પત્ર લેખન
પત્ર લેખન
આ મારો દીકરો જીનલ ભટ્ટ છે ૧૯૯૧ માં મે મહિનામાં જન્મ થયો ત્યારે અધિક માસ ચાલતો હતો.. હું લખું તો કદાચ અતિશયોક્તિ લાગશે પણ જે કોઈ એને મળે એને મળીને વખાણ કર્યા વગર રહી ન શકે. અભાવમાં ભણ્યો ગણ્યો.
ધોરણ દસનાં વેકેશનમાં જ ત્યારે અમારે તકલીફ હતી તો એણે અમારાં ફેમિલી ડોક્ટર ને ત્યાં કંપાઉન્ડર તરીકે નોકરી કરીને ફી ભેગી કરી હતી.
ત્યારપછી એણે ટ્યુશન ક્લાસમાં લેક્ચર આપવાનાં ચાલુ કર્યા ને પોતાના ભણતરનો બોજ હળવો કર્યો અમારાં પરથી. ઈસી એન્જિનિયર માસ્ટર ડિગ્રી સાથે એણે સૌ પ્રથમ ઈસરોમાં નોકરી કરી પણ અમુક સંજોગોમાં એણે એ નોકરી છોડી દીધી ને પોતાના ટયૂશન કલાસીસ ચાલુ કર્યા ને સાથે બી એડ પુરું કર્યું ને આજે દૂન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ટીચર છે મેથ્સ અને સાયન્સ ભણાવે છે ને પોતાના ટયૂશન કલાસીસ પણ ચલાવે છે.
મને ને મારાં પરિવારને ખુશ રાખવા માટે એ કેટલું બધું સમાધાન પોતાના માટે કરે છે એ તો ઈશ્વર સાક્ષી છે.
એણે અમને દુન્યવી સુખો આપવામાં કોઈ કસર છોડી નથી.. સાથે એની પત્ની સરગમ ભટ્ટ પણ એટલી જ ડાહી ને સમજું છે કે મારાં દીકરાના પગલે પગલે ચાલે છે.
કળિયુગમાં શ્રવણ છે એવું હું માનું છું.
દુઃખ મને આજે એ જ છે કે એનાં રમવાનાં દિવસોથી જ એનાં માથે જવાબદારી આવી ગઈ. બીજાનાં સંતાનોની જેમ એને પપ્પાનાં રૂપિયે લહેર નથી કરી. આપ કમાઈથી ભણ્યો ને આપ કમાઈથી પરણ્યો.
આજે તો ઘરે ગાડી છે ને દેશ વિદેશમાં દર વર્ષે એક વખત સાથે ફરવા લઈ જાય છે.
દીકરા તરફથી -
મારી માતા હંમેશા એમ દુઃખ કરે છે કે મારો અભાવમાં ઉછેર થયો અને બાળપણ મારું બીજાં બાળકોની જેમ હું નથી જીવી શક્યો પણ આ પૂર્ણ સત્ય નથી એના વિશે આજે હું કંઈક કહેવા માંગુ છું. પહેલી વાત તો એ કે મારું બાળપણ અભાવમાં નહીં પણ પ્રભાવમાં વીત્યું છે. પ્રભાવ એ વાતનો કે મારા માતા પિતા વધુ ભણેલા ના હોવા છતાં ભણેલા લોકો કરતા વધુ સમજદારી અને વ્યવહારુ જ્ઞાન ધરાવતા અને મને બને એટલી નાની નાની ખુશીઓ આપવા બધું જ કરી છૂટતા એ વાતનો પ્રભાવ મારા મનમાં એટલો છે કે હું આજે બધાની ખુશીઓ માટે પ્રયત્નશીલ રહ્યો છું. અને સાચે કહું તો આજે જીવનમાં બધું પ્રાપ્ત થાય પછી પણ એટલી ખુશીઓ નથી મળતી જેટલી મારા માતા પિતા મારા માટે નાની નાની વસ્તુઓના માધ્યમથી મારા માટે ખુશીઓનો પ્રબંધ કરતા. પિતા ને તો કંઈ પણ કરવું જ પડે વિષમ પરિસ્થિતિઓમાં પોતાના પરિવારના ગુજરાન અને ખુશીઓ માટે પણ મારા પિતા એ તો કંઈક વધુ જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે જેથી અમને લોકોને કઈ મુશ્કેલી ના પડે અને રોજ થોડાક પૈસા બચાવવા પંદર કિલોમીટર જેટલું ચાલતા. પણ મારી માતા એ ઘર સાંભળવાનું, મને અને મારી બહેનને ભણવાનું સાથે મારી ખુશીઓ માટે નોકરી પણ કરી અને પોતાના શરીરનું ધ્યાન રાખ્યા વગર ભારે ભરખમ થેલા ઊંચકીને સેલ્સમેન જેવું કાર્ય પણ કર્યું. જેનું ઋણ હું કદી ના ચૂકવી શકું, હવે વાચકો તમે જ કહો જેને બાળપણમાં પોતાના માતા પિતાનો આટલો બધો ભોગ જોયો હોય એના મનમાં અભાવ ક્યાંથી રહે એક એવો પ્રભાવ જ બને ને જેનાથી આજે હું આટલો સફળ થઈ શક્યો જીવનમાં. અને બીજી વાત બીજાં બાળકો જેવું ભલે બાળપણ ના મળ્યું હોય પણ મને એ વાતનું દુઃખ નથી. ઉપરથી ખુબ જ આનંદ છે આજે એ વાત નો કે મને એવું બાળપણ મળ્યું જેમાં મારું વેકેશન કે રજાઓ એટલે મંદિરમાં કે કોઈ ધાર્મિક સ્થળે હોય જેનાથી મારામાં સારા સંસ્કારોનું સિંચન થયું જેનાથી આજે હું મહદ અંશે સારો માનવી બની શક્યો. રમકડાં તો હું સાચવી રાખતો મારા સ્વભાવ મુજબ એટલે એની કોઈ માંગ નહોતી અને બાકી વસ્તુઓ મારી મા ગમે તેમ કરીને મારા માટે પ્રયોજન કરી આપતી.. હું આજે વધુ પૈસા બાદ પણ એવું આયોજન કે પ્રયોજન નથી કરી શકતો જેવું મારી માતા ખુબ ઓછાં પૈસા માં કરી દેતા. છતાં આજની તારીખમાં એ મને જ બધો શ્રેય આપે છે. એટલે એમ જ થોડું કહ્યું છે જનનીની જોડ સખી નહિ મળે રે લોલ. એમ જ મારા પિતાના પ્રભાવ અને ગુણોની વાત ફરી ક્યારેક બીજાં લેખનમાં કરીશ.