Priyakant Bakshi

Others

0.5  

Priyakant Bakshi

Others

રૂ. પચાસની નોટ

રૂ. પચાસની નોટ

8 mins
7.3K


ગઈ સદીના આઠમા દાયકાની વાત છે. મુંબઈમાં એક રાષ્ટ્રિય કૃત બેંકમાં કામ કરતાં જ્યારે મારા સહિત અમારા કેટલાંક સહકર્મચારીઓના ધડાધડ ટ્રાન્સફર ઑર્ડર આવ્યાં ત્યારે સોપો પડી ગયો. ટ્રાન્સફર પણ ક્યાં? બિહાર, આસામ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ. તે પણ મોટા શહેરમાં નહીં, નાના-મોટા કસબા અને ગામમાં. મોટાભાગના મિત્રોની પત્નીઓ પણ મુંબઈમાં કોઈને કોઈ ઑફિસમાં કામ કરતી હતી. બધાં જ યુવાન વયનાં અને નાના છોકરાં છૈયાવાળા. બધું જ અપસેટ થઈ જાય. ઑર્ડરમાં એક કલમ એવી કે ના જવું હોય તો તમે રાજીખુશીથી નોકરી છોડો છો એમ માનવામાં આવશે. હૃદય પર મોટો પથ્થર રાખી સૌએ જવાની તૈયારી કરવાં માંડી.

અમે બિહારી ટ્રાન્સફરીઓ ભેગા થયા. એ અરસામાં બિહારના ભાગલપુરના કેદીઓની આંખો ફોડી નાંખવામાં આવી હતી કે એવા અમાનુષિક સમાચારોથી બધા વ્યથિત અને અંદર-અંદરથી ગભરાટમાં હતા. તેમજ ત્યાં નાનેથી મોટા સુધીમાં પૉલિટિક્સ હર કદમ ખેલાય છે. એવું-એવું સાંભળીને સ્વાભવિક છે કે એક જાતનો ડર પેસી જાય. બધાને એક ફડક પેસી ગઈ હતી કે બિહાર વિષે જે સાંભળ્યુ હતું, તે પ્રમાણે ત્યાં સુખ-શાંતિથી રહી નહીં શકાય. પછી એવું નક્કી કર્યું કે બધાએ સંપર્કમાં રહેવું. કોઈ જાતની તકલીફમાં એક બીજાને સંભાળી લેવાં. સૌને લાગ્યું કે કાળા પાણીની સજા ભોગવવા જઈ રહ્યા છીએ ખેર, મારી બદલી બિહારના એક જીલ્લાના મથકે થઈ. થોડા દિવસ બાદ મેનેજર સાહેબની ટ્રાન્સફર થઈ (તેઓ ઘણા સાલસ સ્વભાવના હતા. મુંબઈમાં જે સાંભળ્યું હતું તેનાથી સાવ વિપરીત!) થોડા જ સમયમાં તેમની જગાએ આવેલ મેનેજર સાહેબ થકી બિહાર વિષે જે ધાર્યું હતું તેનો પરિચય તેમ જ અનુભવ ડગલે ને પગલે થવા લાગ્યો. એક દિવસ વહેલી સવારે મેનેજર સાહેબનો પંદર સોળ વર્ષનો પુત્ર મારે ઘરે આવ્યો અને મને બેંકની ચાવી અને ચિઠ્ઠી આપતાં કહે, 'પાપાકી તબિયત અચ્છી નહીં હૈ, તો વો કામ પર નહીં આયેંગે. ચાબી ભેજ દી હૈ.' અમારા અકાઉન્ટન્ટ દૂર બીજે ગામથી આવતા હતા. મારાથી સીનિઅર અધિકારીનું ઘર મારા તથા મેનેજર સાહેબના ઘરથી દૂર હતું. એટલે મને ચાવી મોકલાવી એ સ્વાભાવિક લાગ્યું.

બેંકના સમયે હું ચાવી સાથે બેંકમાં ગયો. હજી અકાઉન્ટન્ટ કે મારાથી સીનિઅર અધિકારી આવ્યા ન હતા. બેંકનું કામકાજ ચાલવું જોઈએ, એમ માનીને એકલે હાથે બેંકનો વહેવાર શરૂ કરી દીધો. હાથ નીચેના બીજા કર્મચારીઓ કામે વળગ્યા. એકાદ કલાક પછી મારાથી સીનિઅર અધિકારી આવ્યા. એમને જાણ્યું કે મેનેજર સાહેબ અને અકાઉન્ટન્ટ નથી આવ્યા એટલે મને કહે,'મારી તબિયત ઠીક નથી. પેટમાં દર્દ થાય છે, મારાથી બેસી શકાય એમ નથી તો પ્લીઝ હું ઘરે જાઉં છું.'

