વિક્રમ વેતાલ વાર્તા - ડૉક્ટર સંતાન
વિક્રમ વેતાલ વાર્તા - ડૉક્ટર સંતાન
સ્થળ : ઉજ્જૈન નગરીની બહાર આવેલ જંગલ.
સમય : મધરાત્રીનો સમય.
ઉજ્જૈન નગરીની બહાર આવેલ જંગલમાં ચારેબાજુએ ઘનઘોર અંધકાર છવાયેલું હતું. એક માત્ર આકાશમાંથી ચંદ્રની આછી આછી રોશની આ જંગલમાં મહામહેનતે પ્રવેશી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ભલભલા શૂરવીરને પણ ધ્રુજાવી દે તેવો જંગલી પ્રાણીઓનો અને કિટકોનો ભયંકર અવાજ આવી રહ્યો હતો. વાતાવરણમાં એક અલગ જ પ્રકારનો સન્નાટો છવાયેલ હતો.
એવામાં બરાબર આ જંગલનાં એ ડરામણા અને ભયંકર સન્નાટાને ચીરતાં ચીરતાં કોઈ વ્યક્તિ જંગલમાં ચાલી રહ્યો હતો, આ બહાદુર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ રાજા વિક્રમાદિત્ય હતાં, જે ઉજ્જૈન નગરીનાં રાજા હતાં. તેનાં ખભે તેણે એક શબ એટલે કે મડદું લટકાવેલ હતું, પરંતુ આ મડદું બોલી શકતું હતું..જેનું નામ હતું વેતાલ.
"તો ! વિક્રમ ! તું મને તાંત્રિક પાસે લઈ જા એમાં મને કોઈ જ વાંધો નથી…પરંતુ તે તાંત્રિકનો આશ્રમ અહીંથી ઘણો જ દૂર આવેલ છે, અને રસ્તો પણ ઘણો લાંબો છે, માટે હું તને એક વાર્તા સંભળાવું છું.. જેથી કરીને તારો રસ્તો જલ્દીથી કપાય જાય અને તું ઝડપથી મને લઈને તારી મંજિલ સુધી પહોંચી શકીશ..!"
બરાબર આ જ સમયે વિક્રમને વેતાલે તેની સાથે આવવા માટે જે શરત મૂકી હતી કે, "હું તારી સાથે ચોક્કસ આવીશ પણ જો તું તારા મોઢામાંથી એકપણ શબ્દ બોલીશ તો હું ત્યાંથી ફરી પાછો એ વડલાનાં વૃક્ષ પર જઈને લટકાઈ જઈશ..!
આથી વિક્રમે વેતાલની વાત સાથે સહમતી દર્શાવવા માટે પોતાનું માથું ઝૂકાવ્યું..વિક્રમ તરફથી મળેલ સહમતીથી વેતાલ વિક્રમને એક વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું.
"અમરવેલી કરીને એક ગામ હતું, ત્યાં એક દરજી પોતાનાં પરીવાર સાથે રાજીખુશીથી રહેતાં હતાં, તેઓને બે સંતાન હતાં.. ધીમે ધીમે દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષો વીતવા લાગ્યાં, અને જોતાંજોતામાં દરજીનાં બંને દીકરાઓ પણ જુવાન થઈ ગયાં.
જેમાંથી એક પુત્રે પોતાનો પારંપારિક દરજીનો ધંધો પોતાનાં વ્યવસાય તરીકે પસંદ કર્યો. જ્યારે બીજો પુત્ર એમ.બી.બી.એસ નો અભ્યાસ ક્રમ પૂર્ણ કરીને ડોકટર બની ગયો, અને તે સિવિલ હોસ્પિટલમાં સારી એવી સરકારી નોકરીમાં લાગી ગયો.
