તમસો મા જ્યોતિર્ગમય
તમસો મા જ્યોતિર્ગમય
આજે થોડા દિવસથી મન ખૂબ જ વ્યગ્ર હતું. ચારે બાજુ માહોલ જ એવો હતો. એક સૂક્ષ્મ વાયરસ માનવજાતને હચમચાવી રહ્યો છે. લાખો લોકો એની ઝપેટમાં આવી બિમાર પડી રહ્યાં છે અને હજારો રીબાઈને કમોતે મરી રહ્યાં છે. છેલ્લાં અઠવાડિયામાં ઘણાં વ્હાલાં મિત્રોનાં મૃત્યુએ મનને ક્ષુબ્ધ કરી મૂક્યું હતું. ત્રણ દિવસથી સરખી રીતે નિંદ્રા પણ નહોતી થતી. મન પર શોક-ભયનું સામ્રાજ્ય હતું.
મનને શાંત કરવા દીવો પ્રગટાવી ભગવાન સામે બેઠી. મનમાં ભગવાન સાથે ઝઘડો ચાલુ હતો પણ એ તો એક તરફી હતો. મૂર્તિ તો પથ્થરની જેમ મૌન જ હતી. ત્યાં જ હવાનો એક ઝપાટાએ જ્યોતને હલાવી નાંખી. બાજુની ખુલ્લી બારી બંધ કરું એ પહેલાં બીજા હવાના ઝપાટાએ દીવાને આડો કરી નાંખ્યો. મારી રહી-સહી હિંમત અને શ્રધ્ધા પણ જાણે બૂઝાવા માંડી.....મારી આંખો ક્ષણાર્ધ માટે બંધ થઈ પાછી ખૂલી ત્યારે....
પવનની ઝાપટ સહન કરીને પણ આડા પડેલા દીવાની જ્યોત ઝગમગી રહી હતી. પહેલાં કરતાં જાણે વધારે જ દૈદીપ્યમાન હતી.....એ સાથે જ મારા મનમાં ગૂંજ ઊઠી.
તમસો મા જ્યોતિર્ગમય
મૃત્યો મા અમૃતંગમય....
મારી પ્રાર્થના મારી બૂઝાતી શ્રદ્ધાની જ્યોત પણ જાણે સંકોરાઈ. સમગ્ર બ્રહ્માંડમાંથી જાણે ગૂંજ ઊઠી....
ઓમ શાંતિ શાંતિ શાંતિ.