રાજ
રાજ
"માનુની તું રડે છે શા માટે ? પપ્પાનો તો સ્વભાવ જ એવો છે.જે વાત મેં તને લગ્ન પહેલાં કરી જ હતી. મારી સાથે પણ આવું જ વર્તન કરે છે. પણ તું જાણે છે કે આપણે ઘર છોડીને જતાં રહીશું તો બધો ગુસ્સો પપ્પા મમ્મી પર ઉતારશે. એટલુંજ નહિ ભૂતકાળમાં એ મમ્મી પર હાથ પણ ઉપાડતાં હતાં. એમને કુટુંબની બધી વ્યક્તિઓ પર સામ્રાજ્ય સ્થાપવું છે. એમને અહમ્ છે કે એ સર્વગુણ સંપન્ન છે. અહીં તો બારેમાસ યુદ્ધની જ સ્થિતિ હોય છે. કુંટુંબમાં પણ બધાને અપશબ્દો બોલી પોતે ગર્વ અનુભવતાં હોય છે. એમને દરેક વ્યક્તિને દબાવીને પોતાની મહત્તા સ્થાપિત કરવી છે."
"માર્કંડ, તને કલિંગનું યુદ્ધ યાદ છે ?
મોર્ય સામ્રાજ્ય હેઠળ અશોક સિંહાસન પર આવ્યા પછી લડાયેલુ એકમાત્ર મોટું યુદ્ધ હતું .ભારતીય ઈતિહાસમાં આ યુદ્ધને સૌથી ભયંકર યુદ્ધ તરીકે ગણવામાં આવે છે. જેમાં લગભગ રાા લાખ લોકોનો જીવ ગયો. તથા કોઈ પણ યુદ્ધોએ વિજેતાના હ્રદયને એક અવિચારી ક્રૂરતામાંથી આના જેવી અનુકરણીય ધર્મ નિષ્ઠામાં બદલ્યું નથી. આજે પણ અશોકની ધર્મનિષ્ઠા તથા પ્રાયશ્ચિતને યાદ રખાય છે. આ રાજ્ય મેળવવાની લાલસા જ પતન માટે જવાબદાર છે. પછી એ તમે કુટુંબમાં પ્રભુત્વ સ્થાપવા પ્રયત્ન શા માટે કરવો જોઈએ !
માણસે રાજ કરવું હોય તો દરેકના દિલ જીતીને રાજ કરવું જોઈએ. મનુષ્યની લાલસાથી જ યુદ્ધ થાય છે. મહાભારત કાળમાં દુર્યોધન એ કહી દીધેલું કે સોયની અણી જેટલું પણ રાજ્ય નહિ આપું. પરિણામ સ્વરૂપ યુદ્ધ થયું. કેટલાય યોદ્ધાઓ મૃત્યુ પામ્યા. ત્યારે પણ યુધિષ્ઠિર ને થાય છે કે હવે કોના ઉપર રાજ કરવાનુ ! રાજ કરવાની લાલસાને કારણે જ યુદ્ધ ની પરિસ્થિતિ સર્જાય છે. "
તે રાત્રે માર્કંડ વિચારતો રહ્યો. સવારે એને એક નિર્ણય લઈ લીધો હતો. એ જુદો જતો રહેશે. કદાચ એના નિર્ણયને કારણે એના પપ્પાના શબ્દોકોષમાંથી થોડા બિભત્સ શબ્દોની બાદબાકી થાય. પરંતુ એના પપ્પાના શબ્દોકોષમાં દિકરા-વહુ માટેના બિભત્સ શબ્દોમાં ઘણો વધારો જોવા મળ્યો. આખરે ઘર છોડતાં દિકરાએ કહ્યું, "પપ્પા, તમે તમારી ભાષા સુધારીને કુટુંબના લોકોના અપમાન કરી સામ્રાજ્ય સ્થાપિત કરી રાજ કરવાને બદલે જીભની મિઠાસ વાપરી લોકોના દિલ પર રાજ કરશો ત્યારે અમે જરૂર પાછા આવીશું"