મુંઝારો
મુંઝારો
એક ન સમજાય એવો મુંઝારો થાય છે. બાળકો લાગણી ને ચિંતા થકી વડીલોને રોકટોક કરતાં હોય છે કે આમ ન કરશો ને તેમ ન કરશો. કારણકે બાળકો વડીલોની સેવા કરવા સતત હાજર રહી શકશે નહીં એમની જવાબદારી ને એમની કેરિયર માટે પૂરતો સમય ફાળવીને ચાલવું પડે છે.
પણ વડીલોને આ બધું જ અકળાવનારી વાત બની જાય છે કારણકે આ જ ઉંમર ( ૫૫ થી ૬૫ ) એવી છે જ્યાં વડીલોને પોતાની જવાબદારીઓમાંથી મુક્તિ મળી હોય છે અને સાથે જ નાની મોટી શારિરીક માનસિક તકલીફો શરૂ થઈ ગઈ હોય છે. ને દવાઓ ને ડોક્ટરે કહ્યું હોય એ પ્રમાણે જીવન જીવવું પડતું હોય છે.
એમાંય બાળકો કાળજી રાખવી જરૂરી છે એમ કહીને રોકટોક કરતાં હોય છે. પણ વડીલોને આ બધું અકળાવનારી વાત બની જાય છે કારણકે હવે એમને મુક્ત પણે જીવન જીવવું હોય છે પણ શરીર સાથ આપતું હોય નહીં. બાળપણમાં માતાપિતાની રોકટોક ને જુવાનીમાં જવાબદારી ને ફર્જ ને સંતાનોને ભણાવી ગણાવીને કાબિલ બનાવવામાં જ કાયા કૃશ થઈ ગઈ હોય છે.
એટલે આ ઉંમરે જૂની યાદો ને જૂનાં ભાઈબંધ દોસ્તારોને મળવું હોય છે પણ દરેક પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે એટલે ક્યાં જવું ને શું કરવું ને કેમ જીવવું ? એ બધું મુંઝારો બની રહે છે ને પછી વ્યર્થ અકળામણ થાય છે. ને ઘરમાં ચીડાઈ જવાય છે. જે થકી ઘરમાં અશાંતી ફેલાઈ જાય છે. ને બાળકો ને વડીલો વચ્ચે ન સમજાય તેવી એક તિરાડ પડી જાય છે.
વડીલોને નવરાં બેઠા કંટાળો આવે છે ને શરીર બંડ પોકારે છે આવા સમયે વડીલો નાનાં બાળકો જેવું વર્તન કરતાં હોય છે જેમકે ભૂખ છે પણ ખાવું નથી. ઉંઘ આવતી નથી પણ સૂઈ જવું છે પણ નિદ્રા આવતી નથી એટલે શરીરમાં સ્ફૂર્તિ હોતી નથી અને પછી અકળાવનારી વાત બની રહે છે.
આમ આ ઉંમરે વ્યક્તિ કોયડા સમાન બની જાય છે. બાળકોને સમજાવી શકાય નહીં ને પોતાની વેદના બતાવી શકાતી નથી. આમ મુંઝારો અનુભવી ને મુંઝાઈ ને નિરસ જીવન જીવે છે.