૧૦ જાન્યુઆરી,૧૯૪૦ ના,( પોષ સુદ -૧, વિ.સં.૧૯૯૬) રોજ ગુરુ શાસ્ત્રીજી મહારાજે, સાધુ નારાયણસ્વરૂપદાસ સ્વામીની પદવી આપી..આશીષ આપ્યા.
ગુરુ શાસ્ત્રીજી મહારાજની છત્રછાયામાં, સેવા,સાદગી ને સમર્પિત ગુરુભક્તિ થકી,ભગવાન સ્વામીનારાયણના શુધ્ધ પંચવર્તમાન પંથે,સંસ્કાર દ્રઢીભૂત કરતા ગયા. કામકાજમાં સમર્પિત ભાવ જોઈ, તેમને ૨૩મા વર્ષે સંસ્થાની વહિવટી કમિટીમાં ગુરુએ નિમણૂક કરી. તેમની સુઝબૂજથી પ્રભાવિત,શ્રી શાસ્ત્રીજી મહારાજે, નાણાંકીય વિટંબણાઓ વચ્ચે, ૧૯૪૬માં,૨૪મા વર્ષે સારંગપુરમાં સ્વામીનારાયણ મંદીરના કોઠારીની મહત્ત્વની જવાબદારી સોંપી. મંદિરમાં સત્સંગ માટે આવેલા હરિભક્તોમાં તેઓ ઉમળકો પ્રેરતા ગયા. જાત સેવા આપવા સદાય અગ્રેસર એવા, ઘેર ઘેર જતા, મંદિર માટે ઝોળી લઈ સીધુ ઉઘરાવતા ને ધર્મસભા કરતા. નવા કામકાજ હાથ ધરવાની કોઠાસૂઝ જોઈ..૧૯૫૦ સુંધીમાં, આ યુવાન સાધુ,ગુરુજીના વિશેષ પ્રિયપાત્ર બની ગયા. તેમની સરળતા ભરી સાધુતા ને કોઠાસૂઝથી પ્રભાવિત થઈ, શ્રી શાસ્ત્રીજી મહારાજે, પ.પૂ.યોગીજી મહારાજની આશીષ સાથે, બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ‘પ્રમુખ’ તરીકેની ખૂબ જ મોટી જવાબદારી, ૨૧ મી મે,૧૯૫૦(વિ.સં.૨૦૦૬ના જેઠસુદ-૪)ના રોજ સોંપી.ફક્ત ૨૮ વર્ષની વયે, સાધુ નારાયણ સ્વરૂપદાસને,હરિભક્તોએ ‘પ્રમુખ સ્વામી’ ના હુલામણથી, જય જયકાર કર્યો ને આજે ૯૪મા વર્ષે,સંસ્થાને વિશ્વવંદનીય વિરાટ સંસ્થા બનાવી,દોરવણી આપી રહ્યા છે. પ.પૂ .યોગીજી મહારાજના અવસાનબાદ, 23 જાન્યુઆરી, 1971 માં ભગવાન સ્વામીનારાયણ સ્વામીના પાંચમા અનુગામી તરીકે, સંત ચરણ કોટી જન ઉધ્ધારક થઈ ને પ્રમુખ સ્વામી,, આ યુગના સાચા સંત તરીકે પૂજાય છે.
ભગવદ ગુણોના વિરલ ગુણ ધારક, પ્રમુખ સ્વામીના આશીષ વચનો,અમૃત વચનો બની,સૌને સમાજ સેવા, ધર્મ કાર્યો ને વ્યસન મુક્ત કુટુમ્બ ને સમાજ માટે પ્રેરણા દઈ રહ્યા છે. પૂર, ભૂકંપ, દુષ્કાળ, સમયે, લાખો નિસ્વાર્થ સેવાભાવી સ્વયં સેવકોની ફોજ, ભાતૃભાવથી કાર્ય કરતી, વિશ્વે જોઈ છે. વિશ્વના અનેક મહાન ધર્મગુરુઓ, રાજકીય મહાનુભાવો, સમાજસેવી સંસ્થાઓ સાથે, છ દાયકા સુંધી, સંત પ્રતિભાથી તેમણે સૌને પોતીકા બનાવ્યા છે.
