માતૃત્વ
માતૃત્વ
“મા” એકાક્ષરી શબ્દ, પણ તેના પ્રેમ અને વહાલની સામે બાકી બધું તુચ્છ અને ગૌણ બની જાય છે. મા વિશે કવિઓ અને લેખકોએ અગણિત લખ્યું છે. મા વિશે વિચારીએ ત્યારે મનમાં ઘણું બધું યાદ આવે અને ઘમરોળાયા કરે, પણ આ લાગણીસભર વિચારોને જ્યારે કાગળ પર લખવા બેસીએ ત્યારે આ લાગણીભીની કલમ અટકી જાય. સંતાનનો મા જોડેનો સંબંધ દુનિયાના કોઈ પણ સંબંધ કરતા નવ મહિના વધારે અને મજબૂત હોય છે. કારણ, સંતાન જ્યારે ગર્ભસ્વરૂપે, માના ઉદરમાં વિકાસ પામે છે, ત્યારથી તેનો સંબંધ જોડાઈ જાય છે, મા અને ગર્ભ એકબીજાની વેદના અને ખુશી અનુભવે છે. આ સંદર્ભે,
મારી ગઝલનો એક શેર
કોખમાં જો વેદનાઓ સળવળે,
માતૃનો ચિત્કાર થાતો હોય છે.
મા-સંતાનનો સંબંધ એ પહેલી નજરનો પ્રેમ નહીં પણ સંવેદનાનો પ્રત્યાય છે. એક સ્ત્રીએ મા બનવા માટે કેટકેટલી વેદનાઓમાંથી પસાર થવું પડે છે, એ ક્યારેય વિચાર્યું છે ? બાર-તેર વર્ષની ઉમરે આવતું પહેલું મેન્સિસ, વેદનાસભર હોવા છતાં, તેમાં તેના સ્ત્રીત્વનો અંશ હોય છે, તેની મા બનવાની શક્યતાનું પહેલું પગથિયું હોય છે. આ વેદના તે દર મહિને સહન કરે છે, કારણ એ આગળ જતાં તેના માતૃત્વનું સુખ આપવામાં ઉપયોગી છે. ગર્ભાવસ્થાનાં ૪૦ અઠવાડિયા અને પ્રસૂતિની વેદના આવનાર સંતાન માટે એ હસતાં મુખે સહન કરી લે છે. જ્યારે એક સંતાન જન્મે, ત્યારે એક મા નો પણ જન્મ થાય છે.
મા જેવો ઉદાર સર્જક ભાગ્યે જ જોવા મળે, જે પોતાના સર્જનને બીજાનું નામ આપવામાં જરાય પણ અચકાય નહી. જ્યારે સંતાન કોઈ સિધ્ધિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેનો યશ અને ગર્વ લેવા પિતાથી લઈને અન્ય પરિવારજનો તત્પર હોય છે, પણ જ્યારે એ સંતાન કોઈ ભૂલ કે ગુનો કરે તો દોષનો ટોપલો સીધો મા પર, કે તારી મા એ કંઈ શીખાવડ્યું નથી, સારા સંસ્કાર નથી આપ્યા.
મા એના સંતાનની પહેલી શિક્ષક અને પહેલી મિત્ર હોય છે. માની મમતાને માપવાનું કોઈ મીટર નથી હોતું, જ્યારે ઘરમાં કોઈ પણ વાનગી ઓછી હોય ત્યારે મને નથી ભાવતું કે મને ભૂખ નથી એવું એક મા કહી દે છે, જેથી તેનું સંતાન એની લિજ્જત માણી શકે. સંતાનની નાનામાં નાની વાત, ઈશારો કે એનું મૌન પણ મા સમજી શકે છે. મા સંતાન સાથે એના ભલા માટે કડક પણ બની શકે છે. પરંતુ, માએ આપેલા બલિદાનોને એની ફરજમાં ગણાવી, એની ઉપેક્ષા કરવામાં આવે છે, ત્યારે અંતરમાં વેદના સાથે પણ એના મુખ પર સ્મિત રાખે છે. માની તોલે કોઈ આવી ના શકે અને એનું ઋણ ચૂકવવા માટે આયખું ખૂટી પડે.
સ્ત્રી કોઈ કારણોસર સંતાનને જન્મ આપવા સક્ષમ ન હોય, પણ એનામાં મમતા છલોછલ હોય છે. નાનપણમાં ઢીંગલી જોડે રમાતી રમતમાં અને નાના ભાઈ-બહેનોની લેવાતી કાળજી પણ મમતા જ છે.
મા વિહોણા સંતાનની હાલત જોઈએ, ત્યારે જ માની સાચી કિંમત સમજાય.
“માની પ્રીતનું ના અંકાય કોઈ મૂલ્ય,
એ તો વરસે સંતાન પર અમૂલ્ય.”