STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે

2 mins
425


અપૂર્વ અવસર એવો ક્યારે આવશે,

ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો ?

સર્વ સબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,

વિચરીશું કવ મહત્પુરુષને પંથ જો ?

 

સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,

માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;

અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં,

દેહ પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો.

 

દર્શન-મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ

જો, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો;

તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ,

વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.

 

આત્મ-સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની,

મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો;

ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી,

આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.

 

સંયમના હેતુથી યોગ-પ્રવર્તના,

સ્વરૂપલક્ષે જિન-આજ્ઞા આધીન જો;

તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં,

અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.

 

પંચ વિષયમાં રાગ-દ્વેષ-વિરહિતતા,

પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;

દ્રવ્ય, ક્ષેત્ર ને કામ ભાવ પ્રતિબંધ,

વણ વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.

 

ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ-સ્વભાવતા,

માન પ્રત્યે તો દીનપણાનું માન જો;

માયા પ્રત્યે માયા સાક્ષીભાવની,

લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.

 

બહુ ઉપસર્ગ-કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,

વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;

દેહ જાય પણ માયા થાય ન રોમમાં,

લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.

 

શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,

માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;

જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા,

ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો.

 

મોહ સ્વયંભૂ-રમણ સમુદ્ર તરી કરી,

સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ-મોહ-ગુણ-સ્થાન જો;

અંત સમય ત્યાં સ્વરૂપ વીત-રાગ થઈ,

પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો.

 

વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં,

વળી સીંદરીવત્ આકૃતિમાત્ર જો;

તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,

આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો.

 

એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,

પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો;

શુદ્ધ નિરંતર ચૈતન્યમૂર્તિ અનન્યમય,

અગુરુલઘુ અમૂર્ત સહજ-પદરૂપ જો.

 

પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,

ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો;

સાદિ અનંત અનંત સમાધિ મુખમાં,

અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.

 

જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,

કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;

તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે,

અનુભવ ગોચર માત્ર રહે તે જ્ઞાન જો.

 

એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,

ગજા વગરનો હાલ મનોરથ રૂપ જો;

તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,

પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.

 


Rate this content
Log in