સર્વ ધર્મોને આદર દેતું, મૈત્રીભાવથી જ વિશ્વસુખી બને ને સર્વ કાર્યોમાં એજ શ્રેયીની દ્ર્ઢ શ્રધ્ધા ભર્યું,તેમનું યુનોની ધર્મસભામાં,૨૯ ઑગષ્ટ,૨૦૦૦,ના રોજ ગુજરાતી માતૃ ભાષામાં આપેલ પ્રવચન, એ આપણું મહા ગૌરવ છે.ભારતીય સંસ્કૃતિ ખૂબ જ મૂલ્યવાન છે. વિકાસના આ યુગમાં,સમાજને આધ્યાત્મિક રીતે સમૃધ્ધ બનાવી ખૂટતી કડી ઉમેરાઈ જાય તો..વિશ્વ સુખી બનેનો સંદેશ, આજે પણ યથાર્થતાથી ગુંજી રહ્યો છે.
સ્વામીશ્રીનું જીવન દર્શન..જાણે મહાસાગર.એક આચમન અવલોકન–
નિરંતર પ્રસન્ન દર્શની મહાસંત, એ પ્રમુખ સ્વામીની વૈશ્વિક પ્રતિભા છે.નાનકડા બોચાસણની બિન્દુ સમાન આ સંસ્થા આજે,તેમના સરળ છતાં દિવ્ય વ્યક્તિત્ત્વથી વિશ્વ જ્યોતિર્ધર બની છે. ગુરુશ્રી શાસ્ત્રીજી મહારાજ ને પ.પૂ.યોગીજી મહારાજના આશીષ સાથે, ભગવાન સ્વામિનારાયણ ને ભારતીય સંસ્કૃતિનાં ઉજ્જવલ મૂલ્યો માટે, ૫૫ જેટલા વિદેશોમાં રચનાત્મક રીતે આજે BAPS કાર્યરત છે.જેના તેઓ સૂત્રધાર છે.આ કાર્યમાટે વિકટ પરિસ્થિમાં, ત્રણે ઋતુઓમાં, અંતરિયાળ ગામોમાં સત્સંગ થકી, પ્રભુભક્તિ થકી જનસેવાનું માનસ ઘડ્યું છે. વ્રતધારી હરિભક્તો એ,વ્યસનમુક્ત સમાજની પહેલ કરી છે.. પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી, સમાજ માટે કામ કરવાની પ્રેરણાનું તેઓ સ્ત્રોત બન્યા છે.
પરદુખે જાતને તપાવતી, વેદનાઓ વહેંચતી સંવેદના..
સ્વામીશ્રીનો કરુણા પ્રવાહ પ્રાંતોની સરહદોથી પર, માનવ ધર્મની જ્યોત સમ ઝળહળે છે. તેમણે ૧૯૯૩નો મહારાષ્ટ્રના ભૂકંપ વખતે, ત્વરીત રાહત સહાય સાથે, આયોજન બધ્ધ ગામોને દત્તક લઈ, ધર્મના સંકુચીત વાડાથી પર બની એક ઉદાહરણ દેતું કામ કર્યું છે.ઓરીસ્સાનું વાવાઝોડું, ચેન્નાઈના દક્ષિણ ભાગે કન્યાકુમારી,આંદોમાન-નિકોબાર ટાપુ, સુનામીની ભયંકર તબાહી, ૨૦૦૬ નો સુરતનો જળપ્રલય, નૈરોબી-દારેસલામ,૨૦૦૧નો ગુજરાત- ભૂજનો ભયંકર ભૂકંપ કે કેલિફોર્નીઆ(અમેરીકા)ના ભૂકંપ પીડિતો. દરેક કુદરતી કે માનવ સર્જિત વિકટ આફતોમાં,તેમણે જે સેવા બજાવવા પ્રેરણા સાથે કામ કર્યું છે, તે અનન્ય છે.એકી સાથે ૫૦૦ ભૂકંપગ્રસ્ત ગામોમાં, અન્ન, વસ્ત્ર, દવાઓ ને રોજના ૪૦,૦૦૦ લોકોને ગરમા-ગરમ ભોજન માટે સ્વચ્છતા સાથે રસોડાં થકી, આ સંત મહાપુરુષે સેવાની અલખ જગાવી દીધેલ..ફરીથી વસાહતો ઊભા કરવા, BAPS એ નાણાંકીય સહાય વડે ગામોને દત્તક લઈ, અનાજની કીટો વહેંચી છે.શાળાઓ ને હૉસ્પિટલો ઊભી કરી છે. સંતોને હરિભક્તો સાથે, સૌને હૂંફ દેવા પ્રમુખસ્વામી જાતે ગલીએ ગલીએ પીડિતો વચ્ચે ઘૂમ્યા છે.પ્રાણીઓ માટે પણ દુષ્કાળમાં,રાહત આપતી તેમની સેવા થકી, સ્વયં સેવકોએ પોતે, આંખોમાં ભીંનાશ વેરી જતી અનુભવી છે.
