મૈત્રી - કૃષ્ણ સુદામાની
મૈત્રી - કૃષ્ણ સુદામાની
ગણાયો છે અપૂર્વ ભાવ કૃષ્ણ-સુદામાની એ મૈત્રીમાં,
ભવોભવની પ્રીતની રસધાર વહેતી રહી એ સખામાં,
જઈ વસ્યા સાથ એ ઋષિ સાંદિપની આશ્રમ દ્વાર
હરદિન ભિક્ષા તણા અન્નથી હેતે જમતા એ થાર,
એક સાથરે સાથ સૂવે કરે સુખ-દુ:ખની ઘણી વાત,
વેદની વાતોથી હૈયું મિલાવીને પૂરી કરતા રુડી રાત,
એક દિન ગુરૂ ઋષિને મળવા ગયા હતા નિજ ગામ,
ગુરુમાએ સોંપ્યું બળતણ તણાં લાકડાં લેવા કામ,
ત્રણે જણા ભેગા મળી જંગલ વાટે વધવા હે શ્યામ,
હાથે ઝાલી કુહાડી ને જરૂરી જે સાધન લીધાં તમામ,
જંગલ વાટે ચાલ્યા સૌ, અહીં- તહીં ઘૂમ્યા જે બહુ,
હર વૃક્ષની ડાળ જોતા સૌ, સૂકા થડે થંભ્યા સહુ,
બળતણ કેરું લાકડું જોઈ વધ્યા તેને કાપવા સહુ,
ઘણુ કપાયું છે માની સૌ, બાંધી ભારીને રાજી બહુ,
ગુરૂ પધાર્યા ગામથી સ્વગૃહે, શિષ્યો ન ભાળી સ્હેજે,
ભાર્યા એની વાતમાં ઝૂરે, મોકલ્યા મેં બળતણ કાજે,
ગુરૂ સહમે ભાર્યાની વાતે, ગુસ્સો કર્યો ભાર્યાને આજે,
ગુરૂ ત્વરિત ભાગ્યા વન વાટે, શિષ્યોની ભાળ કાજે,
દોરડે બાંધ્યા ભારા ત્રણ, નભે ચડ્યા એ બારે મેહ,
શરીર થયું ત્યાં ઘણું શીતળ, ટાઢે ધ્રુજતા રહે દેહ,
નદીએ છલકે નીરનાં પૂર, વાદળ વરસે મૂકીને સૂર,
ગુરૂના સાદની ભાળ મળી, દિલે વહ્યું શાંતિનું નૂર,
ગુરુ પધાર્યા શિષ્યો પાસ, રૂદિયે ચાંપ્યા હેત ધરી,
ભારી લઈ આશ્રમે વળ્યા, ગુરૂની સંગત ભાવ ભરી,
શિક્ષણની પૂર્ણતા આરે, ગુરૂના રૂડા આશિષ ભાળે,
સૌ જશે નિજના સ્થાને, મનથી ધારે મળીશું ક્યારે.