મૃગજળ
મૃગજળ
અંજલિ બાળોતિયાની બળેલી હતી એને જન્મ આપ્યો અને એની માતાનું મૃત્યુ થયું. મોટા ભાઈ જીતેશભાઇ અને પિતા વિજયભાઈ એ મોટી કરીને પરણાવી.
સાસરે આવી ત્યારે ખબર પડી કે પતિ રાજીવ દસ ધોરણ જ પાસ છે અને વ્યસની છે. અંજલિ પિતાને દુઃખ ના થાય એટલે સહન કરીને રેહતી હતી. પણ લગ્નને સાતજ મહિના થયાં હતાં અને પિતાને હ્રદય રોગનો હુમલો આવ્યો એથી વિજયભાઈ બચી શક્યા નહીં. અંજલિને માથે તો આભ જ તૂટી પડ્યું એ બે જીવ સોતી હતી એથી પિતાનું છેલ્લીવારનું મોં પણ ના જોઈ શકી.
રાજીવ સુધરશે ને સુખ આવશે એ આશામાં અંજલિ દિવસો ગુજારતી રહી. પાંચ વર્ષમાં બે સંતાનોની માતા બની ગઈ અંજલિ પણ રાજીવમાં કોઈ સુધારો આવ્યો નહીં. અચાનક જીતેશભાઇને ગળામાં દુખાવો થતાં અને જમી ન શકતાં એટલે ડોક્ટરને બતાવ્યું અમુક રિપોર્ટ કરાવ્યા ગળામાં કેન્સરની ગાંઠ નીકળી. જીતેશભાઇ ત્રણ જ મહિનામાં આ દુનિયા છોડી ચાલ્યા ગયાં. અંજલિને તો પિયર વાટ બંધ થઈ ગઈ..રાજીવ નોકરી છોડીને જુગાર રમતા એટલે અંજલિ એ નોકરી કરીને છોકરાઓ ને ભણાવ્યા ગણાવ્યા અને પરણાવ્યા.
અંજલિ એ વિચાર્યું કે હવે સુખ આવશે અને રાજીવ એની કદર કરશે પણ અંજલિનાં નસીબમાં સુખ તો સદાય મૃગજળ જ સાબિત થયું.
રાજીવ એનાં માતા-પિતા માટે જ બધું ન્યોછાવર કરતો અને ઝઘડો કરીને અંજલિ જોડેથી પણ રૂપિયા પડાવી લઈ જતો સચ્ચાઈની પક્ષે બોલવા વાળું કોઈ નહોતું અને અંજલિ સુખ નામના જુઠ્ઠાં મૃગજળથી તરસ છિપાવી રહી...