જાદૂઈ નગરીના પ્રેમના પ્રશ્નો
જાદૂઈ નગરીના પ્રેમના પ્રશ્નો
કૌશલ દેશમાં એક ખૂબ જ પ્રજાપ્રેમી તથા ચતુર રાજા રહેતા હતા. રાજાની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી.
રાજા પાસે એક વિશિષ્ટ શકિતવાળું પક્ષી હતું. રાજા હંમેશા એ પક્ષીને પોતાની પાસે રાખતા.
એક દિવસ રાજા આ પક્ષી સાથે મગધ દેશ તરફ જઈ રહ્યાં હતાં. રાજા ઘોડા પર સવાર થઈ પક્ષીને પોતાના ખભા પર બેસાડી નીકળ્યા. પક્ષી રાજાને માર્ગદર્શન આપતું હતું. ઘોડો અતિવેગે એક સુંદર પ્રદેશમાંથી પસાર થઈ રહ્યો હતો. અચાનક, રાજાના કાને એક મધુર ગીત સંભળાયું. પક્ષી રાજાને આ અજાણી તથા રહસ્યમય નગરી તરફ દોરી ગયું.
નગરી સુંદર અને જાદૂઈ લાગી રહી હતી. રાજા ગીતના મધુરસ્વરો તરફ ખેંચાતા જતાં હતાં. અચાનક, એક અતિસુંદર રાજકુમારી પર તેમની નજર અટકી ! રાજકુમારીને જોતાં જ રાજા તેને પોતાની રાણી બનાવવાનાં સપનાં જોવા લાગ્યાં. રાજા જેવાં રાજકુમારીની નજીક ગયાં ત્યાં જ રહસ્યમયી અવાજે તેને અટકાવતા કહ્યું,
" હે રાજન, ઊભો રહે. આ નગરીમાં ફક્ત પવિત્ર આત્માઓ જ પ્રવેશ કરી શકે છે. આ રાજકુમારી અમારી દીકરી છે. એટલે જે અમારા સવાલોના યોગ્ય જવાબ આપશે તેની સાથે જ એના વિવાહ થશે. જો તું કોઈ ચાલાકી કરીશ તો આ નગરીમાં તને જે મૂર્તિઓ દેખાય છે એવી જ પથ્થરની મૂરત તને બનાવી દેવામાં આવશે. "
રાજા સમજી ગયાં કે પોતે કોઈ જાદુઈ નગરીમાં પહોંચી ગયા છે. રાજાને પોતાની તથા પક્ષીમિત્રની શક્તિ પર વિશ્વાસ હતો.
જાદુગરની અદ્રશ્ય શક્તિએ પૂછવાનું શરૂ કર્યું.
૧) માણસના દુઃખોનો અંત ક્યારે આવશે ?
જ). માણસ પોતાના દુઃખોથી નહીં પરંતુ બીજાના સુખથી દુ:ખી છે, માટે દરેક વ્યક્તિ હંમેશા પોતાના સુખ તરફ નજર કરવી જોઈએ.
૨) સ્વર્ગથી પણ ચડિયાતું કોણ ?જ) જનની તથા જન્મભૂમિ.
૩) સંસારમાં સૌથી વધુ શાંતિનો અનુભવ ક્યાં થાય ?
જ) મંદિરમાં, માતાના ખોળામાં, તથા પ્રિયતમાની બાહોમાં.
૪) રામાયણ તથા મહાભારત ક્યારે રચાય ?
જ) પરિવાર માટે સમર્પણ હોય તો રામાયણ રચાય. જયાં અનીતિનું લેનારા તથા છતી આંખે આંધળા અને મૌન ધારણ કરનારા લોકો હોય ત્યારે મહાભારત થાય.
૫) માણસ માટે સૌથી મોટી પ્રતિષ્ઠા કઈ ?
જ) દરેકના હૃદયમાં સ્થાન મેળવવું.
૬) એવું કયું વાક્ય જે સુખ તથા દુઃખમાં એક સમાન બોલી શકાય ?
જ) આ સમય પણ જતો રહેશે.
૭) સ્ત્રીપુરુષનું જીવન એક વાક્યમાં સમજાવ.
જ) સ્ત્રી હૃદયથી જીવે પુરુષ મગજથી.
૮) રાજા માટે સૌથી મોટું કર્તવ્ય કયું ?
જ) પ્રજાની રક્ષા કરવી.
૯) સંસારની તમામ સમસ્યાના જવાબ કયા પુસ્તકમાં છે ?
જ) શ્રીમદ્ ભગવદ્ ગીતા.
૧૦) આ બે સરખી દેખાતી માળાઓમાં અસલી માળા કઈ છે તથા નકલી માળા કઈ છે તે તેને હાથ લગાવ્યા વગર જ બતાવ.
જ) જમણી બાજુની અસલી છે કારણકે પતંગિયા અને ભમરાં તે તરફ વધારે મંડરાય છે.
૧૧) સૌથી શક્તિશાળી કોણ ?
જ) સૂર્ય.
૧૨) તમારા માટે સૌથી વધુ મહત્ત્વની વ્યક્તિ કઈ કહી શકાય ?
જ) જે વ્યક્તિ જે તે સમયે તમારી સાથે બેઠી હોય એ વ્યક્તિ તમારા માટે વધુ મહત્વની કહેવાય .
રહસ્યમય નગરીના રાજાએ આ ચતુર રાજાને આવા અનેક પ્રશ્નો પૂછ્યા. બધા સવાલોના જવાબથી રાજકુમારીના પિતા ખુશ થઇ ગયાં.
તેમ છતાં તેમણે રાજાની શક્તિ અને બુદ્ધિનીં ચકાસણી કરવા રાજકુમારીને દૂર પર્વતની ટોચે છુપાવી દીધી પરંતુ પક્ષીમિત્રની મદદથી રાજાએ રાજકુમારીને શોધી નાખી.
ત્યારબાદ તેમણે રાજકુમારીને પાણીમાં છુપાવી દીધી પરંતુ પક્ષીમિત્રએ પોતાની તીક્ષ્ણ નજરથી રાજાને તે રાજાએ રાજકુમારીને શોધવામાં મદદ કરી.
રહસ્યમય નગરીના બધા જ લોકો ખૂબ જ ખુશ થયા તેમણે રાજકુમારીના લગ્ન રાજા સાથે કરાવ્યા. ત્યાં જેટલા પણ લોકો મૂર્તિ બની ગયા હતા એ બધાને પણ સજીવન કરી તેમને છોડી મૂકવાની વિનંતી રાજાએ કરી.
બધા પ્રજાવત્સલ રાજાથી ખુશ થયા. રાજા અને રાણી બંને ખુશી ખુશી લગ્ન કરી પોતાની નગરી તરફ પાછા ફર્યા.