સ્નેહનું બંધન
સ્નેહનું બંધન
ઓફિસેથી ઘરે આવતાં આવતાં અજયના મનમાં સતત વિચારો ચાલતા હતાં. વિચારોમાં ઘેરાયેલો અજય ક્યારે ઘરે આવી ગયો ખબર જ ના પડી. ઘરે આવીને ફ્રેશ થઈને સૌથી પહેલા કૃતિના રૂમમાં ગયો અને ઘસઘસાટ ઊંઘતી બહેન કૃતિને વહાલથી માથે હાથ ફેરવ્યો, એનું ઓઢવાનું સરખું કર્યું અને બાજુમાં પડેલી ખુરશી પર બેસી ગયો. ઘરે વર્ષોથી કામ કરતાં રમાબેન અજયને કોફી આપીને આંખોના આંસુ લૂછતાં રસોડામાં ચાલ્યા ગયા.
અજયના મમ્મી પપ્પા એક એક્સિડન્ટમાં માર્યા ગયા હતાં. અજય અને કૃતિ બંને ભાઈબહેન રમાબેનના સહારે ટકી ગયા હતાં. ભગવાનની દયાથી રૂપિયાની ખોટ નહોતી પણ મા-બાપની ખોટ પડી ગઈ હતી. જ્યારથી કૃતિને બ્લડ કેન્સરનું નિદાન થયું ત્યારથી અજયને એની મમ્મી વધારે યાદ આવતી હતી કે મમ્મી હોત તો કૃતિને સારી રીતે સંભાળી લીધી હોત પણ રમાબેન હતાં એટલે કોઈ ખાસ તકલીફ નહોતી.
અજયની મમ્મીને કૃતિના લગ્નની બહુ હોશ હતી. જયારે લગ્નની ઉંમર થઈ ત્યારે કૃતિને આ જીવલેણ રોગ લાગુ પડી ગયો. અજયને કૃતિ બહુ વહાલી હતી એટલે એને પણ જ્યાં સુધી કૃતિને સારુ ના થાય ત્યાં સુધી પોતે પણ લગ્ન નહિ જ કરે અને પૂરા દિલથી બહેનની સારવાર કરશે એવો મનોમન નિર્ણય લઈ લીધો હતો. દુનિયાની નજરે તેની બહેન કૃતિ એક જવાબદારી હતી પણ અજય માટે એક સ્નેહનું બંધન હતું.