જાંબુવન ગુફા
જાંબુવન ગુફા
સૌરાષ્ટ્રમાં પોરબંદરથી સતર કિલોમીટરના અંતરે રાણાવાવ આવેલું છે. ત્યાં જાંબવન ગુફા આવેલી છે. જે જાંબુવતી ગુફા તરીકે પણ ઓળખાય છે.
મહાભારતકાળમાં શ્રીકૃષ્ણ ભગવાને જાંબવન રીંછ જોડે સત્રાજિતના સીમંતક મણિ માટે અઠ્ઠાવીસ દિવસ યુધ્ધ કર્યું હતું. જાંબુવાનને ખબર પડે છે કે આ તો મારા રામ પાછા આવ્યા છે, એટલે તરત યુધ્ધ બંધ કરી સીમંતક મણિ ભગવાન શ્રીકૃષ્ણને પાછો આપ્યો તેમજ પોતાની પુત્રી જોડે લગ્ન કરાવ્યા. આજે પણ ગુફામાં અંદર જતા દીવાલ પર આ ફોટો દેખાય છે.
ત્યાંની વિશેષતા છે કે પાણી ઉપરથી નીચે ટપકે છે. પાણી ટપકતાં ખાડો થવો જોઈએ પણ અહીં આ ગુફામાં શિવલીંગ બને છે. એકદમ સાંકડી સીડીથી નીચે ઉતરીએ એટલે અંદર ભોંયરા જેવું જ લાગે. અહીં ગુફામાં અંદર અસંખ્ય નાના મોટા શિવલીંગ આવેલા છે.
અંદરથી જમણી બાજુ ભોંયરા જેવો રસ્તો છે. એનું રહસ્ય એ છે કે એ ભોંયરાવાળા રસ્તે આગળ ચાલતા જાઓ તો દ્વારકા જવાય. હા, બીજી બાજુ એટલે કે ગુફામાં જ ડાબી બાજુ આગળ વધતા જઈએ તો એ ભોંયરા વાટે જુનાગઢ જવાય. અત્યારે એ રસ્તા બંધ કરેલ છે. (જુનાગઢ અને દ્વારકા જવાના) આ ગુફામાં ઉનાળામાં પણ ઠંડક લાગે છે. ત્યાં બે બાકોરા એવી રીતે છે કે હવાની અવરજવર જવર થાય છે. પર્યટકોને સરસ દર્શન થાય એ માટે લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ ગુફાનું ઐતિહાસિક મહત્વ ખુબ છે. મોકો મળે તો એકવાર પરિવાર સાથે અવશ્ય મુલાકાત લેવી. શાળાઓમાંથી બાળકોને આ ગુફાનું રહસ્ય જણવવા પ્રવાસનું આયોજન કરી લઈ જવા જોઈએ.