મનમંથન સ્વનું - ૪
મનમંથન સ્વનું - ૪
આપણે આગળ જોયું તેમ શ્રદ્ધાને ન છોડવી ને માનવતાના પથને ન છેડવો એ જ આપણા આ ધરા પરના ગુણતત્વને જીવાડે છે. ધરા પર બહુ જ વિવિધ અન્ન આપવાની ક્ષમતા છે. તેનું મુખ્ય અર્પણ એ અન્નનું દાન છે. ધરા પરનું પોષક જળવાય છે તે છે બ્રહ્માને વિષ્ણુ તરફનું જ દાન છે કારણ કહેવાય છે કે બ્રહ્મા ઉત્પાદક છે તો વિષ્ણુ પોષક છે. તો તેમાં પણ આપણે ઈશ્વર તરફની આસ્થાના જ દર્શન કરી શકીએ છીએ.
માનસિક રીતે વિકાર પણ ધરા પર જોવા મળ્યા છે, નાનો પણ વિકાર જન્મતા પરશુરામના માતા રેણુકાના સતીબળને આકરો તાપ ભોગવવો પડ્યો હતો..આ વિચારોના વિકારો પણ ધરાને અપવિત્ર કરે છે. ઘણીવાર સુકાતી ધરા મારા મતે આ વિકારોના પ્રતાપે કે તેના પ્રકોપે જ હોય છે. ધરાએ તો સતી સ્વરૂપે જ. ભૂમિ પૂજન એ ઉત્તમ પૂજન છે..જે સતીની પવિત્રતાની સાક્ષી પૂરે છે.
આધુનિક યુગની સ્ત્રીઓ સતી તો નથી બની શકવાની પણ પવિત્રતાના માપદંડમાં રહીને ધરાનું રક્ષણ કરી શકે.
નરસિંહનું એક ભજન છે જે મને ખૂબ જ પસંદ છે.
ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે
હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવતાર રે,
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે … ભૂતળ ભક્તિ.
ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન્ય ધન્ય એના માતપિતાને, સફળ કરી જેણે કાયા રે … ભૂતળ ભક્તિ.
ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે ઊભી, મુક્તિ થઈ એની દાસી રે … ભૂતળ ભક્તિ.
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કાંઈ એક જાણે પેલી વ્રજની ગોપી(વનિતા) ભણે નરસૈંયો ભોગી રે … ભૂતળ ભક્તિ.
કેટલી સચોટતા છેલ્લી બે પંક્તિમાં દર્શાવી ગયા છે. ક્યાંતો ઈશ્વર જાણે છે, ક્યાંતો શુક જેવા યોગી જાણે છે ને ક્યાંતો પવિત્ર ધરા વ્રજભૂમિની ગોપીઓ (વનિતાએ) જાણે છે કે પવિત્રતાની સીમા શું છે.
મારા સ્વમતે આ ધરાનું મહત્વ વિરલ છે. આવા ઘણાં ઉદાહરણોથી જલ, સ્થલ ને પાતાળના મહત્વ આપણે જરૂર સમજી શકીએ.