ટેક્નોલોજીનું મહત્વ
ટેક્નોલોજીનું મહત્વ
એમ્બયુલન્સની શાયરનના શોરમાં બધા વાહનોએ માર્ગને ફટાફટ ખોલી આપ્યો. આજે આકાશ પોતાના જ શ્વાસો સાથે લડી રહ્યો હતો. આકાશના માનસપટલ પરથી એક પછી એક દ્રશ્ય ચલચિત્રની જેમ ફરી રહ્યા હતા.
એક દિવસ અચાનક ઓફિસથી આવી આકાશે ધરતીને કહ્યું,"ધરતી, આ જમવામાં તે શું બનાવ્યુ છે ? કાંઈ જ સ્વાદ નથી આવતો. ધરતી, મને શરદી થઈ છે. સતત ખાંસી આવ્યા કરે છે." આકાશને તાવ ચડવા માંડ્યો. શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી.
ધરતી ગભરાઈ ગઈ. ધરતીનું મન ચકરાવે ચડયું, શંકાનો કીડો સળવળવા માંડ્યો, "આકાશને કોરોના તો નહિ થયો હોયને ?"
અને ધરતીનો શક સાચો પડ્યો. આકાશનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો. ડોક્ટરે ક્વોરન્ટાઈન થવા કહ્યું, દવાઓ લખી આપી, નાસ લેવા કહ્યું, યોગ્ય ખાણીપીણી અને ઈમ્યુનીટી વધારવા કહ્યું. આકાશ ડોક્ટરના કહ્યાં મુજબ બધા ઉપાયો નિયમિત કરવા માંડ્યો. સર્વ સગા સબંધીઓ અને મિત્રો ઓફિસ સ્ટાફ સાથે મોબાઈલથી સંપર્ક રાખતો. ઘરે જે
જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ જોઈએ તે ઓનલાઈન ઓર્ડર નોંધાવી મંગાવી લેતો.
પણ એક દિવસ અચાનક આકાશને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થવા માંડી, આકાશ હાંફવા માંડયો. એમ્બયુલન્સ બોલાવવામાં આવી. આજે આકાશ પોતાના જ શ્વાસો સાથે લડી રહ્યો હતો.
ટ્રીન્ગ, ટ્રીન્ગ...
ઘડીયાલમાં એલાર્મ વાગતા જ આકાશ નીંદરમાંથી સફાળો જાગી ગયો. તેને સમજાઈ ગયું તેણે એક ભયાનક સપનું જોયું હતુ. કોરોના મેસેજીસની વ્હોટસ એપમાં સતત ભરમાર અને ટીવીમાં પણ કોરોના સમાચારના સતત ખડકલા થવાને કારણે જ એને આવુ ભયાનક સપનું આવ્યુ હતુ. આકાશે મનોમન ભગવાનનો આભાર માન્યો કે આ માત્ર સપનું જ હતું હકીકત નહિ.
આકાશ વિચારી રહ્યો, "કોરોનાના લક્ષણો વિશે, તકેદારી વિશે, ક્વોરન્ટાઈન, સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર, માસ્ક, સતત હાથ ધોતાં રહેવા, નાસ વગેરે વિશે તબીબો અને વિજ્ઞાન જગતે સમયસર માહિતી ન આપી હોત તો આજે જગતની અડધી વસતી નાશ પામી હોત. ઈન્ટરનેટની શોધ ન થઈ હોત તો ક્વોરન્ટાઈન સમયમાં બધાનો વિડિઓ કોલથી સંપર્ક ન થઈ શકત, ઓનલાઈન ચીજવસ્તુઓ ન મંગાવી શકાત."
આકાશે ધરતીને ટીવી ચાલુ કરવાં કહ્યું. સમાચારની હેડલાઈનમાં દેખાડતા હતા કે ભારતના વિજ્ઞાન જગતને કોરોના રસીની શોધ કરવામાં સફળતા સાંપડી છે. આકાશ ભારતીય હોવાનો ગૌરવ અનુભવી રહ્યો.
આકાશ મનોમન સંવાદ સાધતો રહ્યો. વિજ્ઞાને જો નિતનવા અવિષ્કાર ન કર્યા હોત તો આજે જીવવાનું કેટલું મુશ્કેલ હોત. વિજ્ઞાનની આધુનિક ટેક્નોલોજી ખરેખર વરદાનરૂપ સાબિત થઈ છે. ડગલે ને પગલે, જાણતાં કે અજાણતાં આપણે ટેકનોલોજીનો દરેક ક્ષેત્રમાં ઉપયોગ કરીઐ છીએ. મોબાઈલ, કોમ્પયુટર, લેપટોપ વગરનું જીવન જાણે અશક્ય જ લાગે છે. હા ક્યારેક આ જ ટેકનોલોજી અભિશાપરૂપ પણ સાબિત થઈ છે પણ એમાંય વાંક તો આપણો પોતાનો જ ને.
જો આપણે ટેકનોલોજીનો સુવ્યવસ્થિત ઉપયોગ કરીએ તો સમસ્ત માનવજાત અને આવનારી પેઢી ખૂબ સુખરૂપ જીવન જીવી શકશે. આકાશ સર્વ તબીબો, વિજ્ઞાનીઓ અને સમસ્ત વિજ્ઞાન જગતને મનોમન વંદી રહ્યો.