થોડો સમય વીત્યોને અમારી શાખાના મોટા અકાઉન્ટ હોલ્ડર, માલિક પોતે આવ્યા. હું મેનેજરની કેબિનમાં બેસીને ફાઈલમાંથી પેપર ઊથલાવતો હતો. કોઈને તાકીદે જવાબ આપવાનો હોય કે કોઈ તાકીદનું કામ અનદેખ્યું ના રહી જાય. તેઓ મારી કેબિનમાં આવ્યા. મેં ખુરશી પર બેસવા કહ્યુ. તેઓના હાથમાં થોડા સકર્યુલર જેવાં કાગળ હતા અને ઘણા ગુસ્સામાં હતા. મને કહે,'આ મારું બિઝ્નિસ કાર્ડ છે.' મેં વિવેકપૂર્વક કહ્યું,'ઓહો, તો આપ દીનદયાલ ભારદ્વાજ છો. તમને મળીને ઘણી ખુશી થઈ. કેમ આપને જાતે આવવું પડ્યું?
અમારે લાયક કંઈ કામ કાજ?' તેઓ કહે, 'મારી પાસે બહુ સમય નથી. આ જુઓ, રિઝર્વ બેંકનો સકર્યુલર શું કહે છે? રાષ્ટ્રિય કૃત બેંકે કરન્સી નોટ સ્વીકારવી પડે છે. હું અહીંના વેપારી મહાજન મંડળનો પ્રમુખ છું. અમને રિઝર્વ બેંકનો સકર્યુલર આવે છે. તમારી પાસે રેડી ન હોય તો આ જુઓ એમાં શું લખ્યું છે? ' એમનો ગુસ્સો આસમાને ચડતો હતો. વધારામાં હું તેમની આગળ છોકરડા જેવો લાગતો હતો. મેં શાંતિથી કહ્યું,'જુઓ, વાત શું છે તે ફોડ પાડીને કહો. આમ રાડા-રાડ કરવાથી વાતનો નીકાલ થોડો થતો હશે. રિઝર્વ બેંકનો સકર્યુલર બતાવવાની જરૂર નથી. અમને પણ સકર્યુલર આવે છે.' તેઓ થોડા શાંત પડ્યા. પછી કહે,'અમારો માણસ બેંકમાં અમારા ખાતામાં કૅશ જમા કરવા આવ્યો હતો. તમારા કૅશિઅરે આ રૂ.પચાસની નોટ લેવાની ના પાડી. તમે કહો આવી નજીવી વાતમાં કામ ધંધો છોડીને ધક્કા ખાવાનો શું અર્થ છે?'

મેં કહ્યું,'તમે તમારી બાજુ રજૂ કરી. તમારી વાત સો ટકા સાચી છે કે રાષ્ટ્રિયકૃત બેંકે કરન્સી નોટ સ્વીકારવી પડે છે. હવે મારી બાજુ રજુ કરવા દો. મારે કૅશિઅરને પૂછવું છે કે શા કારણસર આ રૂ.પચાસની નોટ સ્વીકારી નથી? તો પ્લીઝ તમે થોડીવાર બહાર આરામ ફરમાવશો?' તેઓ કેબિનની બહાર ગયા. મેં પ્યૂનને કહ્યું કે કૅશિઅરને મારી પાસે મોકલો. અમારી શાખાના ચીફ કૅશિઅર, શ્રી ગંભીર સિંહજી પડછંદ કાયાવાળા, ઊંચા અને મોટી-મોટી મૂછ રાખે. તેમનો એક હાથ હમેશા મૂછને ફરતો હોય. જો તેઓ બેંકમાં ના હોત તો કદાચ તમારી ગેરસમજ થઈ જાય કે કોઈ ગિરોહના આદમી તો નથીને? અવાજ પણ બુલંદ. ચાલ તો તેમની જ, ચાલે તો ધરણી ધ્રૂજે! મૂછને તાવ દેતાં-દેતાં અને બોલતા- બોલતા આવ્યા. 'કંઈ પણ થઈ જાય હું એ નોટ નથી લેવાનો એટલે નથી જ લેવાનો. નોકરી ચાલી જાય તો પરવાહ નથી. શું એ મને બેવકૂફ સમજે છે?' વગેરે વગેરે. તેઓ મારી કેબિનમાં આવ્યા અને કહે,'હું જાણું છું, એમનો માણસ ગરબડ કરશે.'

