મન પંખી બની ઉડે
મન પંખી બની ઉડે


અગાશીમાં ઉભી ઉભી આયુષી મનથી પંખી બની ઉડીને મસ્ત ગગનમાં વિહરી રહી અને વિચાર કરી રહી. આ એનું થોડીક જ ક્ષણોનું સુખ હતું. જે અઠવાડિયામાં એક દિવસ મળતું બાકી તો એની જિંદગી પાંજરામાં પૂરાયેલા પંખી જેવી હતી. જેને પાંખો તો હતી પણ સોનાનાં પિંજરામાં કેદ હતી. શું સપનાં સજાવ્યા હતાં અને શું મળ્યું ! કોને દોષ દેવો ? નસીબને જે નાનપણથીજ આવું લખાવી આવી હતી. એ નાની હતી કોઈ એને અનાથાશ્રમમાં મુકી ગયું હતું એનું જીવન અનાથાશ્રમમાં વિત્યું. અનાથાશ્રમના સંચાલકો સારા હતાં અને ત્યાંના ટ્રસ્ટી બહું સારા હતાં. એ બાર ધોરણ સુધી ભણી. અનાથાશ્રમના સંચાલકના ખાસ ભાઈબંધ જે શહેરના નામાંકિત વેપારી જયસુખભાઇ હતાં એ કોઈ કોઈવાર આવતાં અને નાનું મોટું દાન લખાવી જતાં.
એક દિવસ એક લાખ રૂપિયાનું દાન કરવાં આવ્યા અને આયુષી સંચાલકની ઓફિસમાં સાફ સફાઈ કરતી હતી અને જયસુખભાઇને આયુષી ગમી ગઈ એમનાં મોટા દિકરા માનવ માટે જે નામનોજ માનવ હતો બાકી તો દાનવજ હતો અમીર બાપનો બગડેલો નબીરો હતો જે દરેક વ્યસનનો ગુલામ હતો. જયસુખભાઇ એ સંચાલકને વાત કરી કે તમે આ છોકરીનો હાથ મારા દિકરા માનવ માટે આપો હું મારે ઘરે બહું સુખી રાખીશ. સંચાલક તો રાજી ના રેડ થઈ ગયા એમણે તો આવાં મોટા ઘરનું માંગું આવ્યું એ જોઈને અનાથાશ્રમને મળતાં લાભ દેખાવા લાગ્યા. અને એમણે આયુષીને પૂછવાની પણ તસ્દી ના લીધી અને હા પાડી દીધી.
આયુષીને વિરોધ કરવાની તક પણ ના મળી. આયુષી અને માનવના લગ્ન થયાં અને આયુષી પરણીને મોટા ઘરે સાસરે આવી. પહેલીજ રાત્રે માનવ દારુ પીને આવ્યો અને આયુષી પર અત્યાચાર કર્યો. સિગરેટના ડામ દિધા એવી જગ્યા એ કે કોઈને બતાવી ના શકે અને પોતે નામર્દ હતો પણ એક સ્ત્રી ને પોતાના પુરુષપણાનો રૂવાબ બતાવી દીધો અને આયુષીને શારીરિક તકલીફો આપી ચૂંથી નાંખી અને આયુષી આ શારીરિક પીડાથી બચવા બૂમો પાડતી રહી અને રડતી રહી અને બચવા કોશિશ કરતી એમ માનવ વધુને વધુ એને પીડા આપતો રહ્યો.
સવારે જ્યારે એ રૂમની બહાર આવી માનવ સૂતો હતો એને એમ કે સાસુ ને વાત કરું એક સ્ત્રી બીજી સ્ત્રીની વેદના સમજશે. અને એ પણ એક દિકરીની મા છે તો મારી પીડા સમજી શકશે. આયુષી એ આવીને કનક બેનને પગે લાગી. કનક બેને કહ્યું, 'સુખી રહો.'આયુષી એ આજુબાજુ જોયું અને કહ્યું કે 'મમ્મી જી મારે તમને એક વાત કહેવી છે.' કનક બેન કહે, 'બોલો' આયુષી એ રાત વાળી પિડાદાયક વાત કરી. આ સાંભળીને કનકબેને આયુષીને કહ્યું કે 'જો તે આ ઘરમાંથી ભાગવાની કોશિશ કરી તો દુનિયાના કોઈ પણ જગ્યાએથી પણ શોધીને તારા આ રૂપાળા ચહેરા પર એસિડ ફેંકાવીશ, તું હજું અમને ઓળખતી નથી. એટલે તો અમે તને અનાથાશ્રમમાંથી લાવ્યા છીએ કે તું પાંખ ફેલાવી ઉડી ના શકે. અને જો કંઈ પણ ચૂ કે ચા કરી તો તારુ ગળું દબાવી દઈશ અને કોઈને ગંધ પણ નહીં આવે સમજી કે હજુ સમજાવું ?
આયુષી આ સાંભળી ને હેતબાઈ ગઈ. એણે વિચાર્યું કે હવે કોની મદદ મળે તો હું આ દોઝખ ભર્યા પિંજરામાં થી ઉંડુ ? એણે દસમાં ધોરણમાં ભણતી નણંદ સાથે વાતચીત કરવા કોશિશ કરી પણ કનક બેન આવી ગયા. આવું બે થી ત્રણ વખત બન્યું એણે હવે સહન કર્યા વગર કોઈ છૂટકો નથી.
અઠવાડિયામાં ગુરુવારે ઘરનાં બધાં એમનાં ગુરુને મળવા જાય ત્યારે બહારથી તાળું મારીને જાય અને આયુષીને કોઈ મોબાઈલ લઈ આપ્યો ન હતો અને આ બંગલો હતો એની ફરતે ઉંચો કોટ હતો અને આ બંગલાની આજુબાજુ બીજું કોઈ મકાન ન હતું કે એને કોઈ મદદ કરી શકે એમ હતું જ નહીં.
એટલે જ દર ગુરુવારે ધાબાની અગાસીમાં ઉભી ઉભી મન પંખી બની ઉડી લેતી. બાકી તો પાંજરામાં પૂરાયેલા પંખી જેવી જિંદગી હતી. આજે તો રહી રહીને એનું મન આ બંધન તોડી ઉડવા મથતું હતું એની સહનશક્તિ ની હદ આવી ગઈ હતી. હવે એક નિર્ણય કરીને અગાશીની પાળ પરથી છલાંગ લગાવી દીધી અને વિશાળ આકાશમાં આજે આઝાદ બનીને ઉડવા લાગી. આજે એની દરેક પીડાનો અંત આવ્યો. સોનાના પાંજરામાં પૂરાઈ રહેલું પંખી આજે ઉડી ને ગગનમાં વિહરવા લાગી.