પરિશ્રમ એ જ પારસમણી
પરિશ્રમ એ જ પારસમણી
કોઈ એક સુંદર મજાનું રાજ્ય હતું. ત્યાં એક રાજા રાજ કરતો હતો. એક વખત એ રાજ્યમાં બહારથી તેમનો ખાસ મિત્ર મહેમાનગતિ કરવા માટે આવ્યો.
રાજાએ તે મિત્રને બહુ માન-સન્માન આપ્યું. તેને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી. આનાથી તેમનો મિત્ર ખૂબ જ ખુશ થઈ ગયો અને બદલામાં તે આગંતુક મિત્રએ રાજાને એક સરસ મજાનો પથ્થર ભેટ આપ્યો. પથ્થર જોઈ રાજા ખુશ થઈ ગયો અને તેમના ખાસ પ્રધાનને બોલાવી તેને આ પથ્થરમાંથી સુંદર મૂર્તિ બનાવવાની કામગીરી સોંપી.
પ્રધાને રાજ્યના સૌથી હોંશિયાર શિલ્પકારને તે જવાબદારી સોંપી. એ શિલ્પકારે ટાકણું-હથોડો વગેરે ઓજારો લઈ મૂર્તિ ઘડવાની શરૂઆત કરું. એક પછી એક એમ કેટલાય ઘા કર્યા પણ પથ્થર તૂટવાનું નામ નહોતો લેતો.
મૂર્તિકારે અંતિમ પ્રયત્ન કરવા હથોડો ઉગામ્યો પરંતુ તેને વિચાર આવ્યો કે આટલા બધા પ્રયત્નો કરવા છતાં પથ્થર તૂટ્યો નથી. તો હવે શું તૂટવાનો..! એમ માની તેણે એ અંતિમ પ્રયત્ન કરવાનું માંડી વાળ્યું અને તે શિલ્પકારએ પ્રધાનને બોલાવીને તે પથ્થર પરત કરી દીધો.
પ્રધાને તે પથ્થર બીજા એક શિલ્પકારને મૂર્તિ બનાવવા આપ્યો. એ મૂર્તિકારે હથોડાનો એક જ ઘા માર્યો અને તે પથ્થર તૂટી ગયો. અને એ શિલ્પકારે પથ્થરમાંથી સુંદર મૂર્તિ ઘડી રાજાને ભેટ આપી.
શિલ્પકારએ જે મૂર્તિ બનાવી. તેને જોઈને રાજા ખૂબ જ ખુશ થઈ ગયા. અને તે શિલ્પકારને તેના બદલામાં સો સુવર્ણ મુદ્રાઓનું ઉત્તમ ઈનામ આપવામાં આવ્યું.
પ્રધાને વિચાર્યું કે જો પેલા મૂર્તિકારે વધુ એક પ્રયત્ન કર્યો હોત. તો પથ્થર તૂટી ગયો હોત. અને આ ઈનામનો હકદાર એ શિલ્પકાર બનત.
આમ, મિત્રો આપણે પણ વારંવાર પ્રયત્ન કરીએ છીએ. તેમ છતાં પરિણામ ન મળતા નાસીપાસ થઈ જઈએ છીએ. થકીને હારી જઈએ છીએ, તેથી પરિણામ મેળવી શકતા નથી. જયારે આપણા કરતા એકાદ પ્રયત્ન વધુ કરનાર વ્યક્તિ તરત જ સફળતા પ્રાપ્ત કરી શકે છે.