એ તો એકવાર થઈ ગયાં
એ તો એકવાર થઈ ગયાં


કુડકી ગામે રાવ રાઠોડનાં વંશજોનાં ખોરડે લગ્નનો ધમધમાટ હતો. ચોતરફ શણગાર, રોશની, ઉર્જા અને આનંદનો માહોલ હતો. દુલ્હનને સોળે શણગાર સજાવવામાં આવી રહી હતી. તે પણ મરક-મરક થઈ રહી હતી. જોકે તેના હાસ્યમાં આનંદ કરતા આશ્ચર્ય વધુ હતું. દુલ્હનનાં મસ્તિષ્કમાં તેના ભાવિ ભરથારના સપનાને બદલે એક લાકડાની મૂર્તિ તરવરતી હતી. દુલ્હનને એક આવો અગાઉ જોયેલો વરઘોડો યાદ આવ્યો. તેની સાથે યાદ આવી પ્રેમાળ મા અને માએ આપેલ એક જવાબ. ફરી દુલ્હન મરક-મરક હસી પડી.
સખીઓ જાણે આની જ રાહ જોઈ રહી હતી. તરત જ મીઠી મશ્કરી કરતા બોલી, "બાઈ, લગ્નનો આવડો હરખ તો ક્યાંય ના દીઠો. હજી તો ભોજરાજજીની સવારી આવશે ત્યારે તો બાઈસાનું શું થશે ?"
"લગ્ન થશે બીજું શું થશે", એક સખી ખડખડાટ હસતાં બોલી.
" લગ્ન ? એ તો એકવાર થઈ ગયાં. વર તો ગિરિધર વરને વરીએ, સુણોને લાજ કોની ધરીએ !" મીરાજી ખડખડાટ હસતાં - હસતાં બોલી ઉઠ્યાં.