ધીમે ધીમે સરકારી નોકરી પર લાગેલ પુત્ર સારી એવી કમાણી કરવાં લાગ્યો, અને પોતાની આવકનો અમુક ચોક્કસ ભાગ પોતાનાં માતા પિતાના ઘરે મોકલવા લાગ્યો. જેથી કરીને તેનાં પિતા સારી રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે, પરંતુ એ સંતાન ભણવામાં ખૂબ જ હોશિયાર અને તેજસ્વી હતો, તેને સરકારી નોકરી મળવા છતાં હજુપણ તેની ભણતરની ભૂખ પુરી નહોતી થઈ...આથી તેણે એમ.ડી (માસ્ટર ઓફ મેડીસીન) નો અભ્યાસ કરવાનું મનોમન નક્કી કર્યું.
આથી તે પુત્રએ પોતાનાં મનમાં ઉચ્ચ અભ્યાસનો જે વિચાર આવેલ હતો, તે સૌ પ્રથમ પોતાનાં પિતાને જણાવ્યો, અને તેનાં પિતા પણ આ બાબત માટે સહમત થઈ ગયાં…પરંતુ આ ઉચ્ચ અભ્યાસ માટે તેને પાંચ લાખ રૂપિયાની જરૂરીયાત હોવાથી તેણે બેંકમાંથી એજ્યુકેશન લૉન લેવાનું નક્કી કર્યું, આથી તેણે બેંકની પ્રોસેસ પુરી કરવાં માટે ગામડેથી પોતાનાં પિતાને પોતે જે શહેરમાં નોકરી કરી રહ્યો હતો ત્યાં બોલાવે છે. તે પુત્રને પણ સરકારી નોકરી હોવાને લીધે ખૂબ જ સરળતાથી બેન્કમાંથી લૉન મળી ગઈ.
ધીમે ધીમે એ પુત્રએ પોતાનો ઉચ્ચ અભ્યાસ સારી એવી ટકાવારી સાથે પૂર્ણ કર્યો. અને ફરી પાછી નોકરી શરૂ કરી દીધી..લગભગ બે વર્ષ બાદ તેનાં પિતાને કોઈ કારણોસર "કોરોનાં" થઈ ગયો. જ્યારે આ બાબતની જાણ તેમનાં ડોક્ટર પુત્રને થઈ, તો તેણે તાત્કાલીક પોતાનાં પિતાને પોતે જે દવાખાનામાં ડૉકટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો, ત્યાં આવવા માટે જણાવ્યું. તેમનાં પુત્રે પણ પોતાનાં પિતાને બચાવવા માટે જમીન આકાશ એક કરી દીધેલ હતું, પિતાની સારી એવી સંભાળ લઈ શકે તે માટે તે પોતાની ફરજ ઉપરાંત વધારાની ફરજ હોસ્પિટલમાં બજાવવા લાગ્યો.
આમ તે હોસ્પિટલે રહીને ચોવીસ કલાક પોતાનાં પિતાની સારસંભાળ લઈ રહ્યો હતો. ટૂંકમાં તેણે પોતાનાં પિતાની સેવા ચાકરી કરવામાં દિવસ કે રાતની પણ પરવાહ કરી ન હતી, પરંતુ ઈશ્વરે જાણે તેનાં નસીબમાં બીજું જ કાંઈ લખ્યું હોય તેવું લાગી રહ્યું હતું...તેનાં પિતા અંતે કોરોનાં સામેની જંગ હારી ગયાં અને આ દુનિયાને કાયમિક માટે અલવિદા કહી દીધું..આમ તેઓએ પોતાનાં ડોકટર પુત્રની નજર સમક્ષ જ પોતાનો અંતિમ શ્વાસ લીધો.
ત્યારબાદ હિન્દૂ ધર્મનાં રીતિ રિવાજો મુજબ તેમનાં અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી..બાકીની બધી વિધિઓ જેવી કે બેસણું, ઉઠમણું, બારમું, પાંચમ અને વરશી તેઓના અમરવેલી નગરીમાં આવેલાં ઘર ખાતે જ કરવામાં આવી.
પિતાના મૃત્યુ બાદ તેનાં બંને પુત્રોને માલુમ પડે છે કે તેમનાં પિતા પાસે અઢળક સંપત્તિ, મિલ્કત અને રૂપિયા હતાં, જે હાલ બે ભાઈઓ વચ્ચે ભાગ પડવાના હતાં, બેંકની પાસબુક પરથી ખ્યાલ આવે છે કે તેનાં પિતાના બેન્ક એકાઉન્ટમાં પચ્ચીસ લાખ રૂપિયા ફિક્સ ડિપોઝીટ પેટે જમાં હતાં.