આધ્યાત્મિક સાંસ્કૃતિક ભારતીય ધરોહર ..અંતર ચોખું કરવાનો કસબ-
મંદિરો સત્સંગ માટે જરૂરી છે..એ ગુરુ આજ્ઞા માટે તેમણે ખૂબ જ સમર્પણથી આયોજન કર્યું. દેશ ને વિદેશોમાં અનેક મંદિરો તથા અક્ષરધામના નિર્માણમાં , તેમની કલા રુચી, મૂર્તિકળાની કોઠા સૂઝ, વિશાળ પરિસરો સાથે સ્વચ્છતા ને પવિત્રતા જળવાય તેની ચીવટ માટે,તેઓ સૌના હૃદયે વસેલા છે.હાલ ૧૧૦૦ ઉપરાંત મંદિરોના નિર્માણ સાથે પ્રાચીનતમ, આરસપહાણ કોતરણી કલાના શિખરબધ્ધ મંદિરોના નિર્માણ, કરવાનો સઘળો શ્રેય તેમને મળ્યો છે.
તેમના ૭૧૩ મંદિરોના નિર્માણના યોગદાન સમયે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ(૨૦૦૦,૮ જુલાય) ,પ્રમુખ સ્વામીને સન્માનિત કરેલા છે.. વિદ્વાન સંતોની સેવા થકી, ભક્તિ-સંગીત પ્રિયતા, બાલ સંસ્કાર કેન્દ્રો,સત્સંગ મંડળો ને વ્યસન મુક્તિ થકી સમાજ સેવા ને, ચારિત્ર્ય નિર્માણની સકળ પ્રવૃત્તિઓના તેઓ પ્રેરણા સ્ત્રોત છે.
યશ કલગી સમાન, દિલ્હી સ્થિત વિશાળ અક્ષરધામનું નિર્માણ ફક્ત પાંચ જ વર્ષમાં પૂરું થયેલું જોઈ, ભારતના પ્રખર વૈજ્ઞાનિક ને આદરણીય રાષ્ટ્રપતિ ડૉ.શ્રી અબ્દુલ કલામના, ઉદઘાટન સમયે, સ્વામીશ્રી સાથેના આ વાર્તાલાપના શબ્દો, આજે પણ સૌના હૃદયે અંકિત છે.
” હું જ્યારથી અક્ષરધામમાં આવ્યો, પ્રવેશ કર્યો ત્યારથી એક પ્રશ્ન સતત રહ્યા કરતો હતો કે, આટલા લાખો લોકો દ્વારા પાંચ વર્ષમાં આવું ભવ્ય ને દિવ્ય કામ કેવી રીતે બને! અંતરમાં એનો જવાબ મને એવો મળતો કે, પ્રેરણાના પાનાર,શ્રીસ્વામિનારાયણ ભગવાન,આપ સૌના આત્મામાં બીરજામાન થઈ ગયા હશે.ને એટલે જ આખું અક્ષરધામ ખીલી ઊઠ્યું છે.સાહજિક રીતે મારે આપની સાથે કામ કરવું છે, જેથી સમૃધ્ધ, સુરક્ષિત ને આધ્યાત્મિક ભારત તૈયાર થાય.આપ સંપૂર્ણ આધ્યાત્મિકતાના પૂંજ છો.આપની આ દિવ્ય શક્તિ જોઈ, એમ લાગે છે કે દુનિયામાં બધું જ શક્ય છે.”
સંતોપદેશ... પ્રમુખ સ્વામીના આશીષ વચનો
“બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.”,
વિશ્વની ૬ અબજ વસ્તીમાંથી ..૨૦ પ્રતિભાશાળી વ્યક્તિઓમાં નામાંકિત,પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ૧૦૦૦ જેટલાં મંદિરો દ્વારા, માનવ ઉત્કર્ષની ધ્વજા લહેરાવી રહ્યા છે.
