સૂરજની સફરે
સૂરજની સફરે
રીનાના વેકેશનનો મોટાભાગનો સમય વિજ્ઞાન કથાઓ વાંચવામાં જતો. તેને બ્રહ્માંડ વિશેની નવી નવી જાણકારીઓ સાંભળીને ખૂબ જ વિસ્મય થતું. એને સતત એવા પ્રશ્નો થયા કરતા કે પૃથ્વીની પેલે પાર શું હશે ? ઉપર કેટલા ગ્રહો હશે કેવા દેખાતા હશે ? ત્યાં જ વિચારોમાં ખોવાઈ ગઈ.
"રીના, રીના !" માતાએ બૂમ પાડી. પરંતુ રીના ક્યાંય દેખાઈ નહીં.
અરે ! આ શું ! રીના તો આ બાજુ અવકાશમાં તરતી હતી. એણે અવકાશયાત્રીઓ પહેરે તેવા કપડાં પહેર્યા હતાં. એની સાથે બીજાં પાંચ-છ અવકાશયાત્રી હોય એમ જણાતું હતું. રીનાને ઘડીક રોમાંચ તો ઘડીકમાં બીક લાગતી. આ બીકમાંને બીકમાં એને બાજુવાળા અવકાશયાત્રીનો હાથ પકડી લીધો. કદાચ બાજુવાળો અવકાશયાત્રી પણ રીનાની જેમ ડરતો હશે !
થોડીકવારમાં તો સામેથી આંખો આંજી નાખે તેવો પ્રકાશપુંજ જોઈ રીનાની તો આંખો જ અંજાઈ ગઈ. થોડીક ક્ષણો પ્રકાશ રહ્યા પછી ધીમે ધીમે ઓછો થયો. ત્યાં જ કોઈકનો ભેદી અવાજ સંભળાયો.
'નાસા'ની વિજ્ઞાન શાળામાં બાળ વૈજ્ઞાનિકોનું હાર્દિક સ્વાગત છે. આજે તમને બ્રહ્માંડના ખૂબ જ તેજસ્વી તારા એવા સૂર્યની સફરે લઈ જઈશું.
બે ઘડી પહેલાં ડરતી રીના હવે ખુશ થઈ ગઈ. આજ તો એનો મનગમતો વિષય હતો બ્રહ્માંડ અને સૂર્ય.
તમને ખબર છે પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર છે ? તો જાણો પૃથ્વીથી સૂર્ય પાસે પહોંચતા 1.57 પ્રકાશ વર્ષ લાગે. એક પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર !
હવે સાંભળો, સૂર્ય એ પોતે હિલિયમનો એક ધગધગતો ગોળો છે. એ સતત સળગ્યા કરે છે. એના સળગવાથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ આખા બ્રહ્માંડમાં જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી અજવાળે છે. એક રીતે જોઈએ તો સૂર્ય એ જીવ સૃષ્ટિ માટે જરૂરી છે.
રીનાના મનમાં પ્રશ્ન થયો તો સૂર્ય રાતે ક્યાં જતો હશે ?
ત્યાં જ સામેથી અવાજ આવ્યો. "તારો પ્રશ્ન ખુબ સરસ છે. પણ હું જણાવી દઉં કે સૂર્ય ક્યાંય જતો નથી. આપણી પૃથ્વી ફરે છે. એ પણ બે રીતે. 1.પરિભ્રમણ એટલે પોતાની ધરી ઉપર ગોળ ફરવું અને 2.પરિક્રમણ એટલે કોઈ વસ્તુની આસપાસ ગોળ ફરવું. હવે સમજાયું ને ? પૃથ્વી પર દિવસ રાત કેવી રીતે થાય છે ? પૃથ્વી જ્યારે સૂર્યની સામે હોય છે ત્યારે દિવસ હોય છે અને પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય ત્યાં રાત્રી હોય છે. આ રીતે પૃથ્વી પર દિવસ રાત થાય છે.
સૂર્ય પૃથ્વી કરતાં 109 ગણો મોટો છે એટલે કે પૃથ્વીને એક ફૂટબોલ ગણીએ તો એવા 109 ફૂટબોલ વર્તુળાકારે ગોઠવીએ ત્યારે એક સૂર્ય બને. બીજું કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. સૂર્ય એક દિવસમાં જેટલી ગરમી બાળે છે. તેટલી ગરમી તો પૃથ્વીને કેટલાય વર્ષો સુધી ચાલે બળતણ તરીકે.
રીનાને ફરી પ્રશ્ન થયો કે જો સૂર્ય પોતે જાતે બળતો હોય તો એક દિવસ ખલાસ ના થઈ જાય ?
તરત જ સામેથી જવાબ આવ્યો.
તારી વાત બિલકુલ સાચી છે બાળ વૈજ્ઞાનિક, સૂર્ય પોતે બળે જ છે અને એક દિવસ સૂર્યની રોશની પણ ખતમ થઈ જાય ! પણ એ વાતને હજુ કરોડો વર્ષોની વાર છે. કારણકે, એની પાસે જે બળતણ છે એ બળતા હજુ 500 થી 600 કરોડ વર્ષ લાગશે.
રીનાના વિસ્મયનો પાર ન હતો જેને આપણે સૂરજદાદા કહીએ છીએ એ તારો આખી સૃષ્ટિ ચલાવે છે !
રીના આ બધી વાત મમ્મીને કહેવા માગતી હતી. ત્યાં તો એની મમ્મી જ બોલી, "ઊઠને હવે, ક્યાં સુધી ઊંઘીશ ? જો આ સૂર્ય નારાયણ માથે આવ્યા."
રીના આંખો ચોળતી સૂર્ય સામે અહોભાવથી તાકી રહી.