"તો વિક્રમ ! તારું શું માનવું છે..આ બાબતે..ડોકટર પુત્રને વધુ ભણવા માટે જ્યારે રૂપિયાની જરૂરીયાત હતી, ત્યારે તેનાં પિતાની હાજરીમાં જ બેન્કમાંથી પાંચ લાખ રૂપિયાની લૉન લીધેલ હતી...અને તે પુત્રએ એક વર્ષ સુધી એ લૉનનું વ્યાજ પણ ભર્યું..તો શું એ પિતાએ પોતાની પાસે રૂપિયા હોવા છતાંપણ પોતાનાં સંતાનને રૂપિયા ન આપીને યોગ્ય કર્યું…?" વાર્તા પૂર્ણ કરતાં જ પોતાની પીઠ પર લટકેલ વેતાલ વિક્રમનાં કાન પાસે આવીને બોલે છે.
"જો તું ઉત્તર જાણતો હોય, છતાંય ઉત્તર નહિ આપીશ તો તને ખ્યાલ છે જ કે તારા માથાનાં સો સો ટુકડા થઈને જમીન પર પડી જશે…!" વેતાલ વિક્રમને જવાબ આપવાં માટે ઉછકેરતા અને ચેતવણી આપતાં જણાવે છે.
વેતાલે વિક્રમને પ્રશ્ન પૂછીને, તેણે વિક્રમને વિચારવા માટે મજબૂર કરી દીધેલ હતાં, ખૂબ જ ગહન અને લાંબુ વિચાર્યા બાદ વિક્રમ પોતાનું મૌન તોડતાં તોડતાં બોલે છે કે…
"એ દરજી પિતાએ જે કર્યું એ યથાયોગ્ય છે, તેમણે પોતાનાં સંતાનને ઉચ્ચ અભ્યાસ અર્થે જો રૂપિયા આપ્યાં હોત, તો તેઓનું સંતાન પિતા પર નભતો થઈ ગયો હોત, જે કયારેય દુનિયાનાં કોઈ પિતા ઇચ્છતા નથી હોતાં.. કદાચ એવું પણ બની શકે કે દરજી પિતાએ પોતાનાં સંતાન માટે આવનાર સમયને ધ્યાનમાં રાખીને કોઈ અલગ જ પ્રકારનું આયોજન કરેલ હોય...એમાપણ દરજી પિતાનું મૃત્યુ આકસ્મિક હતું, જે કોઈ લાંબી બીમારીથી મૃત્યુ નહોતા પામેલ જેથી તેઓએ પોતાનાં સંતાન માટે ભવિષ્ય વિશે શું આયોજન કરેલ છે..એ જણાવી ના શક્યાં હોય તેવું પણ બની શકે... માટે હું એવું માનું છું કે દરજી પિતાએ પોતાનાં ડોકટર પુત્ર સાથે જે કોઈ વર્તન કર્યું કે વ્યવહાર કર્યો તે યથાયોગ્ય છે.
બરાબર આ જ સમયે વિક્રમને પોતાનો ખભો અને પીઠ હળવા લાગ્યાં માંડ્યા.. આથી તેણે પાછું વળીને જોયું તો પેલો વેતાલ હવામાં ઊડવા લાગ્યો હતો...અને ફરી પાછો પોતે જે વડલા સાથે લટકેલ હતો, ત્યાં જવા માટે રવાનાં થઈ ગયો...આથી વિક્રમને પણ એ બાબત સારી રીતે સમજાઈ ગઈ કે પોતે જાણતાં અજાણતાં જ પેલાં વેતાલને આપેલ વચન તોડી બેઠેલાં હતાં….આથી વિક્રમ ફરી પેલાં વેતાલને પોતાની સાથે લઈ જવા માટે વેતાલની પાછળ પાછળ દોડવા લાગે છે.