તેમનું થોડું વિચાર દર્શન.
જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશે, તેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં. ધર્મ શું છે?..ફક્ત સદાચાર.
અમે તમને શી શીખ આપીએ છીએ.વ્યસની ના બનો. મોટાઓને માન આપો. સમાજને માટે કામ કરો.બીજાની લાગણીઓને સમજો. અમારા ગુરુ યોગીજી મહારાજ પ્રેમની મૂર્તિ હતા. તેમનું જીવન એવું પવિત્ર ને પ્રેમ ભર્યું કે, હજારો વિદ્વાન ભક્તો એમની ગુરુ આજ્ઞા માટે સંકલ્પથી કામ કરતા. માનવતાનું ગૌરવ એ સૌની શોભા.
ઘણા પૂછે મંદિરોનું મહત્ત્વ શું?.માણસની આધ્યાત્મિક જરુરિયાત માટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલેટરીની જરૂર છે, તેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે. ગામે ગામ વિચરણ કરી , જન માનસને દૂષણોથી મૂક્ત કરવા ફરતા સંતોથી જ આ સંસ્કૃતિ ટકેલી છે. સાધુ સંતો સમાજના જ અંગો છે.કોઈ જગ્યાએ થોડી ક્ષતિ દેખાય તો પણ,આ પથ લોક-કલ્યાણનો છે.ભારત મંદિરોથી ઉજ્જવળ છે. શાળા, હોસ્પિટલની સાથે સંસ્કાર નહીં હોય તો વિનાશ નક્કી જ છે.મનની શાંતિ વગર સુખ ક્યાંથી મળે?
.આપણે ભગવાનના દિવ્ય ગુણોને સ્મરીએ છીએ.જયશ્રી રાધાકૃષ્ણ, જયશ્રી સીતારામ મંત્રની જેમ જ..’જયશ્રી સ્વામિનારાયણ ‘ મંત્ર માં એક તત્ત્વજ્ઞાન સમાયેલું છે.ભક્ત સહિત ભગવાનની ભક્તિ..
એટલે બ્રહ્મ અને પરહ્મમ.નર નારાયણની ઉપાસના જેવી. આવો સ્વામિનારાયણ ભગવાને જાતે જે મંત્ર જનકલ્યાણ માટે આપ્યો તે હેતે ભજીએ..’જય સ્વામિનારાયણ'.
સ્વામિનારાયણ ભગવાનના સિધ્ધાંત અને સત્સંગને, ભાઈચારાથી વિશ્વફલકે લઈ જવા,તેમણે અનેક ઉત્સવો યોજ્યા .૧૯૫૯માં સૌ પ્રથમ પૂ. યોગીજી મહારાજ સાથે પૂર્વ આફ્રિકા ગયા.ફરીથી પૂ.યોગીજી મહારાજ સાથે,૧૯૭૦માં પૂર્વ આફ્રિકા ને યુ.કે. ગયા.પૂ.યોગીજી મહારાજ,૨૩જાન્યુઆરી,૧૯૭૧ એ અક્ષરધામે પધાર્યા બાદ, સંસ્થાના પાંચમા આધ્યાત્મિક અનુગામી તરીકે સંસ્થાના સર્વેસવા થયા.
પ્રમુખ સ્વામીશ્રીએ, ૨૯માર્ચ ૧૯૭૪થી ૩ જાન્યુઆરી ૧૯૭૫ માં, ત્રીજી સત્સંગ વિદેશ યાત્રા યોજી.કેન્યા, તાન્ઝાનીઆ, યુ.કે., યુએસે, કેનેડા,સાઉથ આફ્રિકા,મૌરીટીઅસ ગયા. મંદિરોના નિર્માણનું આયોજન, અમલ,ભૂમિપૂજા, પ્રાણપ્રતિષ્ઠા, સંસ્કાર કેન્દ્રો, વિશ્વવ્યાપી સત્સંગ મંડળો, સાધુ દિક્ષા ને સામાજિક ક્ષેત્રે અપૂર્વ સેવાઓ માટે,૧૯૭૭,૧૯૭૯,૧૯૮૦ વિદેશોમાં વિચરણ કરી, હરિભક્તો સાથે અન્ન્ય નાતો તેઓએ જોડી દીધો. તેમના સાતમો વિદેશ પ્રવાસ, ૧૯૮૨માં યુનાયટેડ આરબ અમીરાતમાં યોજાયો.એ એક નવી જ ક્ષિતિજ સમાન આલેખાયો.