મેં કહ્યું,'શાંત પડો. બૂમાબૂમ કરવાથી સમસ્યા હલ નહીં થાય. બેસો. મને જણાવો કે શું મામલો છે.' ગંભીર સિંહજી બોલ્યા, 'સાહેબ, આ નોટ એટલી ખરાબ છે કે કોઈ હાથમાં ન લે. મેં બે દિવસ પહેલા જ્યારે એ પૈસા જમા કરાવવા આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે તું આ નોટ રૂ. પચાસના બંડલમાં ( ત્યાં ગડ્ડી કહે છે) ના રાખતો. બંડલ ગણીને અમે પેક જ રાખીએ છીએ જેથી કોઈને આવી નકામી નોટ જાય નહીં. ગઈ કાલે એને એના બીજા સો ના બંડલમાં એ જ નોટ મૂકી. પાછી આજે ફરી વાર બંડલમાં મૂકીને લાવ્યો તેથી મેં એને જણાવ્યું કે મને બેવકૂફ સમજે છે? હું આ નોટ નહીં લઉં.'

મેં કહ્યું,'ગંભીર સિંહજી, તમે કેમ જાણ્યું કે તે જ નોટ છે?' તેઓ બોલ્યા,'એ નોટ જો દીનદયાલજી લઈને આવ્યા હોય તો જુઓ, એના પર કલર પેન્સિલથી નાના-નાના ક્રોસ કરેલ છે. એમના માણસને અમે જાણીએ છીએ કે કેવો છે.' મેં કહ્યું, ગંભીર સિંહજી,'તમારે બેંક છોડવાની નોબત નહીં આવે. બાકીનું કામ મારા પર છોડી દો.' તેઓ સંતોષપૂર્વક તેમની જગાએ ગયા. એમના ચેહરા પર સ્પષ્ટ જણાતું હતું કે મેં એમની વાત માની લીધી છે.

મેં દીનદયાલજીને બોલાવ્યા. તેઓ મારી સામે ખુરશી પર વિરાજમાન થયા. મારા માટે આવી સમસ્યા હલ કરવાનો પ્રથમ પ્રસંગ હતો. એક બાજુ શાખાના માનવંતા ખાતેદાર તેમ જ મોટી વગવાળા, તો બીજી બાજુ કરડાકી અને તુમાખી સ્વભાવના કૅશિઅર. બન્નેની વાત એક બીજાથી વિરુદ્ધ અંતિમ બિંદુ પર. આનો મેળ મારે તાત્કાલિક નિર્ણય લઈને કાઢવાનો હતો. મેં કહ્યું,'શ્રીમાન દીનદયાલજી, શું હું એ પચાસની નોટ જોઈ શકું છું?' તેઓ બોલ્યા, ચોક્કસ ચોક્કસ. 'અને એમણે મને એ નોટ આપી. મેં જોયું કે ગંભીરસિંહજીની વાત સોળ આની સાચી હતી. હવે જે તે નિર્ણય મારે લેવાનો હતો જેથી ન તો દીનદયાલજીને અન્યાય થાય કે ન તો કૅશિઅરને . મેં મારા પૉકિટમાંથી રૂ. પચાસની નોટ કાઢી અને કહ્યું,'દીનદયાલજી, તમારા ખાતામાં આ પચાસ રૂપિયા જમા થઈ જશે. તથા તમે લાવેલ નોટ હું સંભારણા રૂપે રાખું છું. આ વાત એમને નામંજૂર હતી કેમકે કૅશિઅરને ઠપકો ન હતો મળ્યો. એમનું અભિમાન ઘવાયા જેવું લાગ્યું. તેઓ બોલ્યા,'તમારે શા માટે પૈસા આપવા જોઈએ? આ કંઈ સારી રીત ન કહેવાય. સ્ટાફ માથે ચઢી જશે. હજી તમે યંગ છો અને તમારી પાછળ ઘણા વર્ષોની નોકરી બાકી છે. આવું કરવા બેસશો તો પાયમાલ થઈ જશો.'

