મને મારું ઘર બોલાવે:
મને મારું ઘર બોલાવે:
જગત ભરની નીરવ શાંતિ બોલાવે,
જિંદગીની ખરી ખુશી બોલાવે;
હું મુક્ત રીતે ખોલી શકું હ્ર્દય જ્યાં,
એ મમતા ભર્યું મને મારુ અમૂર્ત ઘર બોલાવે.
બાલ્યાવસ્થા એટલે જિંદગીની એક આઝાદ એવી સંગ્રહિત પળો કે જેને આજીવન કદાપિ કલ્પિત દુનિયામાં પણ વિસરી ન શકાય. ચાહવા છતાંય કેટલીક અણગમતી ઘટનાઓને ભૂલી ના શકાય.
આજ છે જિંદગીની અસલી અવિસ્મરણ્ય અવસ્થા કે જેને યુવાવસ્થામાં કે વૃધ્ધા અવસ્થામાં ભગવાન પાસે આપણે વારેવારે માંગીએ છીએ.
મારે પણ મારી બાલ્યઆવસ્થામાં કેટકેટલાય વળાંકો આવ્યા ને દુઃખો કરતા ખુશીઓ બમણી પાથરી ચાલ્યા ગયા. જેને આજે પણ હું યાદ કરી સૌ જેમ બાળપણના ખૂબ સુરત પ્રસંગો ક્ષણે ક્ષણે વાગોળ્યા કરું છું. હું જ્યારે પ્રાથમિક શિક્ષણ માટે ઉના અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે મને યાદ છે હું ત્યાં હોસ્ટેલમાં રહેતો અને ત્યાં મારા મમ્મી પપ્પા જ્યારે પણ મળવા આવતા ત્યારે મારા માટે માવાની થાબડી સિંગ ભજીયા અને કેટલોય નાસ્તો લાવતા.
હું હઠ કરી ક્યારેક ઘેર જવા માટે રડી પડતો. હોસ્ટેલના પટાવાળા મને સમજાવી પટાવી વાલીને છુપી રીતે મોકલી દેતા. તો જ્યારે સ્કૂલના ટેલીફોનમાં ઘરેથી ફોન આવતો ત્યારે હું ઘરે ક્યારે જવાનું છે ?
તે જ મમ્મી પપ્પા તેમજ ક્યારેક મોટા ભાઈને લેવા આવવાનું ભાર દઈને વારંવાર ફરી ફરીને કહ્યા કરતો. મામાનો દીકરો લાલો ત્યાં દુકાનમાં કામ કરતો એટલે ક્યારેક સાઇકલ લઈ મને રજાઓ વખતે લેવા આવતો.
તે સમયે હું એટલો ખુશ થઈ જતો કે આખી દુનિયાનું સુખ માત્ર ને માત્ર ક્ષણોને આંગળીને વેઢે ગણતા મને મળી ગયું હોય. ઘરે જઈ એટલો હું ખીલખીલાતા બાળપણને મોજથી માણતો કે જગતનું કોઈજ દુઃખ મને છુ પણ ના કરી શકે. જાણે પૃથ્વીનું સોનેરી સ્વર્ગજ જોઈલો સાક્ષાત આ માટીના ઘરમાં.