૧૯૮૩માં તેમણે હાર્ટ એટેક અનુભવ્યો, છતાં ૬૪મા વર્ષે, ૨૩ માર્ચથી, ૪ ઑક્ટોબરના રોજ નવમી વિદેશ યાત્રા કરી. કેન્યા, યુ.કે.,ઈટાલી, બેલજીયમ, હોલેન્ડ, પોર્ટુગલ, યુએસએ, કેનેડા, ફીજી, ઑસ્ટ્રેલીયા, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, મલેશિયા,ને શીંગાપૂર,નો વિશ્વ સત્સંગ યોજ્યો.૭ એપ્રીલ,૧૯૮૪ના રોજ..પોપ જહોન પૌલ સાથે, વેટીકન સીટીમાં મુલાકાત યોજી, સદાચાર શિષ્ટતા ને સૌજન્યથી વિશ્વને સૌરભ થકી ભરી દીધી.
..૧૯૮૫માં લંડન ખાતે તેમની ૧૧મી વિદેશ યાત્રા સમયે,”પ્રમુખ સ્વામી..સુવર્ણ તુલા મહોત્સવ”, નું ભવ્ય આયોજન, ૨૦મી જુલાયે હરિભક્તોએ કરી બહુમાન દીધું.
આજ સુંધીમાં વધતી જતી ઉમ્મરમાં પણ,હરિભક્તોને રાજી રાખવા, સંપ્રદાયના વિશાળ વટવૃક્ષને સંવારવા.. પ્રેરણા પાવા, ૨૮ જેટલા વિદેશી પ્રવાસો થકી, ભારતીય સંસ્કૃતિ ના વિશ્વ ધ્વજ ને પ્રમુખ સ્વામીએ ફરકાવી દીધો છે..જેની આ સદી સાક્ષી બની ને ઊભી છે.
પ્રમુખસ્વામીશ્રીના નેજા હેઠળ, સંસ્થાના યાદગાર વિશાળ આયોજનો..
આ વિશાળ આયોજનોમાં,શિસ્ત, સમર્પણ સાથે જે ભવ્યતાનાં દર્શન થયાં, તેના પુસ્તકોને, વિડીઓ સંકલન પ્રસારણો એ, તેમની વિશ્વે બોલતી યશગાથાઓના પૂરાવા છે.
૧૯૬૧માં સૌ પ્રથમ તેમણે ગઢડામાં કલશ મહોત્સવ યોજી,૫૧ નવયુવાનોને સાધુ દીક્ષા દીધી..આજે સંસ્થામાં વિદ્વાન યુવાઓને,આધુનિક શિક્ષા પછી સાધુ બની સેવા આપવા એવી પ્રેરણા પાયી કે,૯૦૦ જેટલા ભગવદ દીક્ષા લીધેલા સાધુસંતથી આ સંસ્થા ગૌરવવંતી છે.આ વિશાળ સંતવૃન્દે, સામાજિક ઉત્થાન માટે,સદાચાર ને સંયમથી ક્રાન્તિ પ્રગટાવી..શુધ્ધ ઉપાસનાના માર્ગે લાખો અનુયાયીને વાળ્યા છે..આ સૌમાં પ્રમુખસ્વામીશ્રીનું તપોબળ એ મુખ્ય સ્ત્રોત છે.બ્રીટિશ, કેનેડાની પાર્લામેન્ટ કે બર્મીગન પેલેશ કે વિશ્વધરંધરોની મુલાકાત પછી પણ એટલા જ સહજતાથી,એ સામાન્ય હરિભક્તોના સુખદુખના સાથી બનીને વિચર્યા છે.