મેં કહ્યું,'તમારી ભલી લાગણી માટે આભાર. એક વડીલ તરીકેની તમારી સલાહ બદલ ફરીથી આભાર. તમે જાણતા હશો કે ભૂમિતિનો એક નિયમ છે કે બે વિરુદ્ધ અંતિમ બિંદુ ક્યારેય ભેગા ના થઈ શકે. એક બિંદુ તમે માનવંતા ખાતેદાર છો તો બીજુ વિરુદ્ધ બિંદુ કૅશિઅર છે. વહેવારમાં કેવી રીતે ભેગા કરવા તે ઉપાય મેં કર્યો છે. નિયમો પાળવા પડે તેની ના નથી. કિન્તુ વહેવારમાં ઘણીવાર પ્રેક્ટિકલ બનવું પડે છે. કૅશિઅરના કહેવા મુજબ આ નોટ એમને લેવાની ના નથી પાડી . બેંકમાં કરન્સી જમા થાય તેમ એનો ખાતેદાર જરૂરત પ્રમાણે ઉપાડ કરતો હોય છે. તમારે ત્યાં કોઈ ઘરાક આવી નોટ આપે તો તમે જરૂર એને કહેવાના કે બીજી નોટ હોય તો આપ. અમે આવી નોટ જુદી કરીને સમયાંતરે અહીં રિઝર્વ બેંક નથી તો સ્ટેટ બેંકમાં જમા કરાવીએ છીએ. તમારો માણસ વારંવાર સો ના બંડલમાં આ નોટ સરકાવે છે. આવું સોનુ બંડલ તમને આપવામાં આવે તો આ નોટ લેશો? કૅશિઅરે વ્યાવહારિક માર્ગ કાઢ્યો કે બંડલમા એ નોટ ન મૂકતા, જુદી આપે. આમાં બધાનો સમય સચવાય છે તથા સુગમતા રહે છે. તમે કે હું કાયદા જ બતાવ્યા કરીશું તો કામ થવાને બદલે સ્થગિત થશે. કાલ ઊઠીને કૅશિઅર નોટના બંડલ ગણવામાં જાણી જોઈને વધારે સમય લગાડશે તો તમારા માણસને અહીં ખોટી થવું પડશે. કાયદામાં ક્યાંય એવું નથી લખ્યું કે આટલા સમયમાં નોટો ગણવી. મારાથી પણ હસ્તક્ષેપ ન થઈ શકે. નોટો ગણીને બરાબર મૂકવી એની ફરજ છે. કાયદાની સાથે અમુક વ્યાવહારિક સુવિધાનો પણ વિચાર કરવો જોઈએ. હું કૅશિઅરથી ડરી નથી ગયો પરન્તુ જ્યાં એની વાતમાં તથ્ય લાગ્યું, તે મેં સ્વીકાર્યું છે. તમને સકર્યુલરની પડી છે. એટલે મેં જોયું કે તમે બન્ને તમારી રીતે સાચા છો. વિરોધાભાસીનો તોડ તો લાવવો જોઈએ કે નહીં? આમેય હું મુંબઈનો છું. વહેલો કે મોડો પાછો ત્યાં ફરવાનો છું. તો શા માટે આ અવસરની યાદગીરી રૂપે આ નોટ ન રાખું?'

તેઓ ખુરશી પરથી ઊભા થયા અને મને કહે,'તમે ભલે મારાથી ઉંમરમાં નાના છો પણ તમારી પાસેથી એક વેપારીને છાજે એવો પાઠ શીખવા મળ્યો કે ભૂમિતિના બે અંતિમ વિરોધી બિંદુ ને વહેવારમાં કેવી રીતે જોડી શકાય છે. મારા માટે આજનો સમય વ્યર્થ નથી ગયો. મારે એ પૈસા હવે નથી જમા કરાવવા.’ પછી મને હસ્તધૂનન કર્યા.

મેં કહ્યું,'દીનદયાલજી, નમકીન સાથે મીઠાશ પણ થઈ જાય.' એ બોલ્યા,' સમજ ન પડી.' મેં હસતા-હસતા કહ્યું,'ચા સાથે નમકીન મંગાવું છું. બેસો, બેસો.'

'સંતોષ કુમાર (પ્યૂન)સબકે લિયે ચાય ઔર નમકીન કા બંદોબસ્ત કરો. ઔર ચાયવાલેકો કહેના મેરે નામ પે લીખે.’ ચા- નમકીન આવ્યા અને મેં ગંભીરસિંહજીને બોલાવ્યા. દીનદયાલજી અને ગંભીરસિંહજીએ હાથ મિલાવ્યા. મેં કહ્યું, 'જુઓ, આ નોટ પર હવે મને દીનદયાલજી અને ગંભીરસિંહજી, બન્નેના હસ્તાક્ષર જોઈશે. હું બીજા રૂ. પચાસની નોટ આપું છું તે એમના ખાતામાં જમા કરજો. આ નોટ મારા માટે અહીંના સંભારણા રૂપે. મુંબઈ જઈને ફ્રેમ કરાવીશ.'

દીનદયાલજી બોલ્યા,'સાહેબ, સમય કાઢીને અમારી મેહમાન-નવાજગી સ્વીકારશો. અમને ઘણો આનંદ થશે.' મેં કહ્યું,'જરૂર, જરૂર.'

તેઓએ હસતા મુખે બેંકમાંથી પ્રસ્થાન કર્યું. એ જણાવી દઉં કે અત્યારે પણ  સંભારણા સમ રૂ. પચાસની એ નોટ સાથેની ફ્રેમ મારી પાસે છે!


Rate this content
Log in