સંભારણું
સંભારણું
વૈશાખીવાયરાએ પોતાનો પ્રકોપ પુરબહારમાં ખીલ્યો હતો. ઉષ્ણ વાયરાથી સહુ કોઈ ત્રાહિમામ્ હતા, પણ બાળકોને પણ આજ ઋતુમાં લાંબા વેકેશનની મજા મળતી.આવી જ કોઈ બપોરે બે સહેલી નેહલ અને બીજલ પોતાનાં બાળકોને સમર કેમ્પમાં મૂકીને કેમ્પની નજીકના કેફેટરીયા જઈને વાતોએ વળગ્યાં. રોજબરોજની વાતો સાસરીયાની નોંકઝોંક બાળકોની એક્ટિવિટી વગેરે સાથે તેઓને તેમની બાળપણની સખી માધવીની યાદ આવી ગઈ. સ્કૂલ સમયમાં તેઓ ત્રણે ખૂબ ગાઢ સહેલી! પણ ધીરેધીરે નેહલ અને બીજલ પરાં વિસ્તારમાં રહેવા આવી ગયા પછી માધવીનો સંપર્ક ઓછો થવા લાગ્યો. તે જમાનામાં આજનાં જેવા કોમ્યુનિકેશન માધ્યમો પણ ઓછાં હોવાથી જલ્દી સંપર્ક થઇ શકતો નહીં.
બંને સખીએ એકદિવસ માધવીની ભાળ મેળવવાનું નક્કી કર્યું. નિયત કરેલા સમયે બીજલ અને નેહલ માધવીને શોધવા તેની મમ્મીનાં ઘરે જ જવાનું નક્કી કર્યું. તેઓને એ પણ ખબર નહોતી કે માધવીના લગ્ન થયા છે કે નહીં? તેની મમ્મીને મળવાથી જ આ ઇન્તેઝારીનો અંત આવશે એવું તેમને લાગ્યું.
માધવીનાં ઘરે પહોંચીને તેઓને ખૂબ આશ્ચર્ય થયું. તેનું ઘર તો લગભગ સાત વર્ષથી બંધ હતું. આજુબાજુનાં પાડોશી પણ સમય સાથે બદલાઈ ગયા હતા, ઘણી પૂછપરછ પછી જાણવા મળ્યું કે માધવીનાં ઘરનાં સાત વર્ષ પહેલાં જ મીરાંરોડ રહેવા ચાલી ગયા હતા. બંને ફ્રેન્ડને ખૂબ નિરાશા સાંપડી. વધુ માહિતી આપી શકે એવું કે ટેલીફોન નંબર મળી શકે એવી કોઈ શક્યતા જણાઈ નહીં. નિરાશ મને નેહલ અને બીજલ ત્યાંથી નીકળીને બાળપણની યાદો તરોતાજા કરવા નરીમાન પોઇન્ટ, હેગિંગ ગાર્ડન જેવી જગ્યાઓ પર ફર્યા. જ્યાં તેઓ મુગ્ધાવ્સ્થામાં વારંવાર ભેગા થતાં અને જીવનનો અમૂલ્ય સમય પસાર કર્યો હતો. આ સંભારણાંને ફરી તાજા કર્યા. સાગરનાં ફીણવાળાં મોજામાં વીતેલા દસકાને તેઓ ફરી જીવ્યાં."ખૂબ મજા આવીને?’’ બીજલે કહ્યું, "હમ્મ્, મજા તો આવી, પણ જો આપણી સાથે આપણી ત્રીજી સાથી માધવી હોત તો સોનામાં સુગંધ ભળી જાત.’’ સ્મૃતી વાગોળતા તેઓએ પોતાનાં ઘરે પાછાં વળવા લોકલ ટ્રેન પકડી. માધવી ન મળતા ખાટા મને તેઓ ઘરે પાછા ફર્યા અને પ્રિય સહેલી ક્યારેક મળશે કે નહીં એવું પણ નક્કી ન થતાં આવડા મોટા મુંબઈ જેવા મહાનગરમાં સોય શોધવા જેટલું કપરું કામ સાબિત થાય એવું ભાસતું હતું.
સમી સાંજનો વખત હોવાથી ટ્રેનમાં ભીડ વધતી જતી હતી. દાદર આવતાં ઘણી મહિલાઓ ટ્રેનમાં ચઢી એક ઘરડી ડોશી તથા તેની સાથે તેની સગર્ભા દીકરીને જોઈ નેહલે બીજલને ઊઠવા કહ્યું અને સીટ તેઓ માટે બેસવા ખાલી કરી આપી. તેઓ બહારનાં દરવાજા પાસે ઉભા રહ્યા. ટ્રેનમાં ભીડ હોવાથી ઊભા રહેવું મુશ્કેલ હતું. ત્યાં જ નેહલને તેની આગળ જ ઊભેલી સ્ત્રી માધવી હોય એવું લાગ્યું. ખાતરી કરવા બૂમ પાડી. અવાજ સાંભળતા જ માધવીએ પાછળ જોયું. તેને જોતાં જ ત્રણે સખી ભેટી પડી.
બીજલ અને નેહલે માધવીને આખા દિવસનો ચિતાર સંભળાવ્યો અને માધવીને ખૂબ અચરજ થયું. વળી એક સપ્તાહ પછી જ તેના લગ્નની પણ જાણ કરી.આજે જો ના મળ્યા હોત તો લગ્ન પછી તે તરત જ લંડન જવાની છે. આમ ત્રણે સખીનું મિલન જોઈ બધાં આશ્ચર્યચકિત થઇ ગયા.