મનના તરંગ
મનના તરંગ


નખી તળાવના શાંત જળ સામે જોઇને બેઠેલા સાધુની નજીક એક સ્ત્રી પણ આવીને બેઠી. સ્ત્રી યુવાન હતી પણ સાધુની ઊંમર વિષે કઈ જ કહી શકાય એમ ન હતું. સાધુ ખુબ જ ઊંડા વિચારોમાં હોય એમ લાગતું હતું, એવું કદાચ એટલા માટે પણ લાગી શકે કે તેઓ ધ્યાનમાંથી ઉઠીને આવ્યા હોય પણ એની અસર એમની આંખો ઉપર વર્તાતી હોય.
આ અજ્ઞાત સાધુનું નામ શું હતું એ કોઈ જાણતું ન હતું પણ એમની આ કાયમી બેઠક હતી. એ વાત આસપાસના નાના વેપારીઓ જાણતા હતા. લાંબા કાળા ભમ્મર કેશ એમની સાધુ તરીકેની ઓળખ છતી કરતા હતા. એમના મજબુત અને કસાયેલા શરીર ઉપર રહેલું કેસરી ઉપવસ્ત્ર એક વિશિષ્ટ ઓળખ પ્રગટ કરતુ હતું. રુદ્રાક્ષની માળાઓ ભગવાન શંકરના શિષ્ય હોવાની છડી પોકારી રહી હતી. આવા સાધુ એકી નજરે નખી તળાવના પાણીને નીરખી રહ્યા હતા.
નખી તળાવનું પાણી સાંજના સમયે એકદમ શાંત હતું, એટલું બધું શાંત હતું કે જેટલી શાંતિ સાધુની આસપાસ પ્રસરેલી હતી. સામાન્ય માણસને લાગે કે એમની આસપાસ શાંતિ છે પણ એમના મનમાં આજે ઊંચાં દરિયાઈ મોજા ઉછાળી રહ્યાં હતાં. એ મોજાં ઉછાળવાનું કારણ પણ બિલકુલ એમની નજીક જ હતું.
એમની પાસે બેઠેલી સ્ત્રીએ એક અલગ જ પ્રકારનું અત્તર છાંટેલું હતું. આ અત્તરની સુગંધ તો જાણે યુવાન સ્ત્રીના વસ્ત્રો અને અંગે –અંગમાંથી આવતી હોય એમ સાધુને લાગતું હતું. સાધુની વીસ વર્ષની સાધનાના શાંત સરોવરમાં આ સુગંધે મોટી હલચલ સર્જી નાખી હતી. નખી સરોવરની પાળે બઠેલા સાધુની આ દશાની ફક્ત એના મનને જ ખબર હતી, બાકી તો આસપાસની દુનિયા એમનામાં મશગુલ હતી. આઈસ્ક્રીમ અને ઠંડાં પીણાં વેચવા વાળા પ્રવાસીઓ પાસેથી વધારે રકમ લઈને પોતાનાં ખિસ્સાં ગરમ કરી રહ્યા હતા. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલા આ ગિરિમથક પર હમેશાં યુવાન હૈયાંજ આવતાં, તેઓ એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતાં હતાં પણ એમના હૃદય તો પ્રેમ આલિંગનમાંજ હતાં. આવા રંગીન માહોલમાં પોતાની સાધુતા ટકાવી રાખવી એજ એક મોટી પરીક્ષા હતી. અત્યાર સુધીનાં સમયમાં આ સાધુ અડીખમ હતા પણ આજના અત્તરે એમને હચમચાવી નાખ્યા. એમ ખી તો પણ ચાલે કે એમની સાધુતાના મેરુ ઉપરથી થોડા બેલેન્સ વિહીન કરી દીધા હતા.
આ અજ્ઞાત સાધુ મેઢક પોઈન્ટ પાસેની એક અંધારી ગુફામાં રહેતા હતા. આખો દિવસ અને રાત ધ્યાન,યોગ –સાધના કરતા. સાંજના સમયે નખી તળાવના પાણીને મન ભરીને જોવા માટે આવતા. આ એમનો નિત્યક્રમ હતો.
આજનો નિત્યક્રમ એમનો તૂટી ગયો હતો, જેવી સુગંધ નાક વાતે એમના મન-મગજ સુધી પહોચી એટલામાં તો એમના શાંત મનમાં એક મોટી ભૂતાવળ ઉભી થઈ ગઈ હતી. આ વાવાઝોડાને શાંત કરવા માટે કરીને સાધુ જી મોટા અવાજે મંત્રો બોલતા-બોલતા એમની ગુપ્ત ગફા તરફ ચાલ્યા ગયા.
ચાલતાં-ચાલતાં એમને સાધુ થયા એ પહેલાનાં દ્રશ્યો એમની નજર સામે તરવરવા લાગ્યાં. કેટલાક લોકો એમના ઘર આગળ કડીવાળી ડાંગો અને ધારદાર હથિયારો લઈને ઉભા હતા અને બુમાબુમ કરી રહ્યા હતા એની એકજ માંગ હતી એ દૃષ્ટને બહાર કાઢો આજે અમે એને સજા આપ્યા વિના પાછા નહિ જઈએ.
એમની ભૂલ એટલી જ હતી કે ગામની એક યુવાન સ્ત્રી સાથે આંખો ચાર થઇ ગઈ હતી. જે સ્ત્રી સાથે આંખો મળી હતી એનો પરિવાર હથિયારો સાથે છેક ઘરના દરવાજે આવી ગયો હતો. આ સાધુજી એમના પુરવાશ્રમમાં યુવાન સ્ત્રીને મળ્યા ત્યારે જેવી સુગંધ આવી એવી જ સુગંધ આજે પણ આવી હતી.
આજની સુગંધ માણ્યા પછી નખીના જળ તો એટલા જ શાંત હતાં પણ સાધુ છેક ગુફામાં આવ્યા પછી પણ એમના મનમાં જાગેલા તરંગ હજી સુધી શાંત થતા ન હતા.