૧૯૬૫-અક્ષર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ શતાબ્દી મહોત્સવ, ૧૯૬૭-પૂ.યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ, ૧૯૭૫-યોગીજી સ્મૃતિ મંદિર ઉદઘાટન,૧૯૮૧-ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી,૧૯૮૫-ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી,વિદેશમાં..૧૯૮૫અને ૧૯૯૧માં લંડન તથા અમેરિકામાં સાંસ્કૃતિક મહોત્સવો.શિખરબધ્ધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવો, આંતરરાષ્ટ્રીય બાળ-યુવા મહોત્સવો થકી..મૂલ્યનિષ્ઠ સામાજિક પરિવર્તનની સાથે સમર્પિત સ્વયંસેવકો ને આધુનિક અભિગમની વિશ્વ સેના,સંસ્થા માટે ઊભી કરી દીધી. જે શીઘ્રતા ને ચોક્સાઈથી, સર્વ સ્થળોએ સંતો સાથે કાર્યકરોએ આ સંચાલનો, લાખો જનસંખ્યા માટે સહજતાથી કરી બતાવ્યાં.એ સર્વ જગ્યાએ તેમનું પ્રેરકબળ હતું. પ્રમુખ સ્વામીશ્રીએ સદાયે એ યશ, ગુરુને ભગવાનની આશિષ કહી વધાવ્યો છે. આ અસંખ્ય પ્રસંગોએ, પ્રમુખસ્વામીની ધીરતા, સરળતા,વહીવટી દક્ષતા સાથે સંત પ્રતિભાથી વિશ્વ પ્રભાવિત થયું છે.બી.એ.પી.એસ.થકી નવી પેઢીને સદગુણોથી સજવા, ભારતીય સાંસ્કૃતિક
વિરાસતને ગૌરવવંતી બનાવી છે.
પ્રમુખ સ્વામીના ગુરુપદે..બીએપીએસ..સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપ
૫૫ દેશોમાં, ૧૨૫૦૦ ઉપરાંત વિશ્વવ્યાપી સત્સંગ મંડળો..મહિલા મંડળો થકી..યુવા આંતરિક શક્તિ વિકાસ સંચાલન.
વિશ્વના ૧૫ જેટલા દેશોમાં ૭૫૦થી વધુ નવાં મંદિર સંકુલનો નિર્માણ કરી..કુલ ૧૧૦૦ મંદિરોમાં ૯૦૯૦ જેટલાં સંસ્કાર કેન્દ્રોનું નિયમિત સંચાલન .
૪૦ સામાજિક સેવા સંકુલો દ્વારા વિરાટ નિઃસ્વાર્થ,નિઃશુલ્ક સેવા (હરિભક્તોના દાનથી),
૮૦ નૂતન શાળાઓ,૩૧ શિક્ષણ પરિસરો(૧૧૦૦૦ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ લાભ લે..છાત્રાલય સાથે)
૨૨ જેટલાં આરોગ્ય કેન્દ્રો ..૭ મોટી હોસ્પિટલો.. ફરતા દવાખાના સાથે.પરિવહન, ( પાંચ લાખ દર્દીઓને પ્રતિવર્ષ સેવા)
પ્રમુખ સ્વામીશ્રીએ,૧૯૭૪માં તેમના સત્સંગ વિચરણ સમયે, કપણવંજ મુકામે, જાતે હરિભક્તોને લાડુ જમાડ્યા હતા..અમે પણ એમાં સદભાગી બનેલા.ત્યારબાદ વણાકબોરી થર્મલ ને ગાંધીનગર બાદ, કેલિફોર્નીઆમાં,વિશ્વના સૌ પ્રથમ ધરતીકંપ પ્રુફ શિખરબધ્ધ મંદિર(LA),ના સમારોહમાં,ભૂમિપૂજાથી શરુકરી..સંસ્થાના સર્વ આયોજનને માણી ,રાજીપો રળવાનો લ્હાવો લૂંટ્યો છે..આ ચરણવંદના પ્રમુખસ્વામીશ્રીને અર્પી છે. .
ભગવંત શ્રી સહજાનંદ રંગે, પૂણ્યે જાગ્યા સૌભાગ્ય અનેરા
સરળ નમ્રતા સાધુતા શોભે, પથ પથ પ્રગટે જ્ઞાનના ડેરા
મંદિર ગુરુકુળ અક્ષરધામથી, વહે સંસ્કાર ઝરણાં આનંદે
ગુરુ પરંપરા રમતી જનહીતે, પાવન દર્શને શીશ રે વંદે.