કુદરતની સંગે
કુદરતની સંગે
ગુરુકુળ સોસાયટીની બહેનોએ એક સાંજે મિટિંગ બોલાવી.જેનો એજેન્ડા હતો વેકેશનમાં બાળકોને કેવી રીતે પ્રવૃતિશીલ રાખવાં ? બધાંએ જુદાં જુદાં મંતવ્યો આપ્યાં એમાં ગીતાબેનનો વિચાર બધાને ગમ્યો અને એને વધાવી લીધો.
ગીતાબહેનના કહેવા મુજબ આજકાલ બાળકો કુદરતથી વિમુખ થતાં જાય છે.એમાંય ઓનલાઈન શિક્ષણ આવ્યું એમાં બધાંને મોબાઈલની આદત પડી ગઈ છે. ઉપરાંત ટી.વી.અને વીડિયોગેમમાં જ રચ્યાંપચ્યાં રહે છે. જે તેમની આંખો માટે નુકસાનકારક તો જ સાથે સાથે શારિરીક વિકાસ પણ અવરોધાય છે. એનાં માટે સૌથી ઉત્તમ ઉપાય એ હતો કે બાળકોને સવાર-સાંજ સોસાયટીના બગીચામાં ભેગાં કરી ત્યાં વારાફરતી બે બે બહેનો સમય આપે તો અશક્ય નહોતું.
દરરોજ બાળકો સમયસર બગીચામાં આવી જતાં. ફુલછોડને પાણી પાવું, નાનાં કુંડામાં જુદાં જુદાં બી વાવવાં, માટી ખોદવી, ભરવી વગેરે. બાળકોને બહું જ મજા પડતી. આમેય બાળકોને માટી અને ધૂળમાં રમવું ગમતું હોય છે.
આજની મમ્મીઓ હાઈજીનના ચક્કરમાં તેમનો કુદરત સાથેનો સંગ,આનંદ છીનવી લે છે.તેમનો ખરો વિકાસ કરવો હોય તો કુદરત સાથે,સમીપે અને સંગે રાખવાં ખુબ જ જરૂરી છે. આ જ વાતાવરણમાં તેમને "જ્ઞાન સાથે ગમ્મત"નાં ભાગ રૂપે બાળવાર્તા, જોડકણાં,ઉખાણા,ચિત્રકામ વગેરે પણ શીખવવામાં આવતું. આમ ભાર વગરનાં ભણતરની પણ મજા માણતાં. બાળકો તો કુદરતનાં ખોળામાં ફુલની જેમખીલવાં લાગ્યાં.
ગુરૂકુળ સોસાયટીના સફળ પ્રયોગને જોઈને આજુબાજુની સોસાયટી પણ તેમનું અનુકરણ કરવાં લાગી અને આખો એરિયા નંદનવન બની ગયો.