સ્વર્ગમાં શોરબકોર
સ્વર્ગમાં શોરબકોર
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
સવારથી જ સ્વર્ગમાં આજ નીરવ શાંતિ હતી. રોજ સાંજે થતા ભજન ગઈ કાલે નહોતા થયા. રાતે બધા મોડા સુતા હતા. ખાસ કોઈ મોટી તકલીફ નહોતી પણ બધાએ રોજ કરતા થોડું વધારે ખાધું હતું અને પછી ભજન ગાવાનો કે સાંભળવાનો મૂડ નહોતો આવતો. ઠંડી વધારે હતી એટલે મોડા ઉઠ્યા અને નાહવાનું માંડી વાળ્યું તો પ્રભાતિયાં કેમ ગવાય? સ્વર્ગમાં નવા આગન્તુકો પોતાના સ્માર્ટ ફોન લઈને આવેલા એટલે તેઓએ યુ ટ્યૂબ ઉપર થોડા ફિલ્મી પ્રભાતિયાં સાંભળી લીધા હતા. આમ તો તેઓની ઈચ્છા સિનેમાના પ્રણય ગીત સાંભળવાની હતી પણ એવી બધી ચેનલ ઇન્દ્રદેવે બ્લોક કરી દીધી હતી.
જૂનાં જોગીઓ સ્માર્ટ ફોન જોઈને કોઈ રાક્ષસી માયા હશે એવું વિચારતા હતા. તેઓ પૃથ્વી ઉપર હતા ત્યાં સુધી હજુ ગોળ ડાયલ વાળા ફોન પણ ક્યાંક ક્યાંક જ હતા. દોરડા વગર ફોન ઉપર વાત થાય અને એમાં પાછા ફોટા પણ દેખાય તેવી તો તેમને કલ્પના પણ નહોતી. નવા આગન્તુકો સ્માર્ટ ફોન વાપરીને વધારે પડતા સ્માર્ટ થઇ ગયા હતા. તેઓએ હજુ પૃથ્વી ઉપર સંપર્કો જાળવી રાખ્યા હતા. તેમના વોટ્સઅપ અને ફેસબૂક સંપર્કો યથાવત હતા. કેટલાંક તો પૃથ્વી ઉપર ટેલિકોમ કંપનીએ આપેલા લાઈફ ટાઈમ જૂનાં સિમ કાર્ડ પણ લાવ્યા હતા.
બપોરે જમવાનો સમય થાય તો પણ આ નવા આગન્તુકો મોબાઈલ છોડવાનું નામ લેતા જ નહોતા. કેટલાક તો વળી જમવાનું જ ભૂલી જાય. સ્વર્ગમાં દરેક કામ જાતે જ કરવા પડતા પણ જુવાનિયા ઘડીકમાં કામ માટે ઉભા જ ના થાય. ધીમે ધીમે જૂનાં જોગીઓ નવા આગંતુકોને બોલાવવા આવે તો ઘડીભર મોબાઈલની સ્ક્રીન ઉપર નજર કરી લ્યે, ને એમ કરતા કેટલાયને મોબાઈલ જોવાનું વ્યસન થઇ ગયું હતું.
આજ સવારથી જ જુવાનિયા પ્રાર્થના, નાસ્તા કે જમવામાં તો નહોતા આવ્યા પણ ફરજીયાત પુરાવવી પડતી હાજરી માટે પણ નહોતા આવ્યા. ઇન્દ્ર દેવે છેક સાંજે પોતાના દૂતોને રહસ્ય જાણવા મોકલ્યા ત્યારે ખબર પડી કે કોઈ હેલ્લારો નામની નવી ફિલ્મ આવી છે તે જુવાનિયાઓએ જોઈ લીધી પણ જૂનાં જોગીઓ એમની સાથે વાતચીત કરી કૈંક સોદાબાજી કરે છે. તપાસ કરતા ખબર પડી કે નવાણીયાઓ જૂનાં મોબાઈલ જૂનાં જોગીને વેંચી રોકડા કરી રહ્યા છે. સ્વર્ગમાં કઈ અહીં જેવી પૈસાની લેવડદેવડ નથી હોતી એટલે ત્યાં હજી વિનિમય પ્રથા જ છે. નવા આવેલા લોકો કામચોર હતા એટલે તેમના ભાગે આવતું કામ જૂનાં જોગીઓને સોંપી પોતાના જૂનાં મોબાઈલ માં ફિલ્મ બતાવી રાજી કરી લેતા હતા.
દૂતોએ ઇન્દ્રને જાણ કરી ત્યારે ઘડીભર તો એ પણ અચંબામાં પડી ગયા. કુતુહલવશ તેઓએ મોબાઈલમાં ડોકિયું કર્યું તો એટલો બધો રસ પડ્યો કે સમયનું ભાન ભૂલી ગયા. એમની ગેરહાજરીનો લાભ લઇ જૂનાં નવા બધા સ્વર્ગવાસીઓ મૂળભૂત ફરજ ભૂલી મોબાઈલ મેળવવામાં અને એને ચલાવવાની તાલીમ લેવામાં પડાપડી કરવા લાગ્યા કેમકે વેંચનાર કરતા લેનાર ખુબ વધારે હતા. આ શોરબકોરમાં કેટલાક જૂનાં જોગીઓ છટકીને પૃથ્વી ઉપર પાછા જતા રહ્યા ને નવા આવનારને રિસીવ કરવાવાળું નહોતું તો યમ રાજાને સાથે લાવેલ મોબાઈલ પકડાવી પૃથ્વી ઉપર પાછા જતા રહ્યા.